કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૭. દિવંગત ગુરુદેવને

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૭. દિવંગત ગુરુદેવને

પ્રહ્લાદ પારેખ

મૃત્યુ તો તમને લેવા આવ્યું, માન્યું લઈ ગયું.
તેણે ખોલી જહીં મુઠ્ઠી ત્યાં તો ભોંઠું પડી ગયું.

આશ્ચર્યે તે, ‘અરે ક્યાં એ ?’ વદીને નિરખે પૂંઠે
હૈયે હૈયે તમારી એ નિહાળે છબી જે ઊઠે.

ભવ્ય એ જિંદગાનીની પાસમાં વામણું બન્યું,
જીતવા આવિયું તેને પતાકા જયની થયું.

તેજે જે પ્રજ્વળી ઊઠ્યાં સૂર્ય, તારા, નિહારિકા
તેજેથી સળગે નિત્યે એ જ જે પ્રાણની શિખા

મથ્યું એ ફૂંકથી તેની ઓલવી નાખવા જ એ:
લાખલાખ શિખા થઈ ત્યાં પ્રકૃતિ, માનવી વિશે,
– વિરાજે એ અને હસે !

આવ્યું’તું જિંદગી લેવા, આપી ગયું અમરત્વ એ.
(સરવાણી, પૃ. ૫૧)