ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદારનું ગદ્યલેખન મુદ્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ખબરદારનું ગદ્યલેખન

ચાંપશી ઉદેશી સાથેની એક પ્રશ્નોત્તરીમાં ખબરદારે કવિતાને જ પોતાની મુખ્ય નિસ્બત તો ગણાવેલી. કાવ્યસર્જન ઉપરાંત ગદ્યમાં જે કંઈ લખ્યું એ તો ‘કવિતાને અને સાહિત્યને લગતાં પ્રાસંગિક વ્યાખ્યાનો માટે કે ચર્ચા માટે જ’ લખ્યું હોવાનું એમણે જણાવેલું.૨૦ આવો પ્રાસંગિક ઉદ્દેશ છતાં એમનાં કેટલાંક વિવેચનાત્મક લખાણો એમની અભ્યાસવૃત્તિનું તેમ જ, વિલક્ષણ અને વિવાદાસ્પદ છતાં, સ્વતંત્ર વિચારણાનું પ્રતિબિંબ પાડે છે. તો પાત્રોના અંગત ગદ્યમાં એમના વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓ ઘણી ઝીણવટથી ઊઘડે છે. ખબરદારનાં ગદ્યલખાણોની સંખ્યા પણ ઠીકઠીક મોટી છે. એમના કાવ્યસંગ્રહોની લાંબી પ્રસ્તાવનાઓ, એમણે સંપાદિત કરેલાં ‘મલબારીનાં કાવ્યરત્નો’નો ઉપોદ્‌ઘાત તથા કોલકકૃત ‘સાંધ્યગીત’ અને પ્રભાસ્કરકૃત ‘વિહારિણી’ ના પ્રવેશકો, ‘સાહિત્ય’માં (૧૯૨૧–૨૨ દરમ્યાન) ચલાવેલી ‘ગુજરાતી કવિતા અને અપદ્યાગદ્ય’ નામની લેખમાળા, સામયિકોમાંનાં અન્ય કેટલાંક પ્રકીર્ણ લખાણો, સાહિત્ય પરિષદનાં સંમેલનોમાં આપેલાં વ્યાખ્યાનો કાવ્યાનુવાદ આપતું (ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ લખેલું) એમનું મહત્ત્વાકાંક્ષી સંશોધનકાર્ય, ‘અષો જરથુષ્ટ્રની ગાથાઓ પર નવો પ્રકાશ,’ ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ નામે વ્યાખ્યાનગ્રંથ તથા સંબંધીઓ, મિત્રો અને સાહિત્યકારોને લખેલા પત્રો – એમ વિવિધ પ્રકારનું બહોળું ગદ્યલેખન એમણે કરેલું છે.

પ્રસ્તાવનાઓ અને પ્રવેશકો પોતાના મોટાભાગના કાવ્યસંગ્રહોમાં ખબરદારે લાંબી પ્રસ્તાવનાઓ કરી છે એ ઘણી લાક્ષણિક છે. એમાં કવિતા અને સાહિત્ય વિશેના એમનાખ્યાલો–વિભાવનાઓ વ્યક્ત થયાં છે, તે તે કાવ્યસંગ્રહની રચનાઓની ઉદ્‌ભવભૂમિકા રૂપે કે સ્વરૂપચર્ચા રૂપે એમની કેફિયતો રજૂ થઈ છે. છંદ અને કાવ્યરૂપના એમણે કરેલા પ્રયોગોની વિગતવાર ભૂમિકા પણ એમાં એમણે રચી છે ને પોતાના પૂર્વવર્તી કાવ્યસંગ્રહોમાંની કવિતા અને એમના પ્રયોગો વિશે થયેલી ટીકાઓને રદિયા આપ્યા છે. આ બધાં લખાણોમાં એમની કાવ્યપ્રીતિ ને સાહિત્યભક્તિ, એમના મતાગ્રહો ને દાવા, એમનાં આત્મરિત અને અભિનિવેશો, પ્રશસ્તિઓ અને પ્રહારો ખૂબ તીવ્રતાથી વ્યક્ત થયાં છે ને એણે ગદ્યનું એક લાક્ષણિક રૂપ ઉપસાવ્યું છે. ઐતિહાસિક ભૂમિકાએ તપાસીએ તો એક પારસી લેખકે લખેલા ગદ્યની દૃષ્ટિએ આ ગદ્ય ઘણું સ્વચ્છ અને વિશદ પણ છે. છેક ૧૯૦૧માં એમની ઓગણીસ વર્ષની ઉંમરે પ્રગટ થયેલા સંગ્રહ ‘કાવ્યરસિકા’ની પ્રસ્તાવનાનું ગદ્ય આ રીતે ધ્યાનપાત્ર ઠરે. અહીં તો, શુદ્ધ, સરળ અને રસિક ભાષા લખવાની એમણે હિમાયત પણ કરી છે ને વિરૂપ ગુજરાતી લખનાર લેખકો – વિશેષે એમના કેટલાક પારસી લેખકબંધુઓ – પ્રત્યે પ્રકોપ વ્યક્ત કર્યો છેઃ ‘ઈશ્વર એવા લેખકોની છાયાથી પવિત્ર ગુર્જર ગિરાને દૂર રાખે! એવા ભાષાદ્રોહીઓને તો અમારા નવ ગજના નમસ્કાર છે!!’ શુદ્ધ–સ્વચ્છ ભાષાના હિમાયતીઓમાં ખબરદારનું સ્થાન ઘણું ગૌરવવંતું ગણાય એમ છે. સાહિત્યપરિષદનાં વ્યાખ્યાનોમાં સામયિકોનીને ખાસ તો વર્તમાનપત્રોની – ભાષા સુધારવાના પ્રયત્નો કરવા એમણે પરિષદને, નક્કર સૂચનો સાથે, ભલામણ પણ કરેલી. ‘કાવ્યરદિકા’માં વ્યક્ત થયેલી કાવ્યસમજ પણ એ વયની દૃષ્ટિએ તો ઘણી પક્વ-પુખ્ત જણાય છે. કાવ્યના મૂલ્ય વિશે ને એની પ્રભાવકતા વિશે એમણે ખૂબ ગંભીર રીતે વિચાર્યું છે. કાવ્યમાં રસવ્યંજનાને તે કાવ્યનો આત્મ ગણે છે ને કવિતાને ‘અસાધારણ લાગણીની અસાધારણ ભાષા’ તરીકે ઓળખાવે છે એ નોંધપાત્ર છે. (જો કે એમની પોતાની જ કવિતા આ ખ્યાલને અનુરૂપ નથી રહી. સર્જકની એક વિવેચક તરીકેની વિચારણાને એનું સર્જન પૂરેપૂરી તોષતું હોય એવું તો ન પણ બને એ સ્વીકારીએ તો પણ અહીં એ બે વચ્ચે ઘણું મોટું અંતર રહી ગયું છે નોંધવું જોઈએ). કાવ્યની આ સમજ એમના અન્ય સંગ્રહોની પ્રસ્તાવનાઓમાં પણ વ્યક્ત થતી રહી છે – કવચિત્‌ એ સંમાર્જિત થયેલી કે વિકસેલી પણ જણાય છે. પરંતુ સમગ્રતયા એ કેટલાક વિલક્ષણ આગ્રહોમાં સીમિત થઈ ગઈ છે. છંદ અને સ્વરૂપ અંગેના એમના પ્રયોગોની ભૂમિકાઓ પણ કાવ્યપદાર્થની એમની સમજની મર્યાદાઓ દર્શાવતી ને વિવાદસ્પદ બની ગઈ છે. કેટલાક કવિઓના કાવ્યસંગ્રહોના એમણે લખેલા પ્રવેશકોમાં પણ કાવ્ય વિશેની પોતાની વિલક્ષણ વિભાવનાથી જોતાં એમણે સમકાલીન કવિતા વિશે અસંતોષ પ્રગટ કર્યો છે. મધ્યકાલીન કવિતાઓની તથા દલપતરામ–નર્મદની કવિતાની અપેક્ષાએ એમને પોતાની સમકાલીન કવિતા ઊતરતી લાગે છે! ખબરદારની અ અને અન્યત્ર વ્યક્ત થયેલી વિવાદાસ્પદ વિચારણાનો ‘ખબરદારનું માર્ગદર્શન’ નામના એક દીર્ઘ લેખમાં સુન્દરમે સબળ પ્રતિવાદ કરેલો છે.૨૧

પરિષદ વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્ય પરિષદના ભાવનગર સંમેલન(૧૯૨૪)માં સાહિત્ય વિભાગના અધ્યક્ષ તરીકે તથા અંધેરી(મુંબઈ) સંમેલન(૧૯૪૧)માં પરિષદપ્રમુખ તરીકે આપેલાં સુદીર્ધ વ્યાખ્યાનોમાં એમણે સાહિત્યતત્ત્વ, સાહિત્યપ્રવાહો અને સાહિત્યના સામાજિક સંદર્ભને લઈને ખૂબ વ્યાપક સાહિત્યવિચારણા ચલાવી છે. સમાજ ઉપરની સાહિત્યની પ્રભાવકતાને સંદર્ભે સાહિત્યકારની સામાજિક જવાબદારીને સ્વીકારનાર એક સન્નિષ્ઠ સાહિત્યભક્તનો ઉમળકો ને આશાવાદ તેમ જ સાહિત્યને વિપથગામી કરનાર તરફનો પ્રકોપ આ વ્યાખ્યાનોમાં તારસ્વરે ઊપસ્યાં છે. અત્રત્ય અને પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનનું એમનું વિશાળ વાચન તથા એમનાં અનેક પ્રતિપાદનોની દલીલો તરીકે, એ વાચનમાંથી એમના સ્મરણમાં ઊભરાઈ આવતાં દૃષ્ટાન્તો-ઉદાહરણોનો અસ્ખલિત પ્રવાહ ધ્યાનાર્હ જરૂર છે પણએ બધું અતિપ્રસ્તારી અને ક્યાંક વિશૃંખલિત રહેતું હોવાથી એટલું પ્રભાવક બનતું નથી. આ વ્યાખ્યાનોમાં પણ પ્રાચીન અને પૂર્વવર્તી સાહિત્ય તરફનો પક્ષપાત–અહોભાવ અને સમકાલીન સાહિત્યપ્રવાહો તરફનું ટીકાત્મક વલણ તથા ઠાકોર-ન્હાનાલાલના પ્રયોગો તરફના પૂર્વગ્રહો અને એના પરના પ્રહારો વારંવાર આવ્યા કરે છે. પરંતુ આ વ્યાખ્યાનોમાં એમની લાક્ષણિક ગદ્યછટા બહુ નોંધપાત્ર બની છે. એમની, પ્રશંસા પામેલી વક્તૃત્વશક્તિની ઘણી વિશેષતાઓનો અનુભવ આ વ્યાખ્યાનોના વાચનથી પણ થાય છે. એમનો ઉમંગઉછાળ, પ્રશસ્તિ અને પ્રહારના અભિનિવેશોથી થયેલા ઉદ્‌ગારો તથા વાગ્મિતાપૂર્ણ વાણીની પ્રભાવકતા આ ગદ્યશૈલીમાં સરસ ઝિલાયાં છે. ગાથાઓનાં સંશોધન–અનુવાદ ‘અષો જરથુસ્રની ગાથાઓ પર નવો પ્રકાશ’(૧૯૪૯; અંગ્રેજી અનુવાદ, ૧૯૫૧) એમણે એક મોટી મહત્ત્વાકાંક્ષાથી, અને માંદગીની વચ્ચે પણ સખત પરિશ્રમ લઈને, કરેલું સંશોધનાત્મક કાર્ય છે. ઋગ્વેદની ભાષા સાથે આ ગાથાઓની ભાષાની તુલના, એના ઘટકો તારવીને એમણે કરી છે ને એ ગાથાઓના વિવરણ ઉપરાંત ગુરજરાતીમાં એનો પદ્યાનુવાદ આપ્યો છે. ખબરદારનાં વિવેચનોમાં ઉત્સાહના અંશો આગળ તરી આવતા હોય છે એથી એમનું લેખન ક્યારેક શાસ્રીયતાના અભાવવાળું પણ લાગતું હોય છે – એવું અહીં પણ કેટલેક ઠેકાણે જણાય છે. એમના આ ગ્રંથનો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનના કોઈ તદ્‌વિદ દ્વારા અભ્યાસ થાય તો ખબરદારના આ સંશોધનકાર્યનું ઉચિત મૂલ્ય આંકી શકાય.

‘ગુજરાતી કવિતાની રચનાકળા’ ઈ. ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીની ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ના ઉપક્રમે એમણે આપેલાં પાંચ વ્યાખ્યાનોનો આ ગ્રંથ(૧૯૪૧) શુદ્ધ પિંગળનો ગ્રંથ નથી. જ્યાં પિંગળની ચર્ચા છે ત્યાં પણ એમણે એની શાસ્રીય પદ્ધતિ સ્વીકારી નથી. પોતાનાં કેટલાંક અવલોકનોને આધારે, ને ઝાઝે ભાગે તો અનુમાનોને આધારે એમણે પદ્યરચનાના વિકાસક્રમને આલેખ્યો છે, પદ્યરચનાના પ્રવર્તમાન પ્રયોગો – અપદ્યાગદ્ય અને અગેય પદ્યની ચિકિત્સા કરી છે ને ગુજરાતીના સ્વાભાવિક ઉચ્ચારણને અનુકૂળ જણાયેલા ‘પ્રયત્નતત્ત્વ’ના સિદ્ધાંતના સંદર્ભમાં એમણે કરેલા છંદ – પ્રયોગોની, થોકબંધ ઉદાહરણો સાથે, ખૂબ વિસ્તાર પૂર્વક જિકર કરી છે. પદ્યરચનાનો વિષય એમને ‘કવિજીવનના પ્રારંભથી જ ઘણો રસદાયક હતો’ અને ઘણા લાંબા સમયથી છંદરચનાની ખાસિયતોનો એમણે અભ્યાસ કર્યો હતો ને એ અંગેનાં શાસ્રીય પુસ્તકોનું પણ એમનું ઘણું વિશાળ વાચન હતું – એ એમણે અહીં ને અન્યત્ર નિર્દેશ્યું પણ છે. પરંતુ, આ બધાનો વિનોયોગ એમનાં પ્રતિપાદનોમાં ખૂબ અભિનિવેશથી થતો રહ્યો છે એથી એમાં ભારોભાર વિવાદાસ્પદ અંશો પણ જોવા મળે છે. પદ્યરચનાની વિશેષતાઓને – ‘રચનાકળા’ને – દર્શાવતાં આ વ્યાખ્યાનોને, છંદચર્ચા ઉપરાંત કાવ્યચર્ચા પણ એમાં ઉમેરીને, એમણે વ્યાપક કર્યાં છે. પ્રથમ વ્યાખ્યાન ‘કવિતાનું ને કવિતારચનાનું મૂળ’માં એમણે પદ્યરચનામાં વિશિષ્ટ ભાવ-અર્થદર્શક અન્વયનું મહત્ત્વ આંકીને એ અન્વયમાં પ્રયત્નતત્ત્વનું મૂલ્ય સ્થાપ્યું છે. આવા અન્વયવિશેષથી ઊભા થતા નિયમિત ડોલનવાળી પદ્યરચનાને જ તેઓ કવિચિત્તના વિચારોને રસાનંદનું સ્વરૂપ આપનાર તત્ત્વ તરીકે ઓળખાવે છે. આ આખી ચર્ચા અતિ તર્કો અને મુગ્ધ અનુમાનોથી પ્રેરાતી ચાલી છે. સંગીત, ગેયતા, સૂર, લય, ડોલન આદિ ઘટકોની ચર્ચામાં એમણે (વ્યાખ્યાનને અંતે કરેલી યાદી મુજબનાં) કેટલાંક અંગ્રેજી પુસ્તકોનો આધાર લીધો જણાય છે પણ સિદ્ધાન્તોની એમના મનમાંની અસ્પષ્ટતા, પરિભાષાની તકલીફો અને ક્યારેક તો નર્યા કલ્પનાવિહારમાં બધું ફંટાઈ જતું હોવાથી એમનાં પ્રતિપાદનો બહુ સ્વીકાર્ય બની શકતાં નથિ. આવાં પ્રતિપાદનોના આધાર પર એમણે, અનિયમિત ડોલનવાળા અપદ્યાગદ્યના પ્રયોગો વિશે ને રૂપમેળમાં થતા શ્રુતિભંગ વિશે પ્રહારત્મક ભાષામાં વિરોધ વ્યક્ત કર્યો છે. ‘પ્રાચીન–અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ’ને ચર્ચતા બીજા વ્યાખ્યાનમાં એમણે, ઋગ્વેદકાલીન પદ્યમાં પ્રયત્ન (accen)નું તત્ત્વ હતું પણ સંસ્કૃત બોલચાલની (spoken) ભાષા ન રહેતાં એમાં પ્રયત્નતત્ત્વ રહ્યું નહીં ને સ્થિર શ્રુતિઓ જ મહત્ત્વની બનતાં રૂપમેળ છંદોનું પ્રભુત્વ જામ્યું, એવું અનુમાન કર્યું છે. ગુજરાતીમાં રૂપમેળ છંદોની ચુસ્ત અને નિયત શ્રુતિવ્યવસ્થા કૃત્રિમ અને વિચિત્ર ઉચ્ચારણ નીપજાવતી હોવાથી આવા છંદો સ્વીકારીને પછી શ્રુતિભંગ કરવો (ને એને પ્રયોગ ગણવો) એના કરતાં તો, ગુજરાતી ભાષાના પ્રયત્નતત્ત્વગત સ્વાભાવિક ઉચ્ચારણને જાળવતી માત્રામેળ કે લયમેળ રચનાઓ પ્રયોજવી – એવી એમણે હિમાયત કરી છે. પ્રયત્નતત્ત્વના પોતાના આ ખ્યાલની તથા પોતે નવા શોધેલા છંદોની બહુ વિગતે ચર્ચા પણ અહીં એમણે કરી છે. ત્રીજા વ્યાખ્યાનમાં, સહેજ ફંટાઈને એમણે ગઝલ, ઓડ અને સૉનેટ એ ‘અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરૂપો’ની ચર્ચા કરી છે. ગઝલના કેટલાક છંદોની વાત ઝડપથી પતાવીને, અને ઓડ વિશે સાવ અછડતું લખાણ કરીને – (ઓડની ચર્ચા અહીં શા માટે સમોલ કરી હશે એ સમજાતું નથી!) – એમણે સૉનેટ વિશે જ વિગતે વાત કરી છે. સૉનેટની લાંબી ચર્ચા પણ પ્રધાનપણે તો એમણે ઠાકોર આદિના પ્રયોગો પર પ્રહાર કરવા માટે ને પોતાના પ્રયોગોની મૂલ્યવત્તા દર્શાવવા માટે કરી હોય એવો આખા લખાણનો ટોન ઊપસે છે. પોતાની વાતના સમર્થનરૂપે એમણે, ક્રોસલેન્ડના ‘The English Sonnet’ પુસ્તકોનો આધાર લઈને ગુજરાતી પદ્યરચનાને અનુકૂળ નીવડે એવો સૉનેટના બહિરંગને જ લક્ષતા કેટલાક નિયમો તારવ્યા છે. કોઈક રૂઢિચુસ્ત સંસ્થાના પ્રવેશપત્રમાંના નિયમોની હોય એવી, જાણે સૉનેટકારપદ-વાંચ્છુએનો આદેશ આપતી ભાષા તથા ‘સૉનેટમાં ઝાઝા પ્રશ્નોવાળાં વાક્યો લાદવાં નહીં’ કે ‘બહુ શબ્દસમાસ કરવા નહીં’ જેવા સાવ મનસ્વી રીતે પેશ કરેલા ‘નિયમો’ બહુ હાસ્યાસ્પદ લાગે છે. પદ્યરચનાની ચર્ચામાં વચ્ચે આવી જતું સ્વરૂપચર્ચાનું આવું પ્રકરણ સાવ આગંતુક ને અપ્રસ્તુત પણ જણાય છે. એ પછીના વ્યાખ્યાનમાં ‘અખંડ પદ્ય’ની રચનાના પ્રયોગો અને તેના સંશોધનની ચર્ચા કરી છે. અખંડ પદ્યની ઐતિહાસિક અને સૈદ્ધાન્તિક લાંબી ભૂમિકા બાંધીને ‘બ્લૅન્ક વર્સ’ પ્રકારની રચનાને અનુકૂળ એવા આપણે ત્યાંના છંદપ્રયોગોની મીમાંસા કરી છે ને એ સંદર્ભે’ પોતાના ‘મહાછંદ’ની ઉપયુક્તતા નું વિગતે, ઉદાહરણો સાથે, સમર્થન કરવા પ્રયાસ કર્યો છે. ‘કવિતાની રચનાવિધિ અને ભાષા સરણી’ને લક્ષ્યતા છેલ્લા વ્યાખ્યાનમાં એમણે પદ્યરચનામાં કવિપ્રતિભાના થતા વિનિયોગની અને કાવ્યની પ્રભાવકતાની ચર્ચા છોડી છે. અગેયતા અને અર્થાનુસારી લયની સામે ખબરદાર સુગેયતા અને લયાનુસારી અર્થની તરફદારી કરે છે. (એમની આખી કાવ્યવિભાવના આ લયાનુસારી અર્થ – સરળતા, પ્રાસાદિકતા અને સુગેયતાથી લયાત્મકતામાં વહેતા અર્થબોધ – ના ખ્યાલમાં વ્યક્ત થાય છે.) એ સંદર્ભે કાવ્યની રચનાકલામાં તે ‘ભાષાસરણી’ (Diction)નું મહત્ત્વ આંકે છે. કેટલીક અંગ્રેજી ને મધ્યકાલીન ગુજરાતી કવિતામાંથી ઉદાહરણો લઈને, તથા ઠાકોર-ન્હાનાલાલની કવિતાનાં કેટલાંક ઉદાહરણો સાથે એને વિરોધાવીને, એમણે પોતાનાં મંતવ્યોને સમર્થિત કરવા પ્રયાસ કર્યો છે. પણ આ આખો પ્રયાસ કેવળ છાપગ્રાહી રહી ગયો છે – એમની કેટલીક બંધાઈ ગયેલી ગ્રંથિઓને ન્યાયી ઠેરવતી અંગત કેફિયતરૂપ બની ગયો છે. અભિનિવેશથી કરાયેલા આ ઉદ્‌ગારોમાં સ્વસ્થ સમજથી કરેલું કોઈ વિશ્લેષણ-વર્ણન ઉપર તરી આવતું નથી. પુસ્તકના પરિશિષ્ટમાં વૈદિક આર્ષ છંદો, ફારસી પદ્યરચના તથા ગુજરાતી શબ્દોમાંના પ્રયત્નો(strees accents) અંગે, પોતાના સમગ્ર વક્તવ્યના કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતારૂપે એમણે ટૂંકી નોંધ કરી છે. ખબરદારની વિચારણાના કેટલાક મહત્ત્વના ઘટકોનો પરિચય મળી રહે એટલા પૂરતું જ આમ પ્રકરણવાર નિર્દેશો આપવાનું આવશ્યક લેખ્યું છે. એ બધાની વિગતે આલોચના કરવાનું, વિસ્તારભયે, ટાળીને હવે એમના બે મહત્ત્વના સિદ્ધાન્તો ‘પ્રયત્નતત્ત્વ’ અને ‘અખંડપદ્ય’ની તથા એની નીપજરૂપ એમના ‘મુક્તધારા’ અને ‘મહાછંદ’ની ચર્ચા કરવા ધાર્યું છે. ‘કલિકા’ની પ્રસ્તાવનારૂપે મૂકેલા ‘ગુજરાતી પદ્યમાં પ્રયત્નબંધ’ એ નિબંધને પણ આ ચર્ચામાં સામેલ કરી લીધો છે. ખબરદારની છંદ–મથામણોમાં કાવ્યશ્રવણની એક મૂંઝવણ કેન્દ્રમાં રહી છે. ‘કલિકા’ના નિબંધમાં એમણે લખ્યું છે કે, ‘જ્યારથી હું ગુજરાતી કવિતા સાંભળતો કે વાંચતો આવ્યો છું ત્યારથી મને તેના ઉચ્ચારણમાં કોઈ અસ્વાભાવિક વિલક્ષણત જણાતી આવી છે.’ એમની આવી છાપ કેટલાંક શ્રુતિસ્થાનો પરત્વે કંઈક વાજબી પણ હતી કેમકે ગુજરાતીમાં શબ્દને અંતે આવેલી તથા પ્રથમ શ્રુતિ સિવાયનાં સ્થાનોમાં અસંયુક્ત દીર્ધ સ્વર પૂર્વે આવેલી ‘અ’શ્રતિ હ્વસ્વતર કે લગભગ અસ્વરિત જેવી (અને અનુચ્ચરિત તો નહીં કહેવાય) હોય છે. એ જ રીતે અક્ષરમેળમાં પણ તાલસ્થાન આવી શ્રુતિ પર પડતું હોય ત્યારે એ ભાર (stress) અસ્વાભાવિક લાગે છે. ખબરદારે આપેલાં નીચેનાં બંને ઉદાહરણોમાં અધોરેખિત સ્થાનોમાં આવી ‘અ’શ્રુતિનું વહન એમને ખટકાવાળું લાગ્યું હોય તો એ સમજી શકાય એમ છે. (બીજી પંક્તિમાં મૂકેલા દંડ તાલદર્શક છે.) (૧) ફરતાં ફરતાં આવ્યો એક માલતીમંડપ (૨) ધૂળની ઢગલીતણાં બાળક બનાવે ઘર પરંતુ આ બાબાત એમને પ્રયત્નતત્ત્વના તર્ક તરફ લઈ ગઈ એ વિલક્ષણ છે. કમળાશંકરના વ્યાકરણનો હવાલો આપીને એમણે ગુજરાતીનાં ઉચ્ચારણોની લાક્ષણિકતાઓ નોંધી એમાં મહત્ત્વનો મુદ્દો તો ઉપર દર્શાવેલી ‘અ’ શ્રુતિની વિશેષતાનો જ હતો. આ ‘અ’ શ્રુતિની અપેક્ષાએ (૧) શબ્દના આરંભે આવતી ‘અ’ શ્રુતિ (‘મન’માંનો ‘મ’) તથા (૨) અકારાન્ત શબ્દની ઉપાન્ત્ય ‘અ’શ્રુતિ (‘સાગર’માંનો ‘ગ’) દીર્ધ હોય એ તો એનો એક સંદર્ભનિયત ધર્મ જ ગણાય. એથી આ પ્રકારની શ્રુતિઓમાં એમણે ‘પ્રયત્નતત્ત્વ’ જોયું એ આવા સંદર્ભનિયત ઉચ્ચારણધર્મનો ખ્યાલ ન આવવાને લીધે થયેલા સંભ્રમનું જ પરિણામ લાગે છે. ગુજરાતી સ્વરની આવી ઉચ્ચાવચ કોટિઓ અંગ્રેજીના સ્વરભાર(accent)ની જેમ અર્થભેદક બનતી નથી એ પણ ખબરદારના ધ્યાન બહાર રહ્યું જણાય છે. આ પ્રયત્નતત્ત્વનો એક છાપગ્રાહી નિયમ ખબરદારે નિપજાવી લીધો છેઃ ‘મુખ્ય પ્રયત્ન તો શબ્દની પ્રથમ શ્રુતિ પર જ પડે છે; પછી જે જે શ્રુતિમાં ગુરુ સ્વર હોય અથવા જેની પાછળનો ‘અ’કાર શાંત હોય તે તે શ્રુતિ પર ગૌણ (secondary) પ્રયત્ન આવે છે.’૨૨ આવા પ્રયત્નતત્ત્વને જાળવીને, કાવ્યમાં પ્રયોજાતા કોઈપણ શબ્દના ઉચ્ચારની સ્વાભાવિકતા સાથે સંવાદી રહે એવો છંદ શોધતાં મનહર જેવો અક્ષરમેળ છંદ એમની નજરે ચડે એ સહજ હતું. એમના ‘મુક્તધારા’ છંદમાં એમણે, સાત ચતુરક્ષર સંધિ અને એક ત્ર્યક્ષર સંધિથી રચાયેલા મનહરના છેલ્લા સંધિને દ્વિ–અક્ષર કર્યો તથા એના પ્રત્યેક ચતુરક્ષરી જૂથમાં પોતાના ‘પ્રયત્નતત્ત્વ’ને આ રીતે દાખલ કર્યું : ‘તમામ સંધિઓમાંની પ્રથમ શ્રુતિ પર જ મુખ્ય પ્રયત્ન આવવો જોઈએ. સંધિની ત્રીજી શ્રુતિ પર એથી ઊતરતો (Secondary) પ્રયત્ન હોય તો લયમાધુર્ય વધે છે.’ આ મુજબ, સામાન્યતઃ પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય, શબ્દની આદિ શ્રુતિ પર જ તાલસ્થાન આવે તેવી સ્થિતિ એમણે આદર્શ લેખી પણ છંદની અનેક પંક્તિઓમાં કાવ્યના પ્રત્યેક શબ્દનો વિનિયોગ આ રીતે શક્ય ન બને. એથી એમણે એક અપવાદ પણ રાખ્યો કે ક્વચિત્‌ સંધિની આદિ શ્રુતિમાં શબ્ધનો (આદિ સિવાયનો) ગૌણ પ્રયત્નવાળો સ્વર પણ હોય. જેમ કે- જાઓ, મારાં ગીત, હતી પાંખો તમ નાની ત્યારે એ પંક્તિમાં તો પ્રત્યેક સંધિ નવા શબ્દથી જ આરંભાય છે ને ત્રીજી શ્રુતિ પર, ખબરદાર કહે છે એવો ઊતરતો (secondary) પ્રયત્ન પણ વરતી શકાય છે. પરંતુ– નવીન વિ ચારને હુ લાવતો કો કવિ જેમ એ પંક્તિમાં ‘વિચારને’ ને ‘હુલાવતો’ શબ્દોને તોડવા પાડ્યા છે. આમ, પ્રયત્નવાદ મુજબના ગૌણ પ્રયત્નને છંદની સંધિનો મુખ્ય પ્રયત્ન કરવામાં અસ્પષ્ટતા સરજાય છે – લયનું સામંજસ્ય પણ નથી અનુભવાતું. જહાંગીર સંજાનાએ નોંધ્યું છે એમ અહીં સ્વાભાવિક ઉચ્ચારવાદ મુજબ જોતાં પહેલી સંધિની ચોથી શ્રુતિ – જે ગૌણ પ્રયત્નવાળી શ્રુતિ પણ ન ગણાય – એના પર મુખ્ય પ્રયત્ન આવ્યાનો ઘાટ થયો છે! ‘કલિકા’માંથી આવાં થોકબંધ ઉદાહરણો નોંધીને એમણે તારવ્યું છે કે, ‘કવિનો પ્રયત્નવાદ એક ભ્રમ છે, ને ઉચ્ચારણવાદે એમાં વધારો કરી આપ્યો છે.’૨૩ ખબરદારની વિચારણામાં સંદિગ્ધતા રહી ગઈ છે ને સંજાણાનો પ્રતિવાદ પણ કેટલાક તથ્યાંશોવાળો છે પણ ખબરદારે પ્રયુક્ત કેરલા મુક્તધારાની એક છંદ તરીકેની લાક્ષણિકતામાં એક બીજો જ મહત્ત્વનો મુદ્દો ઊપસે છે કે, પ્રયત્ન નહીં પણ તાલ એનું મુખ્ય નિયામક તત્ત્વ છે. ખબરદારની અંતર્કર્ણેન્દ્રિયે ઉચ્ચારણમાં વિશેષ ખટકતી પેલી ‘અ’ શ્રુતિને ટાળીને, અન્ય દીર્ધ શ્રુતિઓ પર જ તાલસ્થાનોને પડવા દીધાં છે એથી એમણે નિર્દેશેલા નિયમોનો ભંગ કરતી હોવા છતાં ‘મુક્તધારા’ની કોઈ પંક્તિમાં, દલપતરામની ‘ધૂળની ઢગલીકેરાં બાળક બનાવે ઘર’ એ પંક્તિમાં ‘અ’ શ્રુતિનો કૃત્રિમ ઉચ્ચાર ખટકે છે એ રીતે કોઈ શ્રુતિ ખટકતી નથી. આ એક બાબતે, મનહરને સંમાર્જિત કર્યાનું માન ખબરદારને નિઃશંક આપી શકાશે. ઉપરાંત, આ પ્રથમ શ્રુતિ પરના તાલના બળને કારણે મનહરના બીજા ચરણના છેલ્લા સંધિ પરના તાલ પછીની શ્રુતિઓ આપોઆપ જ ગૌણ થઈ જાય છે. મનહરનો છેલ્લો સંધિ આમેય ત્રણ શ્રુતિઓનો છે ને એમાંની છેલ્લી શ્રુતિ તો ગૌણ તાલતત્ત્વને જ જાળવતી હતી એટલે ‘મુક્તધારા’ની ૧૪મી – છેલ્લા સંધિની બીજી શ્રુતિ લઘુ કે ‘શાંત’ (ખબરદારની દૃષ્ટિએ કદાચ અસ્વરતિ) હોય તો એ લયભંગ સરજતી નથી, સુંદરમ્‌ કહે છે એવી, છેલ્લી શ્રુતિના ગુરુત્વની અપેક્ષા જન્માવતી નથી. એક વિશિષ્ટ લય આથી નીપજે જ છે. પરંતુ, ખબરદાર કહે છે એમ આ છંદ પ્રવાહી તો થયો નથી. ચતુરક્ષરી સંધિઓનાં ચોસલાંના આવર્તનથી એકતાનતા જન્મે એને ટાળવા માટે – એ શોભારૂપ યતિને તોડવા માટે – પણ સંધિની આદિ શ્રુતિ એ શબ્દની પણ આદિ શ્રુતિ હોય એવા પોતાના જ નિયમનો અપવાદ કરવાનું ખબરદાર સૂચવે છે ને ઉપરનિર્દિષ્ટ ‘નવીન વિચારને હુલાવતો કો કવિ જેમ’ એ પંક્તિમાં શબ્દો યતિસ્થાનોને ભૂંસે છે એમ દર્શાવે છે. પરંતુ પ્રયત્નતત્ત્વ અને તાલ અહીં એટલાં બધાં નિયામક રહે છે કે યતિસ્થાન આગળ શબ્દ તૂટતો જ અનુભવાય. ને આથી જ પ્રવાહિતા આવી નથી. વળી તાલનું નિયમન રહે, નિયમિત ડોલન જળવાય, એ પણ એમને અભિપ્રેત લાગે છે. ‘તેમાં માત્ર અક્ષરગણના સિવાય બીજું કશું નિયામક તત્ત્વ ન હોવાથી હું તેને પદ્યમાં કે છંદમાં ગણતો નથી,’ એમ વનવેલિ વિશે તેમણે કહ્યું જ છે.૨૪ પણ આ જ આગ્રહને કારણે મુક્તધારા છંદ વનવેલી જેવો પ્રવાહી છંદ બન્યો નથી. પ્રયત્નવાદ અંગેનાં ખબરદારનાં પ્રતિપાદનોમાં બીજી એક મહત્ત્વની મર્યાદા પણ રહી ગઈ છે. બોલચાલની ભાષાના સ્વાભાવિક ઉચ્ચારણને એમણે પદ્યલયની સાથે નાહક અથડાવી દીધું છે. પાઠ્યતા સ્વીકારીએ તો પણ પદ્યલયની વિશેષતા, એટલે કે ભિન્નતા, તો રહે જ છે. શ્રાવ્યતાની ઉચ્ચાવિચ કોટિઓ અને વૈવિધ્યથી એની જુદી જ ભાત ઊપસી રહે છે. વળી, ખબરદાર જાતે તો, કવિતામાં અગેયતાની સામે સુગેયતાના હિમાયતી પણ રહયા છે. આ દૃષ્ટિએ તો પદ્યમાં હ્રસ્વત્વ ને દીર્ઘત્વ વચ્ચેનો ગાળો(range) મોટો રહેવાનો, એની અનેક કોટિઓ રહેવાની. પોતાના સમકાલીનોની કવિતામાં – ખાસ કરીને ગણમેળ રચનાઓમાં એમને લાગેલી ઉચ્ચારણક્ષતિઓની સામે એમણે મધ્યકાલીન કવિઓની માત્રામેળી રચનાઓમાંના ‘સ્વાભાવિક ઉચ્ચારણ’ની જ દલીલ ધરી છે એ પણ ટકી શકે એમ નથી. સુંદરમે અને સંજાણાએ મધ્યકાલીન કવિતામાંથી અનેક પંક્તિઓ ટાંકીને બતાવી આપ્યું છે કે એમાં તો દેશી ઢાળોની ગેયતાને કારણે શબ્દાન્ત ‘અ’શ્રુતિ ની હ્રસ્વતા પણ જળવાઈ નથી! અંગ્રેજી ‘બ્લેંક વર્સ’ પ્રકારના છંદની શોધ માટેના અપદ્યાગદ્ય (ન્હાનાલાલ), વનવેલી (કે.હ.ધ્રુવ), અગેય પૃથ્વી (બળવંતરાય) આદિ પ્રયાસોની અપર્યાપ્તતા બતાવી, પોતે શોધેલો ‘મહાછંદ’ એ ક્ષેત્રે સર્વપ્રથમ સફળ શોધ હોવાનો દાવો એમણે કર્યો છે – ‘આપણા ભારતવર્ષના પદ્યશાસ્રમાં આ કેવળ નવીન રચના છે.’૨૫ આ ‘મહાછંદ’ માટે એમણે ‘સ’ ગણ (લલગા)નાં પાંચ આવર્તનોવાળા ભ્રમરાવળીને પસંદ કર્યો ને એને રૂપમેળમાંથી ‘રૂપબદ્ધ લયમેળ’ બનાવ્યો એટલે કે પ્રત્યેક સંધિના અંતિમ સ્વર પર તાલ પડતો હોવાથી એ સ્વરને – સ્વાભાવિક પ્રયત્ન’ જેના પર આવતો હોય એવો – ગુરુ સ્વર રાખ્યો. બાકીના બે એના રૂપમેળ બંધારણની જેમ લઘુ જ રહે એમ નહીં – એ લઘુ – ગુરુ ગમે તે શ્રુતિ ધરાવતા હોઈ શકે. આમ કરવાથી કવિને ‘અમીરી છૂટ’ મળે છે ને કોઈપણ શબ્દ, ઉચ્ચારની અસ્વાભાવિકતા વિના, આવા છંદમાં દાખલ કરી શકાય – એવું એમનું પ્રતિપાદન છે. આવા લયમેળ ભ્રમરાવળીથી નીપજતા ‘મહાછંદ’ને તે આયંબિક પેન્ટામિટર પ્રકારનો ગુજરાતી છંદ ગણાવે છે. ‘પેન્ટામીટર’ને લીધે આપણને પાંચ સંધિ જોઈએ, તે લઈને ત્રિવર્ણી સંધિ કરી ત્રીજી એટલે કે છેલ્લી શ્રુતિ પર તાલ યાને પ્રયત્નમેળ રાખ્યાથી ‘આયંબિક પેન્ટામીટર’ની નજીકનો લય શક્ય છે તેટલો સાધી શકાય છે.’૨૬ અહીં પણ ખબરદાર પ્રયત્નતત્ત્વને તો આગળ ધરે જ છે. દરેક સંધિના અંતે આવતા તાલસ્થાનને તે લયબિંદુ કહે છે. આ લયબિંદુ મહદંશે તો શબ્દના સ્વાભાવિક મુખ્ય પ્રયત્નનું બિંદુ પણ હોય. ક્યારેક એ લયબિંદુ થોડુંક અન્ય શ્રુતિઓ તરફ પણ ખસે તો એથી વધુ વૈવિધ્ય આવે એવો એમનો ખ્યાલ છે. પરંતુ આમ કરવાથી એમના શબ્દગત ‘પ્રયત્નતત્ત્વ’ના નિયમો અને ‘મહાછંદ’ના નિયમો વચ્ચે ઠીક ઠીક અરાજકતા ઊભી થઈ છે. શબ્દનો મુખ્ય પ્રયત્ન અને શબ્દના મુખ્ય–ગૌણ પ્રયત્નોની ભેળસેળ થાય છે. લયબિંદુ અન્ય શ્રુતિ પર આવતાં વૈવિધ્ય આવે એવી દલીલથી એમણે આ મુખ્ય-ગૌણ પ્રયત્નતત્ત્વની મુશ્કેલીને ઉકેલવા પ્રયત્ન કર્યો છે પણ એ દલીલ બહુ કામ આવતી નથી કેમ કે પ્રત્યેક પંક્તિમાં આવા પ્રયત્નો, સ્વાભાવિક રીતે જ, ઘણા વધુ રહેવાના જેમ કે– રવિનાં પણ કિરણ સૌ દૂર દૂર ધસી આ પંક્તિમાં ઊભા દંડથી દર્શાવેલી શ્રુતિઓ પર તાલ પડે છે પણ તેમાં શબ્દની આદિ શ્રુતિ પરનાં હોય એવાં તો તાલસ્થાનો તો ત્રણ જ છે. બાકીનાં ગૌણ શ્રુતિ પર આવે છે. વળી પ્રયત્નતત્ત્વની દૃષ્ટિએ તો, આ તાલસ્થાનો સિવાયની (અધોરેખાથી દર્શાવેલી) ચાર શ્રુતિઓ પર ‘મુખ્ય પ્રયત્ન’ પડે છે. જે ‘મહાછંદ’ની રીતે ગૌણ છે! એટલે આ પદ્યલય પણ સ્વાભાવિક ઉચ્ચારણની સમરેખ તો ચાલતો જ નથી. અહીં પણ તાલ જ નિયામક-તત્ત્વ બને છે. દૃઢ તાલસ્થાનોને કારણે ‘સ’ગણની પહેલી બે લઘુ શ્રુતિઓમાં ક્યારેક થતો ગુરુ શ્રુતિનો પ્રવેશ સહ્ય બન્યો છે, લયના પ્રવાહમાં એ ભળી જાય છે – આને ખબરદારના આ નવા છંદની એક નોંધપાત્ર વિશેષતા ગણી શકાય. પરંતુ પ્રત્યેક સંધિની અંતિમ શ્રુતિએ પડતો તાલ અહીં એટલો બધો નિયામક નીવડ્યો છે કે એણે એક તરફ ખબરદાર પ્રસ્થાપિત સ્વાભાવિક ઉચ્ચારણના ખ્યાલને તોડ્યો છે તો બીજી તરફ છંદના અખંડત્વને અને પ્રવાહિતાને એ અવકાશ આપતો નથી – એની એકતાનતા ક્યારેક શ્રવણકર્કશ પણ નીવડે છે. એટલે, અખંડ પદ્ય માટેનો છંદ શોધવાની, એક વધુ, અસફળ મથામણ તરીકે એ રહી જાય છે. ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ પરનાં આ વ્યાખ્યાનો, આમ, પદ્યરચના અને છંદોવિધાન વિશેની ખબરદારની વર્ષો સુધીની ઊંડી જિજ્ઞાસા અને મથામણોનું પરિણામ હોવા છતાં અને એમના બહોળા વાચનના તથા એમની અભ્યાસવૃત્તિના નિર્દેશો આપતાં હોવા છતાં એમની અવિશદ રહી ગયેલી ગયેલી વિભાવનાઓને લીધે, મુગ્ધ ને કાલ્પનિક અનુમાનો પર એમણે અભિનિવેશ ને આત્મરતિપૂર્વક સિદ્ધાન્તો બાધી દીધા હોવાને કારણે તથા પ્રવર્તમાન પદ્યપ્રયોગોની એમને લાગેલી નિરર્થકતા સામે એવા જ નિરર્થક પ્રહારોમાં વ્યક્ત થતી આક્રમકતાના અસંતુલનને કારણે એમનું વક્તવ્ય વિશીર્ણ તથા પરસ્પરને છેદતાં પ્રતિપાદનોવાળું બની ગયું છે. એમણે આ વ્યાખ્યાનોમાં વારંવાર વ્યક્ત કરી છે એવી શુદ્ધ બુદ્ધિ ને સાહિત્યસેવાથી એ પ્રેરાયા હોય તો પણ એનું કશું સ્વારસ્ય રહ્યું નથી, કશું નક્કર, રચનાત્મક એમાંથી ઊગ્યું નથી. પદ્યરચના અંગે તે સમયે મચાવેલા ઊહાપોહની દૃષ્ટિએ એનું એક ઐતિહાસિક મૂલ્ય સ્વીકારી શકાય છે પણ આપણે ત્યાં થયેલી પિંગળની કે કાવ્યશાસ્રની ચર્ચાઓનું કોઈ મહત્ત્વનું વિકાસક બિંદુ આ વ્યાખ્યાનો બની શક્યાં નથી. આવો એક મોટો, મહત્ત્વાકાંક્ષી પ્રયાસ સરેરાશ રહી ગયો એ નારાજ કરે એવી ઘટના છે.

પત્રો ખબરદારના પત્રોમાં એમના વ્યક્તિત્વનું એક નવું પરિણામ ઊઘડે છે. બહુ મોકળાશથી એમાં એમની કેટલીક લાગણીઓ ને કેટલાક ખ્યાલો વ્યક્ત થયાં છે, સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યની સંસ્થાઓ વિશેના એમના સ્પષ્ટ નિર્ભિક અભિપ્રાયો વ્યક્ત થયા છે, એમની લેખનરીતિ ને સર્જનપ્રક્રિયાની કેટલીક લાક્ષણિકતાઓ પ્રગટ થઈ છે, સાહિત્ય પ્રત્યેની ઊંડી પ્રીતિ-ભક્તિનો અને સાહિત્ય માટે એમણે કરેલા પરિશ્રમનો અંદાજ એમાંથી મળે છે ને ખાસ તો, ઉત્તરવયે એમણે પોતાની ને સ્વજનોની માંદગી, આર્થિક સંકડામણ, ઉપેક્ષા પામ્યાની ને એકલા પડી ગયાની લાગણીએ જન્માવેલાં કટુતા ને હતાશા – એ બધાની જે અસહ્ય વેદના અનુભવી અને પોતાની સર્જનનિષ્ઠા ને ઈશ્વરશ્રદ્ધાથી આવી સ્થિતિમાં પણ એ ટકી રહ્યા એનો એક ટ્રેજિક ચીતાર એમાંથી મળે છે. ખબરદારના એક અભ્યાસી ડૉ. ‘મધુરમે’ એમના તાજેતરના એક લેખ (‘ગ્રંથ’ ઑક્ટોબર’ ૮૧)માં નોંધ્યું છે એમ ખબરદારે પચીસેક વ્યક્તિઓ પર લખેલા ૧૪૧ પત્રો એમને પ્રાપ્ત થયેલા છે. જો કે ખબરદારના પ્રકાશિત પત્રો તો થોડાક જ છે – ‘સ્મારક ગ્રંથ’માંના ‘પત્ર-સંચય’ વિભાગમાંના સાડત્રીસ, આ ગ્રંથમાં અને ‘કનકોત્સવ ગ્રંથ’માંનાં ‘સંસ્મરણો’માં ઉલ્લેખાયેલા બે-ત્રણ અને બળવંતરાયના એક લેખ (‘સાહિત્ય’, નવેમ્બર’ ૩૧)માં નોંધાયેલા ત્રણ-ચાર. અલબત્ત, આ પ્રકાશિત પત્રોમાં પણ, મધુરમે એમના લેખમાં તારવેલી ખબરદારના વ્યક્તિત્વની લગભગ બધી જ લાક્ષણિકતાઓ ઝિલાઈ છે. પત્રોમાં ખબરદાર બહુ તીવ્ર રીતે વ્યક્ત થાય છે. અન્યોની ટીકા અને પોતાની પ્રશંસા પણ એમણે નિઃસંકોચપણે કરી છે. પોતાની કવિતા વિશે એમને ખૂબ ઊંચો ખ્યાલ હતો. બલવંતરાય પરના એક પત્રમાં, પોતાના એક ખોવાઈ ગયેલા કાવ્ય વિશે લખેલું; ‘ગંભીરતા, પ્રૌઢિ, સરલતા, પ્રવાહિતા વગેરે અખંડ પદ્યના મોટા ગુણો તેમાં આગળ પડતા હતા.’ (તા. ૨-૯-૨૮). નાનુભાઈ શેલત પરના એક પત્રમાં તો ઘણા નવા પ્રદેશ ખોલ્યા છે, જે પ્રતિ ધીરે ધીરે ભવિષ્યની પ્રજાનું લક્ષ અવશ્ય ખેંચાશે એવી મારી શ્રદ્ધા છે.(૨૬-૭-૨૭) પોતાની કવિતાનાં વિવેચનોથી એ નારાજ હતા. કાવ્યો પૂરાં વંચાયા વિના જ લખાતું હોય છે ને એમની કવિતાની ‘કળા’ તરફ કોઈનું ધ્યાન ગયું નથી, એવી ફરિયાદો એમણે પત્રોમાં સતત કરી છે. વિવેચકો વિશે એમણે અભિપ્રાય પણ તારવી લીધેલોઃ ‘આપણે ત્યાં વિવેચકો હજી છે છે જ નહીં. કાં તો પ્રશંસકો છે કાં તો માત્ર નિંદકો જ છે.’ (૨૬-૭-૨૭). એમની સાહિત્યસાધનાની બે મહત્ત્વની લાક્ષણિકતાઓ પત્રોમાં વ્યક્ત થઈ છે – કવિતા પ્રેરણાવશ સતત એક બેઠકે ધોધમાર લખાઈ છે ને વિવેચનાત્મક લખાણો એમણે પરિશ્રમ વેઠીને પણ નિયમિત ને એક સાથે લાંબો સમય બેસીને લખ્યાં છે. હર્ષદ દેસાઈ પરના એક પત્રમાં એમણે લખ્યું છેઃ ‘ગઈ તા. ૧૬ ઑગસ્ટથી મને પાછું કવિતાનું ‘વાદળું’ ચઢી આવ્યું છે. આ ૩૬ દિનમાં મેં ૧૧૨ સૉનેટો ને ૩-૪ છૂટી કવિતાઓ લખી છે x x x હજી ધોધ ચાલુ છે x x x આખો દિવસ ને રાતના અગિયાર સુધી કવિતાથી હું ભરાઈ રહેલો છું. ઝાપટાં આવ્યા જ કરે છે.’ (૨૨–૯–૪૨). ગાથાઓ વિશેના પોતાના મહત્ત્વાકાંક્ષી ગ્રંથ માટે તો એમણે માંદગી વચ્ચે પણ ભારે પરિશ્રમ કર્યો છે. છેલ્લાં દસ-બાર વર્ષ એમનું લગભગ બધું જ ધ્યાન કેન્દ્રીત હતું. લખે છે : ‘રાતના છેક બાર સુધી નિયમિતપણે એ કામ કરું છું. x x x મોટા મોટા ભારે પોથાઓ સૂતાં સૂતાં ઊંચકી પેટ પર રાખીને ઉથલાવવાનાં – એ બધું કરતાં ખભાં ને હાથ રહી જાય છે.’ (૧–૬–૪૩). છેલ્લા વર્ષોમાં એમની તીવ્રતા વધે છે. કામ હજુ અધૂરું છે ને, જ્યોતિષના એમના અભ્યાસે, સામે પોતાનો મૃત્યુયોગ તે જુએ છે. – ‘ને આવતી ૧૨મી જુલાઈની આસપાસ મૃત્યુસંભવ છે x x x નારે સંશોધનનું બહુ કામ બાકી છે, હજુ ઘણું લખવાનું છે.’ (૧૬–૬–૫૨). આ ગ્રંથનું કામ પૂરુ થતાં એમણે સંતોષ ને રાહત અનુભવેલાં. અવસાનના બે દિવસ પહેલાં, ફરામરોજ ધનભુરા પરના એક પત્રમાં લખેલું ; ‘મારું જીવનકાર્ય મેં પૂરું કીધું છે, સાહેબે ઘણી મહેર કીધી છે.’ (૨૮–૭–૫૩). સતત ચાલેલી માંદગીની વેદનાની વચ્ચે પણ એમણે લખ્યું છે. સાહિત્યસર્જનથી પોતાની આ વેદનાને તે ભૂલ્યા છે. એટલું જ નહીં, સખત માંદગીમાં પણ સર્જન એમનું જીવનબળ બન્યું છે. લખે છેઃ ‘એ જ મારી વેદનાને ઓછી કરે છે ને મને ટકાવી રાખે છે. ઘાણીમાં પીલાઈને તેલ નીકળે છે.’ (૨૨–૯–૪૨). અને ‘લખતો ને કામ કરતો બંધ થાઉં તો આઠ દિન પણ જીવી શકું નહીં.’ (૩–૪–૪૪). એમના ઘણા રાગદ્વેષો પણ પત્રોમાં વ્યક્ત થયા છે. વ્યક્તિઓ વિશે, સાહિત્ય પરિષદ આદિ સંસ્થાઓ વિશે એમણે ઘણી પ્રહારાત્મકતાથી – ક્યારેક કડવાશથી – લખ્યું છે, નિર્ભિક અભિપ્રાયો આપ્યા છે. (જાહેરમાં પણ એમણે તીખા ને નિર્ભિક ઉદ્‌ગારો કાઢ્યા હશે એવું પણ કેટલાક પત્રોમાંની વિગતો પરથી જાણી શકાય છે). ન્હાનાલાલ અને બળવંતરાય સામેના એમના વાંધા જાહેરમાં તેમ આ આ પત્રોમાં પણ ઘણી તીવ્રતાથી વ્યક્ત થયા છે. અલબત્ત એનું બીજું પાસું પણ છે. આ બંનેના કેટલાક ઉત્તમ સાહિત્યકાર્ય તરફનાં પ્રીતિ–આદર પણ એમાં વ્યક્ત થયાં છે. નાનુભાઈ શેલતને લખેલા એક પત્રમાં, લેખનની પ્રૌઢિ કેળવવા બળવંતરાય આદિના ગદ્યનો અભ્યાસ કરવાનું એ સૂચવે છે, તો ‘ન્હાનાલાલને એમની સાચી જગા મળી જ છે’ (હને, ૧૪–૧૨–૪૪), જેવા શુભેચ્છા-ઉદ્‌ગારો પણ એમને કાઢ્યા છે. આવા આદરની સાથે નર્મ–મર્મની ને સ્પષ્ટ વકતૃત્વની એમની લાક્ષણિકતા પણ પ્રગટ થતી રહી છે. બળવંતરાયને એક પત્રમાં લખે છેઃ તમે શું કરો છો? ચર્ચાપત્રોની છાપાછાપીમાંથી પરવાર્યા કે નહી? નવાં કાવ્યપુસ્તકો તમારાં ક્યારે બહાર પડે છે? હું તો એ જાણવા આતુર છું.’ (૨–૧૦–૧૯૨૭). ઠાકોરનો અમૃતમહોત્સવ ઉજવવાની તૈયારી ચાલતી હતી એ સંદર્ભે હર્ષદ દેસાઈ પરના પત્રમાં લખેલુંઃ ‘સારું છે. બાલુભાઈએ પણ આપણા સાહિત્યની ઘણી સેવા કીધી છે ને તેમને એ માન ૨૫ વર્ષ પર આપતે તો તેઓ બીજાઓ માટે વિરોધ નહીં કરતે. પણ હજી પણ આપે તો સારું, મતભેદ ભલે હોય પણ હૃદયભેદ નહીં જોઈએ.’ (૮–૧૧–૪૩). અહીં સહેજ ટોણો છે, પણ એમણે પોતાના રાગદ્વેષોને છુપાવ્યા નથી, સાવ ખુલ્લી રીતે વ્યક્ત થવા દીધા છે. ખબરદારની, લગભગ જીવનપર્યત ચાલેલી ને અંતિમ વર્ષોમાં અત્યંત વેદનાપૂર્ણ બનેલી માંદગીએ એમના વ્યક્તિત્વની જે રેખાઓ ઉપસાવી છે એ નોંધપાત્ર છે, માંદગીએ એમની જિજીવિષાને અને એ સાથે સિસૃક્ષાને પણ તીવ્રતર બનાવેલી. એમની ૪૮ની વયથી આ બિમારી અસાધ્ય બનેલી હતી. બળવંતરાય પરના એક પત્રમાં લખે છેઃ ‘દાક્તરો બધું કરી થાક્યા છે અને કહે છે કે, my will alone is keeping me alive and my work hetherto’. (૨–૯–૮૨). એ પછી ખબરદાર ૨૫ વર્ષ જીવે છે! એમણે જુદી જુદી વ્યક્તિઓને લખેલા લગભગ દરેક પત્રમાં એમની બિમારીનો કોઈ ને કોઈ રીતે ઉલ્લેખ થયેલો છે–વેળાસર જવાબ ન લખાયાની ક્ષમાયાચના રૂપે, સતત લેખનકાર્યની વચ્ચે અડચણરૂપ બનતા હાથ-પગના દુઃખાવાની ફરિયાદ રૂપે કે એથી આવેલાં હતાશા અને મૂંઝવણની કેફિયત રૂપે. એમની બિમારી ઉપરાંત કુટુંબના અન્ય સભ્યોની બિમારી, લોકોની કૃતઘ્નતાને કારણે જન્મેલી હતાશા, આર્થિક મુશ્કેલી, એકલતા – એવી પરિસ્થિતિઓ ઊભી થતાં ખબરદારનાં છેલ્લાં કેટલાંક વર્ષોનું જીવન ઘણું કરુણ બને છે. એક જબરદસ્ત setback આવી જાય છે. મદ્રાસમાં રહ્યા ત્યારે પોતના પ્રિય ગુજરાતીઓથી દૂર રહ્યાનો એક વસવસો ને ગુજરાતમાં વસવાની ઉત્કંઠા એમના મનમાં રહેલાં. બારેક વર્ષના (’૩૮ થી ’૫૧) મુંબઈનિવાસે એમનું સ્વપ્ન છિન્ન કરી નાખ્યાનો ને ઉપેક્ષા પામ્યાનો ભાવ એ અનુભવે છે. ફરી મદ્રાસ જતાં પહેલાં એમણે હર્ષદ દેસાઈને લખેલુંઃ ‘હવે બહુ દહાડા જીવવાની મને આશા કે ઇચ્છા નથી. આ દુનિયાની બુરાઈ ને કૃતઘ્નતાથી ધરાઈ ગયો છું’ (૨૩–૧૦–૫૧). જ્યોતીષના અભ્યાસે પોતાના મૃત્યુની આગાહીઓ એમણે કરેલી એ પણ પત્રોમાં વ્યક્ત થયું છે. એમાં જિજીવિષાથી ઊભો થતો સંભ્રમ હશે પરંતુ – ખાસ તો એમના અધૂરા સાહિત્યકાર્યને પૂરું કરવાની આકાંક્ષાથી – એમણે યોગક્રિયાઓ આદિથી આયુષ્યને લંબાવવાના સંકલ્પભર્યા પ્રયાસો પણ કર્યા છે એ નોંધવું જોઈએ. છેલ્લાં વર્ષોમાં પત્ની અને પુત્રીઓ પણ બિમાર પડે છે. એમની માવજત પણ પોતાની માંદગી વચ્ચે ખબરદારને કરવી પડે છે. પરિસ્થિતિ વણસતી જાય છે. લખે છેઃ ‘લકવાનું જોર વધ્યું છે, પૈસા વિના ખાવાની પણ તાણ છે.’ પણ સ્વસ્થ રહેવાનો એ પ્રયત્ન કરે છેઃ ‘મારા મનની શાંતિ મેં ખોઈ નથી. ઘડીભર અકળામણ થાય છે તેને દાબી દઉં છું’ (હર્ષદ દેસાઈને, ૧૦–૧૦–’૫૨). પત્નીનું મૃત્યુ થતાં એ ભાંગી પણ પડે છેઃ ‘હવે તો એકલવાયો થયો છું ને તરતમાં કંઈ સૂઝતું નથી. ઘર ખાવા ધાય છે’ (૨૩–૧૦–૫૨). પરંતુ અગાઉના એક પત્રમાં નોંધ્યું છે એમ, પોતાનું સાહિત્યકાર્ય પૂરું થતાં એ સંતોષ પણ અનુભવે છે. આવી વિટંબણાઓ અને દ્વિધાઓમાં પણ ઝઝૂમેલા ને સિસૃક્ષાબળે ટકી રહેલા, બલકે પોતાની જાતને સાહિત્યને અર્પણ કરી ચૂકેલા એક વીર વ્યક્તિની એના પત્રોમાં ગૂંથાયેલી આ કરુણાસભર ગૌરવગાથા આપણા ચિત્ત પર ચિરંજીવ અસર કરી જાય એવી છે.