ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે : સિદ્ધાંત l સમજ l પ્રત્યક્ષ વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે
સિદ્ધાંત ● સમજ ● પ્રત્યક્ષ વિવેચન[1]

જેમના નામ સાથે આ વ્યાખ્યાન-શ્રેણી જોડાયેલી છે એ ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં રસ-રુચિ અને અધ્યયન-લેખન, આપણે સૌ જાણીએ છીએ તેમ, અનેકવિધ વિષયો ને ક્ષેત્રોમાં પ્રસરેલાં હતાં. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્ય, સંસ્કૃત સાહિત્યમીમાંસા, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તેમજ લોકસાહિત્યનો એમનો અભ્યાસ અને એમનાં વિવેચન-સંશોધન વ્યાપ અને ઊંડાણવાળાં હતાં; પશ્ચિમના સાહિત્યવિચાર પર એમની દરેક તબક્કે નજર રહી હતી – સૌંદર્યશાસ્ત્ર, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદના અધુનાતન પ્રવાહોને તે સ્પર્શતા રહ્યા હતા. ભાષાવિજ્ઞાન એમનું અધ્યાપનક્ષેત્ર. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનથી આરંભીને વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનનાં નવાં સંશોધન-વલણોને પરિચય એ કેળવતા ગયા હતા. આવી બહુશ્રુતતાથી એમણે એ પ્રત્યેક ક્ષેત્રમાં તાર્કિક વિચારણાને બળે મૂળગામી અધિકૃતતા ઊભી કરી હતી. સળંગ વિચારગ્રંથોની સાથેસાથે, નવી વિચારણાઓના નાનાસરખા અંશોનાં દોહન અને નોંધો દ્વારા અદ્યતન સાહિત્ય-વિદ્યા-વિચારને આપણી સામે એ સતત મૂકતા રહેલા. આપણા સૌને માટે તે એક સદ્યસંદર્ભ કેન્દ્ર જેવા હતા.

જેના વિશે આજે હું થોડીક વાત કરવાનો છું એ, ‘વિચારોની સ્પષ્ટતા’ અને ‘લેખનની વિશદતા’ના તે આદર્શરૂપ વિદ્વાન હતા. પ્રભાવિત થયા વિના, એક નરવી અને વિધાયક ચિકિત્સાદૃષ્ટિથી આપણા વિવેચનને – ક્યારેક પાશ્ચાત્ય સાહિત્યસિદ્ધાંતો પાછળની ભૂમિકાઓને પણ – તે જોતા-ચકાસતા રહેલા. અધ્યયનના ફલિતાર્થોની સાથે પોતીકી સમજને પણ પ્રયોજતી રહેલી એમની લેખનરીતિ સંકુલ વિષયોને સ્પષ્ટ-વિશદ કરતી તથા સુગમ કરાવતી રહેલી. જયંત કોઠારીએ યોગ્ય રીતે જ કહેલું કે, ‘ભાયાણીસાહેબની વિશદતા એ એક વિદ્વાનની વિશદતા છે.’ (વાંકદેખાં વિવેચનો, પ્રસ્તાવના, પૃ.૧૦)

ભાયાણીસાહેબ વિશેની આટલી વિગતો, પ્રસંગે પ્રશંસા કરવી એવા રૂઢ આશયથી આપી નથી – મારે જે કહેવું છે એના અંક તંતુ રૂપે આ ભૂમિકા મેં રચી છે.

આજે હું આપ સૌની સામે આપણી વિવેચનપ્રવૃત્તિનાં કેટલાંક લક્ષણો-વલણો વિશે મારાં નિરીક્ષણો રજૂ કરવા ઈચ્છું છું. આપણા વિવેચનની ઉત્તમતાઓને હાલ અંતર્હિત રાખું છું. (એ ઉત્તમતાની વાત, મારા આ પછીના લેખ ‘પાંચ દાયકાનું સાહિત્યવિવેચન’માં મેં કહી છે.)

અત્યારે મારી સામે બે-ત્રણ મુદ્દા છે : કોઈપણ સાહિત્ય-વિચારને ગ્રહણ કરવા માટે યોજાવી જોઈએ તે, વિવેચકની નિજી સમજ એટલે કે તાર્કિક ચિકિત્સાદૃષ્ટિ; અનુગતિકતા કે અહોભાવથી મુક્ત રહેતી સ્વીકાર-અસ્વીકાર-પ્રક્રિયા; વિચાર અને લેખનની સ્પષ્ટતા અને વિશદતા તેમજ વિદ્યાપરંપરા અંગેની નિસબત.

પશ્ચિમના સાહિત્યવિચારના પરિચયથી અને એના પ્રભાવથી ગુજરાતી વિવેચન આરંભાયેલુંં ને આજસુધીમાં, વિવેચનના આંતર-રાષ્ટ્રીય પ્રવાહોનો પણ સંપર્ક કેળવી લઈને, એણે કેટલીક ઉત્તમ રેખાઓ નીપજાવી છે. છેલ્લા પાંચ દાયકા તો પશ્ચિમી સાહિત્યસિદ્ધાંતોની વિગતોથી આપણું વિવેચન ખાસ્સું વ્યાપેલું રહ્યું છે. આખીય ૨૦મી સદી દરમ્યાન – અને એ પછી – યુરપ-અમેરિકામાં પ્રગટતા-વિકસતા-પલટાતા રહેલા અનેકવિધ સાહિત્યસિદ્ધાંતો ક્રમશઃ વધુ સઘન થતા એની પરાકાષ્ઠાએ પહોંચ્યા. સાહિત્ય અને કલાના સ્વરૂપ વિશે ને સાહિત્યસ્વરૂપો વિશેના સિદ્ધાંતોથી લઈને, એટલે કે, સાહિત્યઅંતર્ગત રહીને આરંભાયેલી આ સિદ્ધાંત-રચના-પરંપરા, એ પછી, માનવજ્ઞાનનાં વિવિધ સંલગ્ન વિદ્યા ક્ષેત્રોને સંયોજતી ને વિજ્ઞાનપરક થતી ‘કેવળ’ સિદ્ધાંતરચના સુધી વિસ્તરી અને સાહિત્યકૃતિથી દૂર જતી નરી અમૂર્તતા સુધી પહોંચી. પરિણામે, ચંદ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ, ‘વિવેચનક્ષેત્રે સાહિત્યસિદ્ધાંતો સર્વોપરિ બની ગયા, સાહિત્ય પોતે વિસારે પડ્યું.’ (લઘુસિદ્ધાંતવહી, પૃ.૧૩૬). સિદ્ધાંતો આવી આત્યંતિક સંકુલતા તરફ વળ્યા, એટલું જ નહીં, ક્યાંક તો એ વિદ્યાસંસ્થાઓમાં પ્રભુત્વ ઊભું કરવાનું સાધન પણ બની ગયા! હરિવલ્લભ ભાયાણીએ જેફ્રી મૅલ્મેનને ટાંકીને કહ્યું છે એમ, આ સિદ્ધાંતોનું સાહિત્યિક ખુશામતના રાજકારણ – The politics of Literary adulation – સુધીનું હીનીકરણ થયું ને આવી વ્યૂહરચનાઓ સંસ્થાતંત્રના વિરોધવિદ્રોહના ઢાંગી દુરુપયોગથી વળી એ સંસ્થાઓમાં જ સુખ-સલામતી હાંસલ કરવા સુધી પણ ગઈ! (જુઓ, ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન, પૃ.૭૮) આવાં પ્રયોજનોને એક અપવાદરૂપ વિલક્ષણ સ્થિતિ ગણી લઈએ તો પણ, કોઈકે જરા માર્મિક અતિશયતાથી કહેલું એમ, દરેક નવી સવારે નવો વાદ લઈને આવતી આ સિદ્ધાંતગ્રસ્તતાની સામે ૨૦મી સદીના છેલ્લા દાયકાઓમાં પ્રતિક્રિયાઓ ઊઠી – સિદ્ધાંતવિરોધી વિચારણા મુખર બની. બીજી બાજુ સિદ્ધાંતવાદીઓને પણ સિદ્ધાંતની નરી અમૂર્તતાની ઉપકારકતા વિશે આશંકા થવા લાગી, અમુક અંશે એની વિતથતા પણ પ્રતીત થઈ. એનું કદાચ એક સારું પરિણામ એ આવ્યું કે હવે ફેરવિચારની પ્રક્રિયા શરૂ થઈ. ઝાં મિશેલ રબાતેના પુસ્તક The Future of Theoryમાં આ ચિંતા અને ફેરવિચાર રજૂ થયાં. ટૅરી ઈગલ્ટને After Theoryમાં એક સ્વસ્થ વિચારણા આપી છે : સિદ્ધાંતની ભલે થોડી વિતથતા પ્રતીત થઈ હોય પણ મૂળભૂત રીતે તો સિદ્ધાંત વિના ચાલી ન શકે એ વાત ઈગલ્ટને આ શબ્દોમાં મૂકી છે – ‘We can never be ‘after theory’, in the sense that there can be no reflective human life without it’. (After Theory, P. ૨૨૧)

આવા બધા વિવર્તોનું ગુજરાતી વિવેચને શું કર્યું? આપણે ઘણુંખરું પશ્ચિમનાં સાહિત્યવિચાર-સંચલનોનું દોહન – બહુબહુ તો સંદોેહન – આપ્યું. પશ્ચિમના વાદોને, અને એના પ્રતિવાદોને પણ, આપણે એ જ રૂપે ઉતાર્યા છે, ઝીલ્યા છે – ભલે એ અનુવાદ રૂપે હોય કે પરિચય રૂપે. આપણે પ્રશ્નપૂર્વક એનો સીધો મુકાબલો કરીને આપણી ભૂમિકા ભાગ્યે જ રચી છે. આપણે ત્યાં કોઈ મૌલિક સિદ્ધાંતકાર નથી. જયંત કોઠારીએ કહેલું કે, ‘મન વિવેચનના એવા શાસ્ત્રકારને ઝંખે છે જેનાં મૂળિયાં આપણી ધરતીમાં જ હોય અને જે વર્તમાનને અનુલક્ષીને પોતાનો સાહિત્યવિચાર રચી આપે’ (સાહિત્યિક તથ્યોની માવજત, પૃ.૨) સુમન શાહ પણ કહે છે કે, ‘સિદ્ધાંત-વિવેચન આપણે ત્યાં કેમ નથી એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે એની કોઈને કશી જરૂર જ નથી વરતાતી. (સિદ્ધાંતે કિમ્? પૃ.૧૩) જો કે આ કંઈક હળવાશથી લીધેલો ઉડાઉ જવાબ લાગે છે. ‘જરૂર’ નથી કે પછી ‘સામર્થ્ય’ નથી? પણ સામર્થ્ય કેમ નથી એનો પણ કશો જવાબ તાત્કાલિક ધરી દઈ શકાય એમ નથી – એ ઘણી ઊંડી તપાસનો વિષય છે. સુમન શાહનો એક નિર્દેશ કંઈક વિચારણીય છે કે, ‘સિદ્ધાંતશાસ્ત્ર રચવાની આપણે ત્યાં કોઈ પરિપાટી જ નથી પડી.’ (સિદ્ધાંતે કિમ્? પૃ.૧૮). પશ્ચિમમાં વિચારોની ઉથલપાથલ કે વ્યૂહાત્મક દાવાઓ કે થોડાક વાદ-વિતંડાઓ પણ હશે; પરંતુ એમની પરંપરામાં એક શિસ્તભર્યું પદ્ધતિશાસ્ત્ર બહુ સાબદું અને મજબૂત છે. નવા વિચારના સાહસને રજૂ કરવા માટે ત્યાંના વિવેચકને એ પદ્ધતિશાસ્ત્રનો આધાર સાંપડે છે. સંસ્કૃતના સાહિત્યવિચારકોની સામે પણ એક દૃઢ-ચુસ્ત શાસ્ત્રપરંપરા હતી. એના મજબૂત અંકોડામાં મતભિન્નતાઓ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની શાસ્ત્રીય પ્રામાણિકતાથી પરોવાતી હતી. રસસૂત્રચર્ચા અને ધ્વનિવિચારપરંપરા એનાં સબળ દૃષ્ટાંતો છે.

સિદ્ધાંતવાદી ગિરિધરો ખેર. આપણે ત્યાં સિદ્ધાંતકારો નથી એ ખરું, પણ સિદ્ધાંતવાદીઓ તો છે – પ્રસંગેપ્રસંગે પાશ્ચાત્ય સિદ્ધાંતો રજૂ કરનારાઓ. ક્યારેક એ રજૂ કરવામાં વાર લાગી છે પણ ક્યારેક તો ત્યાં પ્રચલિત એવો સિદ્ધાંતવિચાર કે વિચારઅંશ ઝટ અહીં લાવી દેવાની ઉત્સાહી ઉતાવળ પણ થઈ છે – બ્રેકીંગ ન્યૂસની જેમ! એટલે કે અરધુંપરધું કાચુંપાકું – ને એમ ઘણું સંદિગ્ધ રૂપનું – પણ ઊતરી આવ્યું છે. ખાસ તો એ, પૂરા સંદર્ભો સાથે ન આવ્યું એથી પશ્ચિમના કોઈ સિદ્ધાંતકારનો પૂરો વિવેચનવિચાર સ્પષ્ટ રૂપમાં આપણી સામે બહુ ઓછો ઊઘડી શક્યો. આવાં સિદ્ધાંતદોહનોનો, પ્રભાવ પાડવા માટે પણ ઉપ-યોગ થતો રહ્યો છે. ક્યારેક તો એક જ લેખમાં પશ્ચિમી વિદ્વાનોનાં નામો અને એમનાં સંદર્ભહીન ઉદ્ધરણોની ખીચોખીચતા – એવી ભરમાર – જોવા મળે, એથી, નરી અસહજતા અને અકારણ દુર્બોધતા અનુભવાય. એટલે કે, કોઈ વિચારણા હાથવગી કરવા-કરાવવાનો, એ માટેનાં ધૃતિ અને સૂઝપૂર્વકના શ્રમનો નર્યો અભાવ જોવા મળે. એ આખો વિચારભાર એવો કે આખો ગોવર્ધન ટચલી આંગળીએ નહીં, સીધો માથે જ ઉપાડ્યો હોય! આત્મસાત્ કર્યા વિનાનો કેવળ ભાર. એમને, એ રીતે, આપણે ‘ગિરિધરો’ કહી શકીએ. અમે સિદ્ધાંતો વિશે લખનાર છીએ – એ પ્રકારના ગૌરવભાવનો બલકે એવા ગૌરવભારનો આપણે ત્યાં વધુ મહિમા થઈ જાય છે, ક્યારેક.

સિદ્ધાંતવિચાર કરનારનો મહિમા થાય એમાં તાત્ત્વિક રીતે તો કશું ખોટું નથી, બલકે વિચારલક્ષી અધ્યયનો વધવાં જોઈએ; એવી વિદ્વત્પરંપરા ઊભી થવી જોઈએ. પરંતુ, ક્યાંયથી પણ લાવેલી વિચારણા-સામગ્રી અરધાપરધા, અટપટા રૂપે હોય ત્યારે એની ઉપાદેયતાના પ્રશ્નો થાય. એક સાદો પ્રશ્ન જ પૂછીએ કે છેલ્લા પાંચ-છ દાયકાઓથી પશ્ચિમની નવી વિચારણાઓને રજૂ કરતાં આટલાં બધાં લખાણો આપણે ત્યાં પ્રગટ થયાં એમાંથી ત્યાંની વિચારણાનો ભલે સાંગોપાંગ નહીં, તો એનો કોઈ ચોખ્ખો – વિશદ ને પ્રસન્નકર – આલેખ પણ ઊપસી આવ્યો છે ખરો? એ લેખનરાશિએ ઘણુંખરું ખંડદર્શન, ને ક્યાંક તો ધૂંધળું દર્શન જ કરાવ્યું છે.

એનું એક મહત્ત્વનું કારણ હું એ જોઉં છું કે મોટેભાગે તો આપણામાં, જે કોઈ નવો વિચાર હોય એને તે જ રૂપે અભિભાવપૂર્વક સ્વીકારી લેવાની મનોદશા હોય છે. અલબત્ત, ઉત્તમ ખ્યાલ કે વાદવિચાર આપણને પ્રભાવક પણ લાગી શકે. પશ્ચિમની સાહિત્યપરંપરામાં એવી સમર્થ વિચારણાઓ છે જ. પરંતુ આપણે જ્યારે એની અભિમુખ થઈએ છીએ ત્યારે, પ્રભાવ અને અહોભાવ વચ્ચે હંમેશાં ભેદ રહેવો જોઈએ તે રહેતો નથી. જ્યાં અને જે કાંઈ નજરે પડે, વંચાય, તે સઘળું આપણને એકસરખી રીતે ચકિત જ કરતું રહે તો તો પછી આપણી ભૂમિકા વિદગ્ધ વાચકની રહેવાને બદલે મુગ્ધ ભાવકજનની થઈને ઊભી રહે! એટલે કોઈકોઈ કિસ્સામાં તો એવું પણ જોવા મળે છે કે પશ્ચિમનું જ પુષ્કળ વાંચ્યે જનારે (ને અહીંનાથી બેખબર રહેનારે) પોતાનો કોઈ દ્યોતક વિચાર કે મુદ્દો મૂક્યો હોય કે પોતાના એ વાચનનો કોઈ સંતોષકારક વિશેષ આપણી સામે ધર્યો હોય એવું બનતું નથી. પરિણામે, આપણને અહેવાલ મળે પણ સ્પષ્ટ વિચાર ન સાંપડે.

ચિકિત્સક દૃષ્ટિ આ મનોદશા પાછળનું એક બીજું મહત્ત્વનું કારણ મને એ લાગ્યું છે કે સૈદ્ધાંતિક વિચારણાઓ અંગે આપણી ચિકિત્સકવૃત્તિ બરાબર ઊઘડી નથી. એ ઘણી મંદ છે. અલબત્ત, પ્રત્યક્ષ વિવેચનામાં તથા ઐતિહાસિક આલોચનામાં આપણા કેટલાક વિવેચકોએ તીક્ષ્ણ ચિકિત્સક દૃષ્ટિ બતાવી છે પણ પશ્ચિમના કે પછી સંસ્કૃત સાહિત્યમીમાંસાના સિદ્ધાંતોને, થોડાક અપવાદો બાદ કરતાં, આપણે કશા પણ પ્રશ્ન વિના સ્વીકારી લીધા છે – એ જ રૂપે, એટલા જ, વર્ણવ્યા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એકવાર સમગ્ર સંસ્કૃતમીમાંસા સામે પ્રશ્ન કરેલો. એ અલબત્ત એમનો આરંભકાલીન પ્રતિભાવ હતો છતાં પ્રવાહમાં તણાવાને બદલે તે પ્રશ્ન કરવા રોકાયેલા. પરિણામે સાધારણીકરણના વિચારને – ને આપણે ત્યાં થયેલાં એનાં અર્થઘટનોને – એમણે આગવી રીતે રજૂ કરવા પ્રયાસ કરેલો. પાશ્ચાત્ય વિવેચનવિચારના અદ્યતન ને ઉત્તમ અંશોને હંમેશાં આપણી સામે ધરતા રહેલા હરિવલ્લભ ભાયાણીએ ઐતિહાસિક ભૂમિકાએ પશ્ચિમી વિવેચનપરંપરાને ચિકિત્સક દૃષ્ટિએ પણ જોઈ છે ને ક્યાંક સંસ્કૃતની મૂર્ત શાસ્ત્રપરંપરાનું ચડિયાતાપણું બતાવ્યું છે. જયંત કોઠારીએ, અર્નેસ્ટ બેન્ડર જેવા વિદ્વાને અંગ્રેજીમાં સંપાદિત કરેલા ‘ધ સાલિભદ્ર-ધન્ના-ચરિત’માં પદ્ધતિશાસ્ત્રના ઉત્તમાંશો નિર્દેશીને પણ એમાંની કેટલીક ગંભીર ક્ષતિઓને ચિકિત્સાપૂર્વક બતાવી આપેલી. એ ચિકિત્સાના તારણરૂપે એમણે જે કહેલું તે વ્યાપક રીતે પણ એક ઉપયોગી સૂચન જેવું છે. એમણે કહેલું કે, ‘પશ્ચિમના દેશો પાસેથી વિવિધ જ્ઞાન-વિષયોમાં અને વિદ્યા-અધ્યયનની બાબતમાં આપણે ઘણું શીખવાનું છે, એ જરૂર શીખીએ, પણ એ દિશામાંથી જે કંઈ આવે એ અદોષ, આધારભૂત અને ઉત્તમ જ હોય એવી ભ્રમણામાં ન રહીએ. બધે જ ઓછાંવત્તાં નબળાં-સબળાં કામ થતાં હોય છે [...] એટલે આપણી પાસે જે કંઈ આવે તેના સારાસારનો વિવેક કરીને જ આપણે સાચી રીતે જ્ઞાનસમૃદ્ધ થઈ શકીએ.’ (સંશોધન અને પરીક્ષણ, પૃ.૧૦૦)

સંસ્કૃતકાવ્યવિચાર અંગે તો આપણે, જૂજ અપવાદો બાદ કરતાં, વિમર્શાત્મક મુકાબલો કરી શક્યા નથી. પશ્ચિમે એમનાં પ્રાચીન ભાષા અને સાહિત્ય સાથે – ગ્રીક સાહિત્યના અને પછી એરિસ્ટોટલ આદિની વિચારણાના સમૃદ્ધ બૌદ્ધિક વારસા સાથે – જે ઘરોબો કેળવ્યો છે એવો ઘરોબો સંસ્કૃત ભાષા અને સાહિત્ય સાથે, ખાસ તો એની સાહિત્યવિચારપરંપરા સાથે, આપણે કેળવ્યો નથી. એટલે એ સાહિત્યવિચારણા આપણે ત્યાંની સિદ્ધાંત-ચર્ચાઓમાં ભાગ્યે જ ગુંથાતી રહી છે. પંડિતયુગના અને અનુપંડિતયુગના (ગાંધીયુગના વિવેચનને હું અનુપંડિતયુગીન કહેવાનું પસંદ કરીશ.) એ વિવેચકોએ સંસ્કૃતમીમાંસાના સંસ્કરણનું થોડુંક કામ કરેલું. રામનારાયણ પાઠકનો ‘મમ્મટની રસમીમાંસા’ જેવો લેખ, રામપ્રસાદ બક્ષીનો ‘કરુણરસ’ તથા રસિકલાલ પરીખનો ‘આનંદમીમાંસા’ – એ બે, સંસ્કૃતવિવેચન વિભાવનાઓને અંગ્રેજીવિવેચન વિભાવનાઓ સાથે તુલનાવતા ગ્રંથો, ડોલરરાય માંકડનું અંગ્રેજી-ગુજરાતી બંનેમાં પ્રગટ થયેલું સંસ્કૃતનાટ્યવિવેચન, આદિનો નિર્દેશ થઈ શકે. એ પછી હરિવલ્લભ ભાયાણીએ અને જયંત કોઠારીએ સંસ્કૃતકાવ્યવિચારણાને ગુજરાતી કૃતિ-ચર્ચામાં વિનિયુક્ત કરવાની દિશામાં, ભલે પ્રાયોગિક ભૂમિકાએ, પણ ઘણું ધ્યાનપાત્ર કામ કર્યું. પરંતુ આ માટે જેમની સામે આપણી સ્વાભાવિક નજર જાય એ સંસ્કૃતના અધ્યાપક વિદ્વાનોનું કામ – રાજેન્દ્ર નાણાવટી, વિજય પંડ્યા, અજિત ઠાકોર જેવા નવી દૃષ્ટિસૂઝવાળા એક-બેનાં કામને બાદ કરતાં – મહદંશે મૂળને, ક્યારેક તો એમાંથી જરૂર પડી એટલા અંશોને જ, અનૂદિત કરવા સુધી સીમિત રહ્યું. એમાં અનુગતિકતા પણ પારાવાર છે કેમકે એ અનુવાદો વિશદ ગુજરાતીમાં ઉતારી શકાયા નથી – એ ‘અનુવાદિયા’ જ વધારે લાગે છે. આપણો સાહિત્યવિચાર-સંદર્ભ આમ, ઉપેક્ષાથી અને અનુગતિકતાથી એમ, બંને બાજુએ લૂલો રહ્યો છે. ઉમાશંકર જોશીએ છેક ૧૯૬૩માં જે કહેલું એનું સ્મરણ થાય છે. એમણે કહેલું કે, ૨૦મી સદીના ચોથા દાયકા આસપાસ “નવવિવેચના’ સામે શિકાગોમાં નવ-એરિસ્ટોટલવાદીઓની એક આખી શાળા જામી હતી. એવી આપણે ત્યાં નવ-આનંદવર્ધનોની મંડળી જમાવવાની માનસિક જરૂરિયાત ધારો કે ઊભી થાય તો તેવી મંડળી પરદેશના અનુકરણમાં રચાય તો જ ‘જુનવાણી’ લેખાવામાંથી બચે શું?’ (પ્રતિશબ્દ, પૃ.૨૮) ઉમાશંકરે એમની માર્મિક રીતે, સંસ્કૃતમીમાંસા-અભિમુખતાની જરૂરિયાત ચીંધવા ઉપરાંત, આપણાં અહોભાવ અને અનુગતિકતાના પણ સંકેતો કરી દીધા છે. આપણી સિદ્ધાંતપીઠિકા બહુશઃ આવી છે – પાશ્ચાત્ય સાહિત્યવિચારની ‘વિગતો’નું સતત ઉમેરણ કરતી રહી હોવા છતાં પોતાનું કશુંક ઉમેરવાનું કે પછી આપણા સંદર્ભમાં સંમાર્જિત કરવાનું ચૂકતી ગયેલી સિદ્ધાંતવાદિતા.

કેળવાયેલી સમજ એટલે હવે વિવેચકની નિજી, આંતરિક સમજના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવવાની જરૂર છે. આ સમજ એટલે, નવસિદ્ધાંતવાદીઓ જેને કૉમનસૅન્સ કે કોઠાસૂઝ કહીને બાજુએ ખસેડી દે છે તે નહીં. જોનાથન કલરને ટાંકીને નીતિન મહેતા કહે છે કે, ‘સિદ્ધાંતની તકરાર માની લીધેલી સમજ કે અવધારણા સામે છે. સિદ્ધાંત એમનો મીમાંસક છે. [...] Theory is critique of common sense, of concepts taken as natural’ (નિરંતર, પૃ.૫૬,૫૮.) હા, એ તો બરાબર જ છે કે નૈસર્ગિક બલકે સ્વૈર પ્રતિભાવાત્મકતા તો નરી તરંગબાજી કે તુક્કાબાજી તરફ ખેંચી જાય – એનાથી કંઈ સાહિત્યવિચારણાની ગંભીર પ્રવૃત્તિ ચાલી ન શકે. પણ કેળવાયેલી સમજની, એવી એક આંતરિક ચિકિત્સાવૃત્તિની સાહિત્યવિચાર-વિમર્શમાં બહુ મોટી ભૂમિકા હોય છે એમ હું સ્પષ્ટપણે માનું છું. એ રીતે જોતાં, સમજ એટલે કોઈપણ વિચારને તર્કની પકડમાં લઈને એને વસ્તુલક્ષી દૃષ્ટિએ તપાસતી વિવેચકની એક બૌદ્ધિક પ્રક્રિયા. એ બધું ગ્રહણ કરે છે પણ કશું ય ગંઠાવા દેતી નથી. પોતાની પ્રતીતિ અને ચકાસણીની સરાણે ચઢાવ્યા વિના એ કશું જ એના-એ-રૂપે સ્વીકારી લેતી નથી. એ વાચન આદિથી પુષ્ટ બનેલી સજ્જતાથી જ હંમેશાં ઊગી આવતી નથી, પણ એવી સજ્જતાથી પોષણ જરૂર પામે છે એટલે કે પૂર્વપરંપરાના તેમજ સામ્પ્રત-પરંપરાના પરિશીલનથી એ પોતાની અંદરના આધારોને સંગીન કરે છે. પરંતુ નર્યું વાચન, સમૃદ્ધ કરેલો નર્યો માહિતીકોશ હંમેશાં વિનિયોગક્ષમ બની શકતાં નથી – ન સાહિત્યવિચાર-મીમાંસામાં કે ન તો પ્રત્યક્ષ વિવેચનમાં. કોઈ પણ વિવેચનપરંપરામાં જ્યારેજ્યારે સિદ્ધાંતોના સંમાર્જનનું અને નવા સિદ્ધાંતઘડતરનું કામ થયું છે ત્યારેત્યારે, તર્કપ્રવણતાથી પોતાનો રસ્તો ખોળી લેતી વિવેચકની સમજ જ સક્રિય બનેલી હોય છે. સિદ્ધાંતવિચારણાનો કેવળ પરિચય કરવો કંઈ પર્યાપ્ત નથી, એ તો એક ભૂમિકા છે. ત્યાં અટકી જવાથી તો સિદ્ધાંતોના સ્મૃતિસંચય સુધી કે પારાયણ સુધી જ જઈ શકાય. અનેક સિદ્ધાંતોનો કેવળ ઉપચય એ તો એક પ્રકારની સંચિત સામગ્રી છે – એની નિમ્નતમ કક્ષાએ ‘ડેટા કલૅક્શન’ છે. એટલે ખરેખર તો, જયંત કોઠારીએ અધ્યાપક માટે જે અનિવાર્ય ગણાવ્યું છે એ સાહિત્યવિચારકને માટે પણ એટલું જ, બલકે વિશેષ જરૂરી ગણાય. એમણે કહેલું કે, ‘પ્રાપ્ત સામગ્રીને એમ ને એમ ધરવાની હોતી નથી, પોતાની સમજમાં નાખીને આપવાની હોય છે. એ માટે પ્રાપ્ત સામગ્રીની પુનર્વ્યવસ્થા પણ કરવાની થાય’ (વાંકદેખાં વિવેચનો, પ્રસ્તાવના, પૃ.૧૨) એટલે, સિદ્ધાંતકારો કે શાસ્ત્રકારો ચિંતક કહેવાય છે એની પાછળનું કારણ એ જ છે કે એમની મેધાશક્તિ કરતાં એમની પ્રજ્ઞાશીલતા વધુ પ્રબળ હોય છે.

વિશદતા સમજનું જ એક મુખ્ય પરિણામ છે વિશદતા. સૌથી પહેલી તો વૈચારિક વિશદતા. લેખનની વિશદતા સિદ્ધ કરવાનાં કેટલાંક આગવાં કૌશલ્યો પણ છે, તેમ છતાં, મૂળભૂત રીતે તો લેખનની વિશદતા વૈચારિક વિશદતામાંથી જ પરિણમતી હોય છે. વૈચારિક વિશદતા ન હોય તેનામાં લેખનની વિશદતા ન આવવાની. હવે કોઈ વિષય કે કોઈ વિચારણા સંકુલ પણ હોવાનાં. એ સંકુલતા અભ્યાસીની પકડમાં આવી હશે તો, પેલી સમજની પ્રક્રિયામાંથી એને પસાર કરીને, પૂરી મથામણપૂર્વક એને તે સંક્રમણયોગ્ય બનાવી શકશે. આપણા વિવેચનમાં જ્યાંજ્યાં દુર્બોધતા કે ક્લિષ્ટતા છે ત્યાંત્યાં એ મોટેભાગે તો વૈચારિક અવિશદતાનું પરિણામ છે. જે વિચાર એના લેખક (કે અનુવાદક કે દોહનકાર)ની સામે જ પૂરો સ્પષ્ટ ન થયો હોય એને, એ જ રૂપે, વાચક સામે ધરવામાં એ એવો જ અસ્પષ્ટ, દુર્બોધ રહે છે. પાશ્ચાત્ય વિવેચનવિચારને રજૂ કરતા કેટલાય લેખો, એનાં પાનાંનાં પાનાં, ક્યારેક તો મૂળમાંના વિચારપુદ્ગલને – તાર્કિક મુદ્દાઓથી વિકસતા એ વિષયને – આપણી સામે અજવાળી આપી શકતાં નથી. એટલે, મૂળ સિદ્ધાંતકારના વિચારો કંઈક વેરવિખેર રૂપમાં, કોઈ તર્કસરણિમાં પરોવાયા વિના, કાચા-ઝાંખા એટલે કે સંદિગ્ધ સ્વરૂપે જ આપણી સામે આવે છે. જિજ્ઞાસુ હોય એ પણ થાકીને વિમુખ થઈ જાય છે ને પરિણામે તે સંદોહક વિદ્વાનનો ઘણો મોટો ઉદ્યમ એળે જાય છે!

વિવેચનાત્મક લખાણો અવિશદ રહી જવાનું એક બીજું કારણ મૂળ પરંપરાની જાણકારીની ઓછપ કે પછી એ જાણવા માટે થોભવા/મથવાની ધૃતિનો અભાવ પણ હોય છે. મૂળ લેખ (કે પુસ્તક)ના ઐતિહાસિક સંદર્ભો, અને પારિભાષિક સંજ્ઞાઓ પૂરેપૂરાં પકડાયાં ન હોવાને કારણે દોહન/અનુવાદ અવિશદ કે અસ્પષ્ટ રહે છે. વર્ષો પહેલાં (કદાચ ૧૯૫૦ આસપાસ), રામનારાયણ પાઠકે ‘આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો’ની ચર્ચા કરી હતી એમાં એમણે અંગ્રેજી વિવેચનની સંજ્ઞાઓને એની પરંપરાના સંદર્ભે સમજવાની અશક્તિને કારણે આપણા વિવેચનમાં ધૂંધળી પરિભાષા પ્રવેશી ગયા સામે અસંતોષ વ્યક્ત કરેલો ને કહેલું કે, ‘પૂરા નહીં સમજાયેલા શબ્દોથી ગોટાળા થાય છે, ખોટા પ્રશ્નો ઊભા થાય છે, અને વિચારો અને અભિપ્રાયો ડહોળાય છે.’ (સાહિત્યાલોક, ફરી ગ્રંથસ્થ રા.વિ. પાઠક ગ્રંથાવલિ-૪, પૃ.૨૭૨). હજુ આજે પણ આવી ડહોળામણમાંથી – અપારદર્શકતામાંથી આપણે બહુ બહાર આવી શક્યા નથી. અંગ્રેજી લેખોના આધારે લખાયેલા કે એના અનુવાદ આપતા ગુજરાતી લેખોની વૈચારિક તેમજ ભાષાકીય અવિશદતા દૃષ્ટાંતો સાથે બતાવીને જયંત કોઠારીએ નારાજગી વ્યક્ત કરેલી કે, ‘એમ લાગે છે કે આપણે જાણે આત્મસાત્ કરીને નહીં પણ ઉછીનું-ઉછીનું લખ્યા કરીએ છીએ. એમાં સઘળું અનુવાદિયું રહે છે અને આપણી સમજ અને આપણી ભાષાનું પ્રવર્તન એમાં થતું નથી.’ (‘ખરેખરી ઉપયોગિતા અને ખરેખરી અગવડો’ લેખ, વાંકદેખાં વિવેચનો, પૃ.૧૧૧).

આત્મસાત્ કર્યા વિનાના અનુવાદિયા લખાણનો અનુભવ સંસ્કૃતવિવેચનવિચાર અંગેનાં કેટલાંક લખાણોમાં બહુ વિલક્ષણ રીતે થાય છે. મૂળ ભાષાભિવ્યક્તિની ધારેધારે ચાલતી, અપરિચિત પર્યાયોને જેમના તેમ જાળવી રાખતી આ લેખોની બંધ-ચુસ્ત ભાષા ગુજરાતીની સહજતાને ઉઘાડી શકતી નથી – એમાં ક્રિયાપદો જ ગુજરાતીનાં હોય છે ને એટલા જ કારણે એ લખાણોને ગુજરાતી કહેવાં પડે એવી સ્થિતિ હોય છે! સ્પષ્ટ છે કે આવાં લખાણોમાં નિજી સમજની જ ગેરહાજરી અવિશદતા નોતરે છે.

લેખનની અવિશદતા, ઉપર કહ્યું એમ, ઘણુંખરું તો વિચારની અવિશદતામાંથી જ જન્મતી હોય છે. અમૂર્ત વિભાવ કે વિચાર લેખનમાં મૂર્ત થતો જતો હોય છે. જો લેખનમાં પણ એ અમૂર્ત જ રહી જતો હોય તો વિવેચકે તરત ફેરવિચાર કરવો રહે. ઘણીવાર તો શબ્દ પાડવા બેસીએ ત્યારે જ ખ્યાલ આવે છે કે જે સમજાઈ ગયેલું લાગતું હતું એ પૂરું સમજાયું નથી. એટલે વૈચારિક સ્પષ્ટતાઓ પણ લખતાંલખતાં જ રચાતી જાય એ શાસ્ત્રીય લેખનની મહત્ત્વની ખાસિયત, અને આવશ્યકતા પણ છે. લેખકની સમજ સાબદી હોય, તે પૂરો સતર્ક હોય તો આ જ રેખા ઉપર તે પોતાના લખાણની ગ્રહણક્ષમતાની વિશદતા સુધી પણ જઈ શકે, એટલે કે, વાચકને માટે એ લખાણ અ-દુર્બોધ બનશે કે કેમ એનો અંદાજ એને આવી શકે. આને પણ હું વિવેચકની સમજનું જ વિસ્તરણ ગણું છું.

આપણાં વિવેચનલખાણોમાંની ભાષાભિવ્યક્તિ બે, સ્પષ્ટપણે જુદાં, સ્તરો દેખાડે છે – સ્વતંત્ર લખાણોની ભાષાભાત અને અનુવાદ/દોહનનાં લખાણોની ભાષાભાત. સ્વતંત્ર લેખોમાં તાર્કિકતાનો તંતુ ન છોડીને પણ પ્રાસાદિક, પ્રવાહી અને પ્રસન્ન કરનારી અભિવ્યક્તિ ધરાવતો લેખક જ્યારે પાશ્ચાત્ય સાહિત્ય-વિચારનો આધાર લઈને લખે છે કે એનો અનુવાદ આપે છે ત્યારે એની ભાષાભિવ્યક્તિ ક્યારેક રુંધાતા પ્રવાહવાળી, ક્યારેક દુર્બોધ અને ક્યારેક તો ક્લિષ્ટ પણ લાગે છે. અન્ય-વિચારનું સંક્રમણ અભિવ્યક્તિને ક્યારેક બદ્ધગતિ રાખે, પૂરી મુક્ત ન થવા દે એ સમજાય એવું છે, તેમ છતાં નિષ્ઠા અને શ્રમથી વિચાર અને અભિવ્યક્તિનાં બધાં જ ઘટકોને પકડમાં લઈ શકતી સમજનું પ્રવર્તન થતું રહે તો અભિવ્યક્તિને વિશદ રાખી શકાય. અને તો, પાશ્ચાત્ય વિવેચન-વિચારણા આપણા વિવેચનને સમૃદ્ધ કરતો ઉમેરો બની શકે.

પ્રભાવવાદી પિચ્છધરો વિવેચકની તર્કપૂત ને કેળવાયેલી સમજનો પ્રત્યક્ષ વિવેચનામાં કદાચ સૌથી વધારે ખપ પડે છે. પ્રત્યક્ષનો, મૂર્તનો મહિમા બેશક વધારે છે પરંતુ પ્રત્યક્ષની દ્યુતિ અમૂર્તના પોષણ વિના પ્રગટતી નથી – વિચારના બળ વિના એ ઝાંખી પડતી જાય છે ને પ્રત્યક્ષ એનો પરિપ્રેક્ષ્ય ગુમાવી બેસે છે. એટલે, વિવેચનસિદ્ધાંતો સાથે જેણે કામ પાડ્યું હોય એને ક્યારેક સિદ્ધાંતના અતિરેકની વિતથતાનો અનુભવ થાય તો એ સમજાય એવું છે પરંતુ, એવા કશા મુકાબલા વિના જ ‘તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ કહીને સાહિત્યકૃતિના આસ્વાદનમાંથી તર્કશીલતા અને વિચારશીલતાને આઘી હડસેલતા ‘પિચ્છધરો’, એવા વરણાગિયા પ્રભાવવાદીઓ તો રમૂજને પાત્ર છે. સિદ્ધાંતની લઘુતમ પીઠિકા વિનાનું સાહિત્ય-અધ્યયન કે વિવેચન કોઈ ધરી કેવી રીતે રચી શકે? સિદ્ધાંત બાંધી રાખતો નથી હોતો પરંતુ એનું એક ગુરુત્વાકર્ષણ બળ હોય છે. એના વિનાની પ્રત્યક્ષ વિવેચના એ ભ્રમણકક્ષા (ઑરબીટ)ની બહાર ફેંકાઈ જાય. પરંતુ એ જ રીતે એ પણ કહેવું જોઈએ કે સાહિત્યનો સિદ્ધાંત પણ જ્યારે એની આત્યંતિકતામાં સાહિત્યપદાર્થની ભ્રમણકક્ષાની બહાર નીકળી જાય ત્યારે એ ‘સાહિત્ય’ના સિદ્ધાંત તરીકે લુપ્ત થઈ જાય છે, કેમકે આપણો મૂળ રસ તો સાહિત્યકળાની કૃતિમાં – એવા સાહિત્યવિશ્વમાં – છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ સિદ્ધાંતના ધરાતલને સ્પષ્ટ કરતાં યોગ્ય કહ્યું છે કે, ‘વિવેચનસિદ્ધાંત સાહિત્ય સાથેની આપણી નિસબતની ઉપલબ્ધિ છે. વિવેચનસિદ્ધાંત એ આપણી નિસબતની અવેજી નથી.’ (લઘુ સિદ્ધાંતવહી, પૃ.૧૩૬) સિદ્ધાંતનો જ્યારે પ્રત્યક્ષમાં વિનિયોગ કરવાનો આવે ત્યારે વિવેચકની સમજનું પ્રવર્તન સૌથી વધુ સક્રિય રીતે થતું હોય છે. સાહિત્ય (કૃતિ, સ્વરૂપાદિ)ના વિશેષો અને કાર્યશીલતાની એક વ્યાપક અભિધારણા રૂપે જે સિદ્ધાંત રચાયો હોય છે એ હવે, સમય અને સ્થળના જુદા સંદર્ભોમાં, કૃતિનાં સૌંદર્યઘટકોને ગ્રહવા-ઓળખવાની દિશા તરફ – એટલે કે સર્વસામાન્યથી વિશેષ તરફ – ગતિ કરે છે. એ રીતે, જેને તર્કની ભૂમિકાએ વિવેચક સમજ્યો ને પામ્યો હતો એ સિદ્ધાંતને હવે તેણે કૃતિમાં રસકીય ભૂમિકાએ સમજવાનો, પ્રતીત કરવાનો થાય છે. બંને તબક્કે સમજનું પ્રવર્તન હોય છે. સુરેશ જોષીએ જે નિરીક્ષણ કરેલું કે, ‘[આપણે ત્યાં] સિદ્ધાંતચર્ચા અને ગ્રંથવિવેચન વચ્ચે ઝાઝો સંબંધ દેખાતો નથી. સિદ્ધાંતચર્ચામાં સ્વીકારેલાં ગૃહીતો ગ્રંથવિવેચનમાં બાજુએ મૂકી દેવામાં આવે છે.’ (અરણ્યરુદન, પૃ.૧૬૪) એનું કારણ કાં તો એ છે કે વિવેચક પ્રામાણિક નથી, કાં તો એ છે કે સિદ્ધાંત, વિવેચકની સમજની પ્રક્રિયામાંથી પસાર થયો નથી – એનું એક યાંત્રિક માળખું જ એણે ગ્રહી લીધું છે. સિદ્ધાંતની વિનિયોગક્ષમતા જ્યાં સુધી વિવેચકચિત્તમાં ઝિલાય નહીં ત્યાં સુધી એ કૃતિવિવેચનમાં ઔચિત્યપૂર્વક યોજી શકતો નથી. પછી ક્યારેક સિદ્ધાંતના ચોકઠામાં કૃતિનાં ઘટકોને ગાણિતિક રીતે ગોઠવી દેવાની અજમાયશો થાય છે ત્યારે કૃતિનું ભાવન થતું નથી – એનો એક કોષ્ટકબદ્ધ આલેખ મળે છે.

વિવેચનના અભિગમોનો કૃતિના ભાવનમાં વિનિયોગ કરવાના પ્રામાણિક પ્રયાસો થતા હોય છે પરંતુ આવી પ્રયોગશીલતા વિવેચનનો એક નાનોસરખો હિસ્સો છે. ખરેખર તો સિદ્ધાંતોને અંતર્હિત રાખીને, એટલે કે પરિશીલન-સંસ્કારોથી કેળવાયેલી સજ્જતાથી કૃતિવિવેચન (આસ્વાદ-સમીક્ષા-મૂલ્યાંકન) તરફ જવાનો રસ્તો વધુ ઉપકારક નીવડેલો છે. સૌંદર્યને પરખવાની વિવેચકની દૃષ્ટિ અંગત રુચિ તેમજ અધ્યયનસજ્જતા બંનેથી વિકસેલી હોય છે. સમજ અને પરિશીલન બંનેની સહાય વિના પર્યેષક દૃષ્ટિ ઊઘડતી હોતી નથી, એટલે ક્યારેક સિદ્ધાંતનું આલેખન કરવું એટલું દુષ્કર નથી હોતું જેટલું દુષ્કર કૃતિનો મુકાબલો કરવો એ હોય છે. ઉમાશંકર જોશીના જાણીતા ઉદ્ગારો અહીં મદદે આવશે : ‘અવલોકન લખવાં સહેલ નથી. વિવેચનસિદ્ધાંત સીધા આપવાને બદલે અવલોકનમાં એનો વિનિયોગ કરવાનો રહે છે.’ (પ્રતિશબ્દ, પૃ.૧૭) એટલે, વિવેચકે એક સૂઝ ખીલવવી પડે છે – નર્યા વાચક તરીકે નહીં; ભાવક તરીકે, બલકે વિદગ્ધ ભાવક તરીકે.

નવલરામથી આરંભાયેલા પ્રત્યક્ષ વિવેચને એનાં કેટલાંક ઉત્તમ, પ્રહર્ષક પરિણામો આપણી સામે મૂકેલાં છે. વિવેચકની ચિકિત્સક દૃષ્ટિનાં ને કૃતિનાં મર્મોને ખોલી આપનારી એની કેળવાયેલી સૂઝનાં ઘણાં નિદર્શનો મળશે. પરંતુ મોટાભાગનું આપણું પ્રત્યક્ષ વિવેચન પેલા દાયિત્વ વિનાના પિચ્છધરોથી ગ્રસ્ત થયેલું છે – કૃતિઆસ્વાદો અને અવલોકન-સમીક્ષાના, કોઈ સ્તર વિનાના એવા અનેક આલેખોથી ‘વિવેચન’ નામે ઓળખાતું આપણું લેખન ઉભરાતું રહ્યું છે. સ્વૈર અર્થઘટનો અને મુગ્ધ કૃતિપ્રશંસાઓથી ગ્રસ્ત આવાં વિવેચનોના લેખકો પાસે નથી રુચિનું કોઈ ધોરણ કે નથી લેખન-પદ્ધતિની કશી આવડત. લેખનની – ભાષાની – વિશદતાના તો અહીં પારાવાર પ્રશ્નો છે. ‘વિવેચકની સમજ’ એમનાથી અનેકગણી દૂર છે.

નિસબતના પ્રશ્નો આ બધુું, સાહિત્ય અને વિદ્યા અંગેની નિસબતના પ્રશ્ન સુધી આપણને લઈ જાય છે. વિવેચનનું વ્યાપારીકરણ (કમર્શિયાલાઈઝેશન) થવા લાગ્યું છે. સાહિત્યજગત પર અને વિદ્યાસંસ્થાઓ પર પ્રભાવ પાડવા માટે કાચા-પાકા લખેલા, ઉતાવળે અવતારેલા સિદ્ધાંત-લેખોનો, અગાઉ કહ્યું તેમ પશ્ચિમના દેશોમાં એમ આપણે ત્યાં પણ ક્યારેક સાધન તરીકે ઉપ-યોગ થયો છે. વળી, કશી જ સજ્જતા વિના પણ અધ્યાપક-કારકિર્દીને ઊંચકવા માટે, વિવેચનનામી લખાપટ્ટી થાય છે તે કેટલાંક સામયિકોમાં વિવેચન-લેખો રૂપે (ક્યારેક તો સંશોધનલેખો રૂપે!) છપાયે જાય છે ને પછી, વાચકોની માગ વગરના બજારમાં, ગ્રંથ-ઉત્પાદનો રૂપે ખડકાય છે. સમજ અને નિસબત વિનાની આ મધ્યમબરતાનો સકંજો સાહિત્ય-વિદ્યા-જગતને વ્યાપતો રહ્યો છે.

પરિણામે, અ-વિદ્યાનું પ્રસરણ થયે જાય છે. સાહિત્ય ભણાવનારાઓમાં સાહિત્યિક અભણો (લિટરરી ઇલ્લિટરેટ્સ) વધતા જાય છે. એવા અનેકોને વિશ્વભરમાં સંચારિત થતા જતા નવા વિચારોનો, સિદ્ધાંતવિચારણાની પરંપરાનો કોઈ પરિચય નથી, કે નથી એમને ગુજરાતીના સાહિત્ય કે સાહિત્યવિવેચનનો પણ પૂરો કે સરખો પરિચય. દુનિયાભરમાં સાહિત્યશાસ્ત્ર ને એનું પદ્ધતિશાસ્ત્ર, પૂરી તજ્જ્ઞતાથી, ત્યાંની યુનિવર્સિટીઓમાં વિકસતાં રહ્યાં છે ત્યારે આપણે ત્યાં તો, ઊલટું એવી વિદ્યાદ્યુતિ અસ્ત પામતી જાય છે. સાહિત્યના વર્ગોમાં જે વિદ્યાપરંપરા જીવતી રહેતી હતી ને આગળ ચાલતી હતી એ ઘણો મોટો અવરોધ પામી છે. સાહિત્યરસ ને વિદ્યાવ્યાસંગ બહુ ઝડપે ઘટતાં આવ્યાં છે. આપણાં આ પોષણકેન્દ્રો દુર્બળ બનવામાં બંને પ્રકારનાં વિવેચનો જવાબદાર છે : કશા વાચન-સામર્થ્યના ટેકા વિનાનાં, બહુ અસ્પષ્ટ અને નીરસ એવાં અ-વિવેચનો; તેમજ દુર્બોધ રહેતાં, એ અપારદર્શકતાને કારણે રસ-જિજ્ઞાસાવાળા નવ-અભ્યાસીઓ અને અધ્યેતાઓને વિમુખ અને ઉદાસીન કરી દેનારાં, વિદ્વાન વિવચકોનાં દુર્ગમ કે અતિ-વિવેચનો.

એટલે, હવે આપણે કદાચ નવેસરથી, વિશિષ્ટ પ્રકારનાં પ્રવેશકો રચવાં પડશે. વિદ્યાતપવાળું પણ નરવું, નિખાલસ અને પ્રામાણિક, સંકુલને પણ શક્ય એટલું ગ્રાહ્ય બનાવનારું વિવેચન રચવું પડશે. આંતરિક સમજને કાર્યક્ષમ રીતે સંગીનતાથી તેમ સાતત્યથી પ્રયોજવી પડશે. હવે આપણે પણ, સાહિત્યસિદ્ધાંત વિશે પશ્ચિમમાં જે વિધાયક ફેરવિચાર ચાલે છે એવો પ્રામાણિક ને વિદ્યા-નિસબતવાળો ફેરવિચાર કરવાનો થશે. અલબત્ત, ત્યાંના ને આપણા સંદર્ભો, ને આપણા પ્રશ્નો પણ જુદા છે. વિવેચનની નિર્માલ્યતા વિશે ને વિવેચનના અંત વિશે અવારનવાર આપણે ત્યાં પણ કહેવાતું રહ્યું છે પણ એમાંથી બચવાના સંભવિત માર્ગો કે ઉપાયો ખોળવાની ઝાઝી મથામણ થઈ નથી એ મથામણ કરવી હવે અનિવાર્ય છે. હવે ફરીથી આપણે વૈચારિક સ્પષ્ટતાની ને વિશદતાની સાધના કરવી પડશે. હા, એ ‘સાધના’ છે કેમકે, દિલચોરી વિના, પ્રામાણિકતાથી સ્પષ્ટ થવું એ ઘણી મથામણ ને ઘણી ધીરજ માગે એમ હોય છે. સમજાય એવું લખવાની પ્રતિજ્ઞાથી કંઈ સંકુલતાનો ભોગ લેવાવાનો નથી – જો ભય હોય તો એ તત્ત્વસમજને ગાળી નાખતા સરલીકરણનો હોઈ શકે. વિશદતા એ વિદ્વત્તાની વિરોધી નથી. પાશ્ચાત્ય વિવેચનના કોઈ એક સિદ્ધાંતને કે સંસ્કૃતમીમાંસાના કોઈ એક વાદને આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ સામે, પહેલાં રસપ્રદ રીતે ઉદ્ઘાટિત કરીને, પછી એની ઝીણવટોમાં જવાનું નવ-પ્રસ્થાન કરવાનું રહે. ને તો, નગીનદાસ પારેખ જેવા, કેટલાકને મતે, બાલાવબોધી વિવેચક ગણાઈ ગયા ને સંદિગ્ધ લખ્યે જનાર કેટલાક વિદ્વાન લેખાતા રહ્યા એવો કમનસીબ ઘાટ નહીં થાય.

સાહિત્યવિવેચનની ભૂમિ મજબૂત ને નક્કર બનાવવી હશે તો હવે નવેસર વિદ્યા-સંચાર કરવાનો થશે. નહીં તો ક્ષીણ થતી જતી વિદ્યા-પરંપરામાં, પોલ દ માને કહેલું એમ, વિવેચનનું ભવ્ય સ્થાપત્ય ભૂમિસાત્ થવામાં છે. અને ત્યારે, સમજ અને નિસબતનો આધાર, એને રોકવામાં મહત્ત્વનો બની રહેશે.

સંદર્ભસૂચિ

કોઠારી, જયંત, ૧૯૮૯, સાહિત્યિક તથ્યોની માવજત, અમદાવાદ, લેખક. ૧૯૯૬, વાંકદેખાં વિવેચનો, અમદાવાદ, લેખક. ૧૯૯૮, સંશોધન અને પરીક્ષણ, અમદાવાદ, લેખક જોશી, ઉમાશંકર, ૧૯૬૭, પ્રતિશબ્દ, અમદાવાદ, વોરા એન્ડ કંપની. જોષી, સુરેશ, ૧૯૭૨, શ્રૃણ્વન્તુ, ૧૯૭૬, અરણ્યરુદન (બંને ફરી ગ્રંથસ્થ ૨૦૦૫, સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ વિવેચન-૨, ગાંધીનગર, ગુજરાત સાહિત્ય અકાદમી. ટોપીવાળા, ચંદ્રકાન્ત,૨૦૦૭, લઘુસિદ્ધાંતવહી, અમદાવાદ, પાર્શ્વ પ્રકાશન. પાઠક, રામનારાયણ : ૧૯૫૪, સાહિત્યાલોક, લેખ ફરી ગ્રંથસ્થ ૧૯૯૧ રા. વિ. પાઠક ગ્રંથાવલિ- ૪ (સંપા. હીરા ર. પાઠક, ચિમનલાલ ત્રિવેદી, સુરેશ દલાલ, ગાંધીનગર, ગુજરાત સાહિત્ય અકાદમી. ભાયાણી, હરિવલ્લભ : ૧૯૯૪, ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન, અમદાવાદ, પાર્શ્વ પ્રકાશન. મહેતા, નીતિન : ૨૦૦૭, નિરંતર, મુંબઈ, લેખક. શાહ, સુમન : ૨૦૦૯, સિદ્ધાંતે કિમ્?, અમદાવાદ, પાર્શ્વ પ્રકાશન.


● ‘ઉદ્દેશ’, ઑકટોબર ૨૦૧૦


  1. * ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈના ઉપક્રમે યોજાતી ‘ડૉ. હરિવલ્લભ ભાયાણી સ્મૃતિવ્યાખ્યાનમાળા’ અંતર્ગત, ૨૦૦૯ની ૧૨મી સપ્ટેમ્બરે વિલેપાર્લે, મુંબઈમાં, કરેલું વક્તવ્ય, કેટલાક ફેરફાર સાથે.