ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એ લોકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એ લોકો
પ્રિયકાન્ત મણિયાર

એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેેચે છે

એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે.
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે.

એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ,
બીજું એને કાંઈ ભાવતું નથી,

મારે કવિ થવું જ નથી
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો ય બસ!