ગુજરાતી ગઝલસંપદા/અમૃત કેશવ નાયક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃત કેશવ નાયક

કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!

ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે;
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે!

જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે;
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે!

તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે;
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે!

હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને;
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે!

નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું;
કપાઈ સર સરાસર બોલશે, બસ! તું જ સરવર છે!

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જાહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.

ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે!