ગુજરાતી ગઝલસંપદા/ નીતિન વડગામા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નીતિન વડગામા

તેજ ને તપની ખુમારી હોય છે.
આગવી એ શાહુકારી હોય છે.

શબ્દનો અજવાસ પ્રગટે એ ક્ષણે,
બ્રહ્મની ઘોડેસવારી હોય છે.

છે બધાં મનનાં જ કારણ આખરે,
ચીજ જ્યાં સારી-નઠારી હોય છે?

કોઈને કાંટા ખૂંચે છે એ જગા,
કોઈ માટે ફૂલક્યારી હોય છે.

સાવ સોંસરવી તને જે ઉતરી,
એ ગઝલ એણે મઠારી હોય છે.