ગુજરાતી ગઝલસંપદા/ ‘અગમ’ પાલનપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘અગમ’ પાલનપુરી

શબ્દ ભીતર પ્રાણનો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!