ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/ઊંટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊંટ

મધુ રાય

હરિયો યુગવિમાનમાં બેઠો’તો.

યુગવિમાનની બક્ષિસ તો ઘણા ટાઇમથી મળેલી પણ ઘરબારની જંજાળમાં મરવાનીય ફુરસદ નહોતી મળતી ત્યાં વળી વિમાનની પંચાત ક્યાં કરે. પણ હમણાંકથી વળી વિમાનનો ચસકારો ચડેલો, એક દિવસ અંદર બેસીને ચાંપું વગેરે ક્યાં છે, બળતણ કેમ ભરાય છે, નકશો ક્યાં છે બધું જોઈ આવેલો. પણ માસ્ટરી હજી આવી નહોતી.

હવે એવાં જ કંઈક ખાંખાંખોળાં કરતો હતો ને ગધનું શુંયે થયું કે કંઈક ભળતા જ મુલકમાં આવી ચડ્યો. નકશો ખોલીને જોયું તો પોતે હતો ઊંટલોકમાં.

*

હજી તો વિમાન ઊભું રહે તે પહેલાં બે બાજુથી બે ઊંટ દોડતાં આવ્યાં અને હરિને ઉતાર્યો. સામસામાં ગળામાં ઘડિયાળ લટકતાં હતાં તેમાં જોઈને બંને ઊંટે કહ્યું, ‘ઊંવાએ ઊં.’ કો’ક કળથી હરિયો સમજ્યો કે બંને જણે ઊંટભાષામાં કહ્યું, કે ‘ટાયમસર ઊતર્યો.’ હરિયે બહુ મે’નત કરી સમજાવવાની, કે આ તો અકસ્માત; મનુષ્ય-લોકમાંથી ઊંટલોકમાં આવી ચડ્યો છે, પણ ઊંટોએ વાત પોતાની જ પકડી રાખી કે ‘ઊંવાંચેં ઊં.’

ઊંટ લોકોએ માણસની ચામડીના ડગલા પહેરેલા. હરિયાને બાંધીને એ લોકો લઈ ગયા પોતાના સેન્ટરમાં. એ સેન્ટરમાં સિંહલોકો રિસર્ચ કરતા હતા, વરુઓ ચોકી કરતા હતા, વાઘ એન્જિનિયર હતા, હાથી રસોઇયા હતા અને વાંદરા કડિયા હતા. બધા અંદરોઅંદર પોતપોતાની બોલી બોલતા, પણ ઊંટોની સામે ઊંટભાષામાં બોલતા. બધાં પ્રાણીઓએ માણસની ચામડીના ડગલા પહેરેલા.

*

સુરસિંહ નામે એક વૃદ્ધ સિંહે હરિને સામે બેસાડ્યો. ટેબલ માણસોનાં હાડકાંનું બનાવેલ હતું. સુરસિંહે હરિને કહ્યું, કે બે દિવસ પહેલાં અમે એક વિમાન છોડેલું એમાં તને – હરિને બેસાડેલો. એ વિમાન ઉડાડેલું સૃષ્ટિનો ભેદ સમજવા. સૃષ્ટિની માયા એવી છે કે અંતરીક્ષમાં ઉડાડેલું વિમાન વર્ષો, દાયકાઓ, યુગો સુધી ફર્યા કરે, એમાં રહેલો જીવ વર્ષો સુધી જીવે પણ વિમાન પાછું ઊંટલોકમાં ઊતરે ત્યાં કેવળ બે જ દિવસ અને અઢી ઘટિકા જ થઈ હોય. અંદર બેઠેલા જીવને થાય કે પોતે અકસ્માત્ આવી ચડ્યો છે, પણ એ બધું સિંહોએ કરેલી ગણતરી પ્રમાણે જ, ‘ઊંવાંચે ઊં.’ એટલે હવે, સુરસિંહે કહ્યું, કે બે વસ્તુ કરવાની છેઃ એક તો ડી-બ્રિફિંગ, અને બીજું રી-ઑરિએન્ટેશન.

ડી-બ્રિફિંગ, એટલે ઊંટલોકના બે દિવસ અને અઢી ઘટિકામાં વિતાવેલા યુગોમાં હરિયાના મગજ ઉપર શી શી છાપ પડી છે તે સમજી, લખી એનો મર્મ સમજવો, તે –

રી-ઑરિએન્ટેશન એટલે ઊંટલોકની ભાષા, રીત-રસમ વગેરે હરિયો ભૂલી ગયો છે. એટલે હરિયાને ફરીથી એ બધી વસ્તુઓથી માહિતગાર કરવો અને ફરીથી હરિયાને ઊંટલોકની જ્ઞાનપિપાસામાં ઉપયોગી કડી બનાવવો, તે. સુરસિંહે કહ્યું કે એ બંને વસ્તુ જુદી જુદી નથી. બંને વસ્તુઓ આમ તો એક જ પ્રકિયા છે. એની રીતિ છે, હરિયાને ઊંટલોકમાં છૂટો છોડી દેવો. એ જે જે કરે તેની નોંધ રાખવી અને વિચારે તેનો રેકર્ડ રાખવો.

સુરસિંહે પોતાનો ગદા જેવો પંજો કેશવાળીમાં ફેરવ્યો. દાખલા તરીકે આ ‘માથામાં હાથ ફેરવવો’ એ ક્રિયા છે. એ જોઈને હરિને શું યાદ આવે છે? હરિએ કહ્યું કે એ જોઈને ‘માથામાં હાથ ફેરવવાની ક્રિયા’ યાદ આવે છે. મનુષ્યલોકમાં માણસો એવું કરે છે. સુરસિંહે કહ્યું, કરેક્ટ. માણસો અહીંની ઘણી વસ્તુઓની નકલ કરે છે, પણ એ બીજા યુગની, બીજા લોકની, બીજી વાતો છે.

હરિએ યાદ રાખવું કે એના મગજ ઉપર એનો અધિકાર નથી. ઊંટલોકની સમસ્ત ચેતના તે એક પ્રચંડ સમૂહ છે. આખી ચેતના એક મોટો પિંડ છે, અને એ પિંડ સામૂહિક રીતે વિચારે છે, હરિની અંગત ચેતના એને મન અંગત અને અનન્ય છે, પણ એ હરિનો ભ્રમ છે. એની ચેતના ખૂબ જ સૂક્ષ્મ રીતે મુકાયેલા ગણિતના દાખલાના ઉત્તરની જેમ, જે રીતે એના મગજમાં ગોઠવાઈ છે, એ જ રીતે વિચારે છે, અને આ ક્ષણે એના મગજમાં આવતા વિચારો એના કારણે જે આવે છે. સુરસિંહે મોટું બગાસું ખાઈ ગર્જના કરી, હરિયો સમજ્યો કે મુલાકાત પૂરી થઈ છે.

*

ઊંટલોકમાં સૌ પશુઓ સંપીને પોતે પોતાનું કામ કરતાં હતાં. ઊંટ કરતાં જિરાફ ઊંચું હતું પણ કોઈ હોંસાતુંસી નહોતી. એક જ અજબ વાત એ હતી કે માણસોનો ઘોર દુરુપયોગ થતો હતો. દરેક પશુને ઘરે એક પાળેલો માણસ હતો. એ પાળેલા માણસને પશુ વળી કપડાં પહેરાવતાં, પણ માણસોના વાડામાં તો માણસો નિર્વસ્ત્ર રહેતાં, માથે પાંચ ફૂટ અને ત્રણ આંગળી ઊંચું છાપરું રહેતું. એ છાપરાને લીધે માણસોનો વિકાસ એથી ઊંચો ન થતો. બરાબર પાંચ ફૂટ ને ત્રણ આંગળનો, ન નાનો, ન મોટો, માણસ રિસર્ચ માટે સારો ગણાતો. બાકીનાંનો ઉપયોગ ભોજનમાં થતો. અને એમનાં ચામડાં, દાંત, નખ, હાડકાં વગેરે વિધ-વિધ ઉપયોગમાં આવતાં હરિયો બરોબર પાંચ ફૂટ ને ત્રણ આંગળનો હતો, એટલે બચી ગયેલો.

*

અંતરીક્ષમાં ફરી આવેલો એટલે હરિયાનો મોભો હતો. એ કપડાં-લત્તાં પહેરે એથી કોઈ હસતું નહીં. એને ફાવે ત્યાં જવાની છૂટ હતી. ફાવે તેની સાથે વાત કરવાની અને ફાવે તે ખાવાની છૂટ હતી. બાકીના માણસોને અનાજ નીરવામાં આવતું. હરિયો સ્પેશ્યલ કેસ હતો.

ઊંટલોકમાં મનુષ્યો હરિયા સાથે બહુ ભળતા નહીં. હરિયાને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળતી તેથી કોઈ ચિડાતું નહીં. પણ હરિયાને કોઈ ઝાઝું મોં આપતું નહીં એટલે હરિયો મોસ્ટલી સિંહો કે ઊંટોની સાથે ફરતો.

*

એ રીતે એક દિવસ એ ચન્દ્રસેન નામે ઊંટની પડખે ચડી ગયો. ચન્દ્રસેન ઊંટલોકના મોટા ગાયક હતા. કો’ક કારણસર ચન્દ્રસેનને સુરસિંહ નામનો સિંહ ગમતો નહીં. હરિયાને ચન્દ્રસેનનું ગાયન બહુ કંઈ અપીલિંગ નહોતું લાગતું. પણ વાતો કરવા માટે ચન્દ્રસેન ઠીક હતા. એટલે હરિયો ચન્દ્રસેનનો ગોઠિયો બનેલો. હરિયો બેઠો હોય ત્યારે ચન્દ્રસેન અરીસામાં જોઈને ગાયન ગાય. ચન્દ્રસેને એક સુંદર ગાયન બનાવેલું. સ્વાભાવિક રીતે એણે એ ગાયનનું નામ ‘ચન્દ્રાખ્યાન’ પાડેલું. એ ગાતાં ગાતાં ચન્દ્રસેન આયનામાં જોઈને તરેહ તરેહનાં મોં બનાવતા. માનો યા ન માનો હરિભાઈ, ઊંટ જેવું સુંદર પ્રાણી આ વિશ્વમાં થયું નથી. ચન્દ્રસેન ગાયન પૂરું કરીને ઘણી વાર કહેતા. હરિયો મરકી રહેતો.

ચન્દ્રસેન ઘણી વાર અરીસામાં જોઈને સુરસિંહને, બધા જ સિંહને, શિયાળો, વાઘો, વરુઓ અને મનુષ્યોને ભાંડતા. ઊંટોનો વારો પણ ઘણી વાર આવી જતો. ચન્દ્રસેન કહેતા કે પોતે સાલા રહ્યા ગરીબ ઊંટ. બીજા ઘણા ઊંટ અમીર છે, પણ ઘણા વાઘને ઘરે ઘણી વાઘણો છે, અને અનેક હાથીઓ પાસે સેંકડો વાડીઓ છે. આ બધા ભલે ચન્દ્રસેનને કંઈ ન ગણતાં હોય, પણ ચન્દ્રસેન જેવો ગાયક ઊંટ-ભાષામાં થયો નથી અને થવાનો નથી. પછી ચન્દ્રસેન આયનામાં જોઈને એક ઊંટરાગ છેડતો, અને હરિયો મરકી રહેતો. ચન્દ્રસેનના ઘરમાં ઘણા આયના હતા. કોઈ વાર નવરા પડે ત્યારે ચન્દ્રસેન નવા આયના પણ બનાવતા.

*

હરિયાના મગજમાં જાતજાતના કલબલાટ થતા હતા. મનુષ્યલોકમાં હતો ત્યારે થતું હતું કે દુનિયા સમજી લીધી છે અને બીજી જ મિનિટે હજાર હાથવાળો કંઈક એવો દાવપેચ ખેલતો કે હરિયાને થતું ગધડીની દુનિયા કંઈ સમજાતી નથી. હજી મનુષ્યલોકનો તોડ બેસાડે એટલી વારમાં તો યુગવિમાનની રામાયણ થઈ. એમાં ફરતાં વળી જે-જે અનુભવ થયા એનાથી જે વળી કંઈ દુનિયા માટે સમજેલો એનોય દાટ વળી ગયો ને આ ઊંટલોકમાં ફરીથી એકડો ઘૂંટવાનો આવ્યો. એને લાગ્યું કે આવા ઈશ્વર જાણે કેટલાય લોક હશે. અને બધા લોકના લોકમલક સામસામા આયના રાખીને બેઠા હશે. અને સામસામું નકલું કરતા હશે. હવે હરિયાના મગજનો સુવાંગ વિચાર કહો કે સુરસિંહના ગણિતની કમાલ કહો, હરિયાને વિચાર આવ્યો કે કો’ક ભગવાનના માણસને – અથવા તો ભગવાનના ઊંટને – મળીએ અને જરીક પેટછૂટી વાત કરી લઈએ. તો તમે માનો કે ન માનો ઊંટલોકમાં એક હરિશ્ચન્દ્ર નામનો ઊંટ પણ હતો અને એને પણ હરિયાની જેમ ભગવાન સાથે નાતો સારો હતો. હરિયાએ હરિશ્ચન્દ્રને મળવાનું ગોઠવ્યું.

*

હરિશ્ચન્દ્ર બેઠી દડીનો ઊંટ હતો. હરિયાએ જે-જે કર્યા. હરિશ્ચન્દ્ર ઊંટે માથું હલાવ્યું. બંને જણે મળીને ભગવાનને યાદ કર્યા. અને તમે જોયું હોય તો ભગવાન ખુદ પોતે ઝગારા મારતા ઊંટના રૂપમાં આવ્યા. હરિયાએ કહ્યું કે પરમાત્મા, આ તે કેવી લીલા?

ભગવાને કહ્યું કે ગગા, જી જીવ મને જી રૂપમાં કલ્પે ઈ રૂપમાં હું તો આવું.

એ જ વખતે હરિશ્ચન્દ્ર ઊંટે પૂછ્યું, ‘ભગવાન, તમે માણસના રૂપમાં કેમ આવ્યા?’ ભગવાને ઊંટને એની જ ભાષામાં હરિયાને આપેલો તેવો જ આન્સર આપ્યો. પછી બંને ભક્તોને ભગવાને કહ્યું કે તમે સવાલો પૂછો અને જવાબ મળી જશે. બંને ભક્તોએ એકીસાથે પોતપોતાના મનની મૂંઝવણો કહી, બંનેને એકીસાથે મનની મૂંઝવણોના જવાબ મળ્યા. હરિયાની સામેના પ્રભુના સંવાદનો સાર આમ હતો: હરિયાએ પૂછ્યું, પ્રભુ, ‘મનુષ્યલોકમાં તો એવો સિદ્ધાંત પ્રચલિત છે, કે કોઈ માણસ અંતરીક્ષમાં ફરી પાછો આવે ત્યારે પૃથ્વી ઉપર યુગોના યુગો વીતી ગયા હોય; માણસ પોતે તો એકાદબે વરસમાં જ પાછો આવ્યો હોય. પણ અહીંયાં તો વળી ઊંધી જ વાત ચાલે છે, એનું કારણ શું?’

શ્રી ભગવાન બોલ્યા, ‘બેટા, સમય સમય બળવાન છે, સમય અને સ્થળ પ્રમાણે જીવો ‘સત્ય’ સમજે છે, સમજ્યા પછી એને સત્ય બનાવી સ્થાપે છે. સમય અને સ્થળ બદલાતાં એ ‘સત્ય’ બદલાય છે અને નવું ‘સત્ય’ સ્થપાય છે. તું તો જાણે છે, કે આખી સૃષ્ટિની લીલા કેવળ કલ્પના છે, માયા છે. ‘સત્ય’ નથી બદલાતું, માણસની કે ઊંટોની દૃષ્ટિ બદલાય છે, અને સમજણ બદલાય છે, એટલે પરસ્પર વિરોધાભાસી બે વસ્તુઓ સાચી હોઈ શકે. જે જીવને જ્યારે જે ઠીક લાગે ત્યારે તે સાચું.

હરિએ પૂછ્યું, પ્રભુ, મને તો સમજાય છે કે તમારી સૃષ્ટિમાં આવા અગણિત ‘લોક’ હશે. તમે સર્જેલાં પ્રાણીઓમાં દરેકને શ્રેષ્ઠ થવાનો ચાન્સ જુદા જુદા લોકમાં આપતા હશો. પૃથ્વી ઉપર માણસ શ્રેષ્ઠ છે, અને બાકીનાં પ્રાણીઓને તાબામાં રાખે છે. તેમ ઊંટલોકમાં ઊંટ શ્રેષ્ઠ છે અને –

શ્રી ભગવાને કહ્યું, ‘ગાંડા, મારે તો પાંચે આંગળી ઇક્વલ, તમે અંદરોઅંદર શ્રેષ્ઠ અને કનિષ્ઠના ખેલ ખેલ્યા કરો. એક વાત સમજી લે. તમે જીવો જ્યારે જ્યારે કંઈ સમજો છો ત્યારે ત્યારે તમારી સમજણના સીમાડા આગળ વધારો છો, એથી વધુ કંઈ નહીં. તું જે જે વસ્તુ કલ્પે તે ગમે તેવી અદ્ભુત હોય, કે વિચિત્ર હોય, કે તારે મન અસંભવ હોય; મારી સૃષ્ટિમાં તે હયાત છે. ગાંડા, તારી કલ્પનામાં આવે તે મારી ‘કલ્પના’માં ન હોય, એવું તે કંઈ બને? આ તો બધાને થોડી થોડી લિમિટ આપી રાખી છે, બધા મથી મથીને એ લિમિટ વધારવાનો ટ્રાય કર્યા કરે અને ‘નવું’ ‘નવું’ સમજ્યા કરે. બધાને થાય, આ હું કરું છું. આ મેં કર્યું છે, આ મેં શોધ્યું છે, પણ ઈ બધું ઠીક છે, મારી ઇચ્છા વિના પાંદડું યે ફરકતું નથી.

એમ કહીને ભગવાન અલોપ થઈ ગયા.

*

હરિયો અને હરિશ્ચન્દ્ર ભગવાનની વાતે ચડેલા. હરિશ્ચન્દ્ર ઊંટે ઊંટલોકમાં પ્રચલિત પુરાણોની વાત કહી. એમાં બધું મોસ્ટલી પૃથ્વીલોકમાં ભરતખંડ મધ્યે પ્રચલિત કથાઓ જેવું જ હતું. ફરક ખાલી એટલો જ હતો કે ભગવાન મોટા ભાગે ઊંટના રૂપમાં કલ્પાયેલા. બાકી શેષનાગ – બેષનાગ બધા એના એ. એટલે વિષ્ણુજી ઊંટ, એની ડૂંટીમાંથી કમળ નીકળે, એમાંથી સર્જાય આદિબ્રહ્મા. એનાં ચાર મોં, પણ ચારેચાર ઊંટનાં મોં. આદિબ્રહ્માની દસમી પેઢીએ યયાતિ નામનો પ્રતાપી ઊંટરાજ થયો. એનો પુત્ર પુરુ એની અઢારમી પેઢીએ દુષ્યંત નામે ઊંટ થયો. એનો પુત્ર ભરત, એનો પ્રપૌત્ર હસ્તિ, એની ત્રીજી પેઢીએ આજમીઢ, એની ત્રીજી પેઢીએ કરુ. બધા ઊંટ રૂપે પ્રચલિત હતા ઊંટલોકમાં. કરુની છઠ્ઠી પેઢીએ શાંતનુ રાજા, એના પ્રપુત્રો પાંડવો અને કૌરવો. અને એ પાંડવોમાંથી એકના સન્મિત્ર હતા કૃષ્ણ નામે પ્રતાપી ઊંટ. ઊંટલોકમાં પણ કૃષ્ણાવતાર પ્રસિદ્ધ હતો, પણ કૃષ્ણ ઊંટ રૂપે કલ્પાયેલા. વિષ્ણુ અને લક્ષ્મી પણ ઊંટ. ઊંટલોકના રાજાઓ અશ્વમેધ યજ્ઞ ન કરતા, નરમેધ યજ્ઞ કરતા. એ પુરાણોમાં રાજાઓ હરણના શિકારે ન જતા, મનુષ્યના શિકારે જતા. હાથીની અંબાડી ન નીકળતી, માણસોની અંબાડી નીકળતી.

હરિયાએ હરિશ્ચન્દ્ર ઊંટને કહ્યું, કે પૃથ્વીલોક અને ઊંટલોકમાં અમુકઅમુક આઇટમ મળતી આવે છે, પણ એ બધી વાર્તાઓ સાંભળીને લોહી ઊકળી આવે છે. તમારા લોકમાં પશુઓએ મનુષ્યો ઉપર જે જુલમ ગુજાર્યો છે એ સહી શકાતો નથી.

હરિશ્ચન્દ્ર ઊંટે કહ્યું તમારે ત્યાં પશુઓ ઉપર જે જુલમ ગુજાર્યો છે, એ સમજી શકાતો નથી.

બંને ભક્તો આકાશ ભણી જોઈ રહ્યા.

*

એક દિવસ ઊઠીને હરિએ જોયું તો પોતે ઊંટ બની ગયેલો. ઊંટની જેમ ચાર પગ, ઊંટ જેવું મોં. બધું ઊંટ જેવું. એકદમ અચંબામાં આવીને એણે ચન્દ્રસેનનું બારણું ખખડાવ્યું. ચન્દ્રસેને પ્રેમથી આયનો આપ્યો. હરિએ જોયું તો પોતે નખશિખ ઊંટ બની ગયો છે. હરિને થયું કે પ્રભુની લીલાનો કંઈ પાર નથી.

હરિને થયું કે પોતાના ઊંટ બની જવા પાછળ કંઈક સંકેત હશે. એટલે એ જઈ પહોંચ્યો સુરસિંહ સિંહ પાસે. સુરસિંહ રાહ જ જોતા હતા. એને બેસાડીને સુરસિંહે કહ્યું, ‘ઊંવાંચેં ઊં.’

સુરસિંહે કહ્યું કે અમે એક પ્રયોગ કરીએ છીએ. એ પ્રયોગ પ્રમાણે હરિયાના મગજના કોષો ઉપર એવા સંસ્કાર પાડવામાં આવેલા કે એ કોષ પોતાને ઊંટ થવું છે એવી પ્રબળ ઇચ્છા કરે. એ ઇચ્છાની પ્રબળતા પ્રમાણે વહેલોમોડો તે જીવ તે યોનિમાં અવતરે છે. સુરસિંહે કહ્યું પ્રત્યેક જીવની ચેતના અજર, અમર છે, અને એક મહાપિંડનો અંશ છે. એ ચેતનાના પ્રત્યેક પરમાણુમાં સૃષ્ટિના ચક્રસંચાલનનું બીજ રહેલું છે. તે બીજમાં સમસ્ત બ્રહ્માંડનું વૃક્ષ છુપાયેલું છે અને કાળે કરીને એ વૃક્ષ ફલિત થાય છે. જીવ વિધ-વિધ યોનિ, લોક અને સંદર્ભમાં જન્મે છે. પ્રત્યેક જન્મની સ્મૃતિ નાશવાન છે. પણ વીતેલા જન્મો અને આવતા જન્મોના વિગત-અનાગત સંસ્કારો જીવની ચેતના પર પડેલા હોય છે. અને એ કારણે તમામ ‘લોક’ના તમામ જીવ પરસ્પરની નકલ કરતા હોય એવું જણાય છે.

*

હરિયો વિચારમાં પડી ગયો. આવું બધું હાઈ થિન્કિંગ બહુ ફાવતું નહીં. સુરસિંહને એણે પૂછ્યું, કે ટૂંકમાં સમજાવો કે હવે શું થવાનું છે. સુરસિંહે કહ્યું કે ઊંટલોકની એક જૂની કહેવત છે, વિનાશ કાળે વિપરીત બદ્ધિ. આજની અઢી અબજ અને બે કરોડ ત્યાંશી લાખ, બાણું હજાર, છસ્સો ને બે વર્ષ આઠ માસ, છ દિવસ અને સાડાપાંચ ઘટિકા પછી ઊંટલોકનો નાશ થવાનો છે.

હરિયો અકળાયો. એ તો અબજો વરસની વાત થઈ. તાત્કાલિક ભવિષ્ય કહો ને?

સુરસિંહે કહ્યું, એ વિનાશનાં બીજ રોપાઈ ગયાં છે, ઊંટલોકમાં અત્યારે પશુઓમાં સંપ પ્રવર્તે છે. પણ અમુક ઊંટોના મનમાં ઊંટજાતિ શ્રેષ્ઠ છે એવો વિચાર રોપાઈ ચૂક્યો છે. એ ઊંટનો નાયક છે ચન્દ્રસેન. આત્મપ્રીતિના વિષથી ઊંટો ધીમે ધીમે પરસ્પરથી ઉચ્ચ છે એવો મત પ્રસિદ્ધ કરશે. સામૂહિક ચેતનાની સર્વોપરિતાને સ્થાને વૈયક્તિક ચેતનાની મહત્તાનો યુગ આવશે અને શનૈ: શનૈ સમસ્ત ઊંટજાતિ અસંખ્ય દર્પણોમાં જોઈ જોઈ આત્મરતિ કરી નષ્ટ થશે.

હરિયાએ પૂછ્યું: ‘પછી!’

સુરસિંહે કહ્યું, એની સાથે સાથે ઊંટલોકની સમસ્ત પ્રાણીસૃષ્ટિ નાશ પામશે. સુરસિંહે નિશ્વાસ નાખ્યો અને હરિયાને વિમાન દર્શાવી બેસવા સૂચવ્યું. હરિયો યુગવિમાનમાં બેઠો.

સુરસિંહે કહ્યું, અમે તને ફરી અંતરીક્ષની સફરે મોકલીએ છીએ. આ વખતે તારા વિમાનનું ઉડ્ડયન સાડાત્રેવીસ અંશની ત્રિજ્યાએ થશે. એથી કાળક્ષેપ તિર્યંક ગતિથી થશે અને તારા યુગો પૃથક્ પ્રવેગે વીતશે.

હરિયાએ પૂછ્યું, ઊંટ બનીને હવે હું ક્યાં જાઉં? સુરસિંહે કહ્યું, હરિ, મિત્ર, સમજ કે તું અમારો એક પત્ર છે. ભાવિના ગર્ભમાં તું અને તારું વિમાન અમારો સંદેશો છે. તું પાછો આવશે ત્યારે અમારા ઊંટલોકની વિધિલિપિ બીજા કોઈ લોકમાં ભજવાયેલી જોઈને આવશે એ પુરોદર્શન વડે અમે કદાચ અમારા ભાવિને બચાવી શકીશું. સુરસિંહે હરિયાને માણસની ચામડીનું બનાવેલું પહેરણ પહેરાવ્યું.

હરિનું યુગ વિમાન એક પાટા પર ગોઠવાયું. પાંચ ઊંટે ઠેલીને વિમાનને અંતરીક્ષના બારા ઉપર ગોઠવ્યું. સુરસિંહે ગળામાં લટકાવેલી ઘડિયાળ જોઈ કાઉન્ટ ડાઉન શરૂ કર્યાં, ‘દસ નવ આઠ…’ હરિયાનું મગજ ભમવા લાગ્યું. ઊંટલોકની સ્મૃતિઓ સપાટાબંધ ઓગળવા લાગી. આંખો પટ-પટ થવા લાગી. ‘સાત-છ-પાંચ-ચાર…’ સિંહના અવાજો દૂર દૂર જવા લાગ્યા. હરિની આંખો બંધ થઈ ગઈ. ‘ત્રણ-બે-એક-ફાયર!’ અને રેતી ઉપર લખેલા નામ ઉપર મોજું ફરી વળતાં નામ અલોપ થઈ જાય તેમ ઊંટલોકમાંથી હરિનું યુગવિમાન અલોપ થઈ ગયું.

*

હરિયાએ આંખ ખોલી. યુગવિમાનની ચાંપુ જોઈ. નકશો જોયો. પણ કઈ દિશામાં કેમ વાળવું એની માસ્ટરી આવી નહોતી અને કયા લોકમાં ઊતરવા પૈડું કેમ ફેરવવું એનો આઇડિયા પાકો નહોતો. હરિયાએ જાતને કહ્યું, મેલને પડ, થાવાનું હશે ઈ થાશે.