ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. નગાધિરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કાલેલકર [દત્તાત્રેય કાલેલકર]

૧. નગાધિરાજ





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • નગાધિરાજ - કાકા કાલેલકર • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની



વિદેશ રહેતા મનુષ્યમાત્રમાં પોતાની જન્મભૂમિનું સ્મરણ, જન્મભૂમિનો વિરહ અને જન્મભૂમિએ પાછા પહોંચી જવાની ઇચ્છા નિત્ય જાગ્રત હોય છે જ. હિંદુસ્તાનની જબરી શહેનશાહી મળી અને મીઠી અમૃત જેવી કેરી ખાવાને મળી છતાં બાબરને મધ્ય એશિયાનાં એનાં તડબૂચ વારંવાર યાદ આવતાં. અને જન્મભૂમિનાં દર્શન જીવતાં એના ભાગ્યમાં ન હોય તોપણ અંતે તેનાં હાડકાં તો એ જન્મભૂમિમાં જ જઈને પડે એવી એની ઇચ્છા રહી. હિંદુસ્તાનમાં આવીને નવાબી ઠાઠમાં રહેનાર અંગ્રેજને પણ છ માસની રજા લઈને સ્વદેશ જઈ આવ્યા વિના ચેન પડતું નથી. આવી જ જાતની કંઈક ઉત્કંઠા હિંદુ લોકના મનમાં હિમાલયને વિષે છે. ઇતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિંદુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ રાષ્ટ્રહૃદયમાં વસતી પ્રેરણાને જો કંઈ ઐતિહાસિક મહત્ત્વ હોય, તો હિમાલય એ જ આપણું આર્યનું આદ્યસ્થાન છે. રાય હો કે રંક, વૃદ્ધ હો કે યુવા, પુરુષ હો કે સ્ત્રી, પ્રત્યેકને લાગે છે કે આયુષ્યમાં વધુ નહીં તો એક જ વાર, પણ હિમાલયનાં દર્શન કરીએ. હિમાલયનાં અમૃતજળનો આસ્વાદ લઈએ, હિમાલયની એકાદ વિશાળ શિલાની ઉપર બેસીને ક્ષણભર ઈશ્વરનું ધ્યાન ધરીએ. જિંદગીનાં કરવાનાં તેટલાં કાર્યો સમેટાઈ જાય, ઇંદ્રિયોની બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય, જીર્ણ દેહ અને બાકી રહેલું આયુષ્ય ભારરૂપ લાગવા માંડે, એટલે પછી આ દુનિયારૂપ પારકા ઘરમાં પડ્યા ન રહેતાં સ્વગૃહે જઈને જ મરીએ. આવા ઉદ્દેશથી કેટલાયે હિંદુઓ અન્નજળનો ત્યાગ કરીને દેહ પડે ત્યાં લગી હિમાલયમાં ઈશાન દિશા તરફ ચાલ ચાલ કરે છે. આપણા શાસ્ત્રકારો આ જ માર્ગ લખી ગયા છે. કોઈ રાજાનું રાજપાટ ગયું કે તે જશે હિમાલયમાં. ભર્તૃહરિ સરખાને ચાહે તેવડો વૈરાગ્ય ઊપજ્યો, પણ તેનેય હિમાલયને વિષેનો અનુરાગ એક અણુમાત્ર પણ ઘટવાનો નહીં. ઊલટો એનો અનુરાગ વધારે ને વધારે ચડતો જશે. કોઈક વેપારીને દેવાળું કાઢવા વખત આવ્યો, કોઈ સોદાગરનું સર્વસ્વ સમુદ્રમાં ડૂબી ગયું, કોઈની સ્ત્રી કુલટા નીવડી, કોઈની પ્રજા ઊધળી ગઈ, કોઈને કંઈ રાજકીય કે સામાજિક સંકટ માથે આવી પડ્યું, કોઈને પોતાના અધઃપાતને લીધે સમાજમાં મોં બતાવવા સરખું ન રહ્યું, – કોઈ પણ અવસ્થામાં આસ્તિક હિંદુ આપઘાત નહીં કરે. પરમ દયાળુ મહાદેવ ઉપર હિંદુને જેટલી શ્રદ્ધા છે તેટલી જ અટળ શ્રદ્ધા તેને હિમાલય ઉપર છે. પશુપતિનાથની જેમ હિમાલય પણ અશરણશરણ છે. રાષ્ટ્રોદ્ધારનું ચિંતન ચંદ્રગુપ્તે હિમાલયમાં જઈને જ કર્યું હતું. સમર્થ રામદાસ સ્વામીને પણ રાષ્ટ્રોદ્ધાર કરવાની શક્તિ બજરંગ બલી રામદૂત પાસેથી હિમાલયમાં જ પ્રાપ્ત થઈ હતી. હિંદુ ધર્મનું રહસ્ય અનાયાસે પ્રગટ થાય એવું પૃથ્વીની સપાટી ઉપર કોઈ સ્થાન હોય તો તે હિમાલય જ છે. શ્રી વેદવ્યાસે પોતાનો ગ્રંથસાગર હિમાલયને ખોળે બેસીને રચ્યો હતો. શ્રીમત્ શંકરાચાર્યે એમની વિશ્વવિખ્યાત પ્રસ્થાનત્રયી હિમાલયમાં જ લખી કાઢી હતી. અને સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ પણ સનાતન ધર્મનાં તત્ત્વો આધુનિક જમાનાને કેવી રીતે લાગુ કરવાં એના વિચાર હિમાલયમાં જ કર્યા હતા.”* (ગાંધીજીએ પોતાના ગીતાનો અનુવાદ— અનાસક્તિયોગ (નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ–૧૪) પણ હિમાલયમાં જ પુરો કર્યો એનું અહીં સ્મરણ થયા વગર રહે નહીં.) હિમાલય — આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, – પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષોઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવતાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વ દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. છેક બચપણથી હિમાલયનું નામ આપણે સાંભળતા આવ્યા છીએ. બાલવાર્તા, બાલગીત, પ્રવાસ કે યાત્રાવર્ણન, ઇતિહાસ કે પુરાણ, ગમે ત્યાં જુઓ, બધે અંતિમ આશ્રય તો હિમાલયને વિષે જ મળવાનો. નાનપણથી જે આદર્શ રમણીય સ્થાન કલ્પનાસૃષ્ટિમાં આવ્યું હશે તે હિમાલયમાંથી જે કલ્પાયું હોવાનું.

અરે, આ હિમાલયે શું શું નથી જોયું? પૃથ્વી પરના અસંખ્ય ધરતીકંપ અને આકાશમાંના હજારો ધૂમકેતુને આંખની પાંપણ પણ હાલવા દીધા વગર એણે જોયા છે. મહાદેવના વિવાહ એણે જ કરી આપ્યા છે. સતીના વિહારનું અને કુમારસંભવનું એણે જ અપત્યવાત્સલ્યથી કૌતુક કર્યું છે. રઘુકુળની ભગીરથ પર્યંતની અનેક પેઢીઓની કઠણ તપસ્યાઓનો એ સાક્ષી છે. પાંડવોની મહાયાત્રા એણે જ સફળ કરી છે. પણ જૂની વાતો શા માટે? સત્તાવનની સાલના પરાક્રમમાં શિકસ્ત મળવાથી હતાશ ને નાસીપાસ થયેલા વીરોને અને મુત્સદ્દીઓને હિમાલયનો જ આશ્રય મળ્યો છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિથી જોવું હોય, પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિથી વિચારવું હોય, ઐતિહાસિક દૃષ્ટિથી શોધ કરવી હોય, ભવ્યતાનું જો તમારે દર્શન કરવું હોય, ધર્મતત્ત્વોને ઉકેલવાનો જો તમારે પ્રયત્ન કરવો હોય, તો હિમાલયમાં જ તમારું સમાધાન થવાનું; કારણ આર્યાવર્તના એકેએક જમાનાના પુરુષાર્થ હિમાલય જાણે છે.

હિમાલયમાં જવાની પ્રથમ ઇચ્છા મારા હૃદયમાં ક્યારે ઉત્પન્ન થઈ એ કહેવું મુશ્કેલ છે. કદાચ મારા જન્મની સાથે સાથે જ એ પણ જન્મી હશે. કદાચ, ઉપર કહ્યું તેમ, એ વંશપરંપરાગત રાષ્ટ્રીય ભાવના હશે. પ્રવાસનો વિચાર કરીએ એટલે ઘર છોડીને આપણે પરદેશ જઈએ છીએ એવી ભાવના મનમાં આવે છે. હિમાલય જવાનો મેં જ્યારે જ્યારે વિચાર કર્યો છે, ત્યારે ત્યારે હું સ્વદેશે જવાનો છું, નહીં નહીં, સ્વગૃહે જવાનો છું એવી જ ભાવના મારા મનમાં પ્રબળપણે ઊઠતી અને મનમાં ને મનમાં મને ગલગલિયાં થતાં. હજુ પણ કોઈ હિમાલયની વાત કાઢે એટલે સાસરામાં રહેતી વહુ પિયેરની વાત સાંભળીને જેટલી રાજી થાય તેટલો આનંદ થયા વગર રહેતો નથી. છોકરી પિયેરથી દૂર પડી એટલે તે સતત પિયેરને જ ઝંખ્યા કરે છે. આ ઝંખનાનું પરિણામ એ થાય છે કે, પિયેરનું પ્રત્યક્ષ ચિત્ર એક બાજુ રહી જઈને તે પોતાના મનમાં એક પ્રેમચિત્ર નિર્માણ કરે છે. એને પોતાને માટે આ પ્રેમચિત્ર એ જ એક ખરી ચીજ છે. ઝંખના—ચિંતનનો ગુણ જ એવો છે કે, જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી ઇચ્છા હોય તે વસ્તુ તેવી છે જ એવી ભાવના થતી જાય છે. જગતમાં યથાતથ જ્ઞાન કોઈને થતું હોય તો ભલે; પણ જેને આપણે અનુભવનું પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ, તેની ઉપર પણ આપણી ઇંદ્રિયોનો રંગ ચડેલો હોય છે જ, એ કેવળ જ્ઞાન નથી હોતું. પ્રેમચિત્રમાં ઇંદ્રિયોનો રંગ નથી હોતો, પરંતુ હૃદયનો રંગ હોય છે, આદર્શ ભાવનાઓનો રંગ હોય છે. અને તેથી એ ચિત્ર આપણા જીવને વિશેષ નજીકનું અને વિશેષરૂપે સત્ય લાગે છે. તર્કવાદી ભલે આ ચિત્રને ખોટું ગણી કાઢે. સંસારનો અનુભવ અને સંસારનું રહસ્ય બધું તર્કની ચાળણીમાંથી ચાળી શકાતું નથી. તર્કને લાગે છે કે, મેં ઠરાવી આપેલી વ્યવસ્થા જગતે માનવી જ જોઈએ, જે મારે ગળે નથી ઊતરતું તે સત્ય હોઈ જ ન શકે. અસ્તુ. હવે પછી હિમાલયનાં હું જે શબ્દચિત્રો આપવાનો છું તે પ્રેમચિત્રો જ હોવાનાં. જે વસ્તુની ઉપર પ્રેમ બંધાયો તે વસ્તુનો પ્રેમરહિત વિચાર થઈ શકે જ નહીં. તેથી મારી પાસેથી પ્રેમચિત્ર છોડીને બીજી ભળતી ચીજની અપેક્ષા કેમ કોઈ રાખે?

[હિમાલયનો પ્રવાસ, ૧૯૨૪]