ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નિવેદન

નિવેદન

એકવીસમી સદી જ્ઞાનવિજ્ઞાન અને માહિતીની સદી છે. વિશ્વવિદ્યાલયોમાં થતાં શોધપ્રબંધો-સંશોધનોનું મહત્ત્વ આ સંદર્ભે ઘણું છે. નવા શોધછાત્રોને ભૂતકાળમાં થઈ ગયેલ સંશોધનકાર્યનો ખ્યાલ મળે એ માટે સંદર્ભસૂચિ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. ડૉ. કુમારપાળ દેસાઈએ વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિષયમાં સ્વીકૃત થયેલા પીએચ.ડી.ની પદવી માટેના શોધપ્રબંધોની ટૂંકસાર સહિતની વિસ્તૃત સંદર્ભસૂચિ તૈયાર કરી આપવા કહ્યું. મેં સહર્ષ સ્વીકાર કર્યો. અમે પહેલાં તો વિવિધ સામયિકોમાં, માહિતી મોકલવા માટેની જાહેરાત આપી. તેને અત્યંત નબળો પ્રતિસાદ પ્રાપ્ત થયો. ૧૦ ટકા માહિતી માંડ મળી. પછી વિવિધ યુનિવર્સિટીઓમાં કેટલાક મિત્રોને મદદ કરવા લખ્યું. ડૉ. મનોજ જોષી (સોરાષ્ટ્ર યુનિ.), ડૉ. વિનોદ જોશી (ભાવનગર યુનિ.), ડૉ. વિજય શાસ્ત્રી (દ. ગૂ. યુનિ.), ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ (સ. ૫. યુનિ.), ડૉ. સુધા પંડ્યા (મ. સ. યુનિ.), ડૉ. ઉષા ઉપાધ્યાય (ગૂજરાત વિદ્યાપીઠ) પ્રા. કલા શાહ (મુંબઈ યુનિ.) વગેરેએ પ્રેમપૂર્વક મદદ કરી. દોઢેક વર્ષની જહેમત પછી જેટલી મળી શકી તેટલી માહિતી અહીં આપી છે. ભિન્ન ભિન્ન મિત્રો દ્વારા મહાનિબંધ સાર સાંપડ્યા હોવાથી લખાવટની પેટર્નમાં વૈવિધ્ય જોવા મળશે. સંપાદક તરીકે મેં શક્ય તેટલી સમાનતા આણવા પ્રયાસ કર્યો છે. કેટલાક મહાનિબંધોના સાર સાંપડ્યા નથી. આ સંદર્ભસૂચિની અગત્ય સ્વયં સ્પષ્ટ છે. ગુજરાતી વિષયમાં સંશોધન કરનાર શોધછાત્રોને અને માર્ગદર્શકોને તે ઉપયોગી નીવડશે. આવા શૈક્ષણિક કાર્યમાં સહાયરૂપ થનાર મિત્રો અને પ્રકાશનની જવાબદારી ઉપાડનાર નવભારત સાહિત્ય મંદિરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.

પ્રસાદ બ્રહ્મભટ્ટ