ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃતવિજય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]