ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અસાઈત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અસાઈત [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : લોકનાટ્યકાર અને પદ્યવાર્તાકાર. પ્રચલિત કથા અનુસાર સિદ્ધપુરના યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા રાજારામ ઠાકર. અસાઈતની કવિ, વક્તા અને સંગીતકાર તરીકે ખ્યાતિ. તેમણે ઊંઝામાં છાવણી નાખી રહેલા મુસ્લિમ સરદારને, તેની પાસેથી ત્યાંના હેમાળા પટેલની પુત્રીને છોડાવવા એ પોતાની પુત્રી છે એવું કહેલું અને એની સાબિતી આપવા તેની સાથે જમણ લીધેલું; પરિણામે તેમની બ્રાહ્મણ-કોમે તેમને નાત બહાર મૂકેલા. આથી અસાઈતે પોતાના ૩ પુત્રો માંડણ, જયરાજ અને નારણ સાથે સિદ્ધપુર છોડી ઊંઝામાં નિવાસ કર્યો. ત્યાં હેમાળા પટેલે તેમને ઘર, જમીન તથા વંશપરંપરાના કેટલાક હકો લખી આપેલા જે અસાઈતના વંશજો આજેય ભોગવે છે. આ અસાઈતના પુત્રોનાં ૩ ઘર થયાં તેથી ‘ત્રણઘરા’ ઉપરથી ‘તરગાળા’ કહેવાયા. અન્ય મત મુજબ અસાઈતે આરંભેલી ભવાઈની પ્રવૃત્તિમાં ઔદીચ્ય, શ્રીમાળી અને વ્યાસ ૩ જાતિના બ્રાહ્મણો ભળ્યા તેથી ‘ત્રણ-ગાળાળા’ પરથી ‘તરગાળા’ કહેવાયા. ગમે તેમ, પણ અસાઈત ભવાઈ કરનાર તરગાળા કોમના આદિપુરુષ ગણાય છે. આ કોમ ‘નાયક’ને નામે પણ ઓળાય છે અને અસાઈત નાયક એવી નામછાપ એમની રચનાઓમાં મળે છે. અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક વિષયના ૩૬૦ ભવાઈવેશ રચ્યા કે સંકલિત કર્યાનું કહેવાય છે, જો કે આજે પચાસેકથી વધારે વેશ મળતા નથી; તે ઉપરાંત, જે વેશો મળે છે તેમાંથી ‘કજોડાનો વેશ’ અને ‘રામદેવનો વેશ’ એ બે વેશમાં જ અસાઈતનું નામ વેશના કર્તા તરીકે જોડાતું હોય એવું દેખાય છે અને બીજા ત્રણેક વેશમાં દુહા, છપ્પા જેવી છૂટક રચનાઓમાં અસાઈતની નામછાપ મળે છે. ‘કજોડાનો વેશ’ ← (મુ.)માં મોટી ઉંમરનાં ઠકરાણાં અને નાની ઉંમરના ઠાકોરના કજોડાનું હાસ્યરસિક ચિત્રણ થયું છે. રામદેવ અને એની રાણીના દાંપત્યજીવનની ખૂબ જ આછી કથાવસ્તુ ધરાવતો ‘રામદેવનો વેશ’ ← (મુ.) અનેક વિષયોની માહિતી તથા વ્યાવહારિક ડહાપણનાં સુભાષિતોથી ખૂબ વિસ્તૃત બનેલો છે અને પ્રાપ્ત ભાવઈવેશોમાં એ સૌથી લાંબો વેશ છે. મુદ્રિત ભવાઈવેશોમાં અસાઈતના નામછાપવાળી વ્યવહારજ્ઞાન, સંસારડહાપણ અને સમસ્યાચાતુરીની દુહા, છપ્પા, કવિત વગેરે પ્રકારની અનેક છૂટક રચનાઓ તથા મહિના જેવી કૃતિ પણ મળે છે. હસ્તપ્રતયાદીઓમાં પણ આ પ્રકારની છૂટક રચનાઓ અસાઈતને નામે નોંધાયેલી મળે છે તેમાં અમુદ્રિત રચનાઓ પણ હોવાનો સંભવ છે. ભવાઈવેશો એમના રચનાસમયોનો કોઈ નિર્દેશ કરતા નથી પરંતુ પરંપરાગત રીતે અસાઈતને ઈ.૧૪મી સદીમાં થયેલા માનવામાં આવે છે અને તેથી ‘હંસવચ્છકથા/ચરિત/ચોપાઈ/પવાડો/ ←હંસાઉલી’← (ર. ઈ.૧૩૬૧/૧૩૭૧; મુ)ને અસાઈતની કૃતિ ગણવામાં આવે છે. ૪ ખંડ અને મુખ્યત્વે ચોપાઈબંધની ૪૩૮/૪૭૦ કડીની આ કૃતિના પહેલા ખંડમાં હંસાઉલીનરવાહનના લગ્નની અદ્ભુતરસિક વાર્તા અને બાકીના ૩ ખંડોમાં તેના પુત્રોની પ્રેમશૌર્યઅંકિત ગાથા રજૂ થઈ છે. તેમાં વચ્ચે-વચ્ચે આવતાં ૩ વિરહગીતો અસાઈતની ઊર્મિકવિ તરીકેની શક્તિ પ્રગટ કરે છે. આ કથા જૈનોમાં સારું સંમાન પામી છે અને મતિસુંદર નામના જૈન સાધુએ આના પુર:સંધાન રૂપે હંસાઉલીના પૂર્વભવની કથા ઈ.૧૫૬૫માં રચી છે તે હકીકત એના કર્તાને અસાઈત નાયક ગણવા કારણ આપે છે કેમ કે નાયકકોમનો જૈન સંપ્રદાય સાથેનો સંબંધ જાણીતો છે. અસાઈતના નામે ‘ફરસુરામ-આખ્યાન’ નોંધાયેલ છે. પરંતુ એ માહિતીની અધિકૃતતા ચકાસણીપાત્ર જણાય છે. ‘ટેન્ડો રજપૂતનો વેશ’(મુ.)માં “અસાઈત મુખ ઓચરે ટેન્ડો રમતો થયો” એવી પંક્તિ મળે છે. એટલે કદાચ આ વેશના કર્તા તેઓ હોય. કૃતિ : ૧. હંસાઉલી, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫ (+સં.);  ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૩. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, -. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુજૂકહકીકત; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસારસ્વતો;  ૬. ગૂહાયાદી. [ર.દ., કી.જો.]