ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષિવર્ધન(સૂરિ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઋષિવર્ધન(સૂરિ) [ઈ.૧૪૫૬માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. જયકીર્તિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’ પર આધારિત દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવદંતીચરિત-રાસ ←/નલરાજ-ચુપાઈ/નલપંચભવ-રાસ’ (ર. ઈ.૧૪૫૬; મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર બને છે. તેમની પાસેથી ‘જિનેન્દ્રાતિશય-પંચાશિકા’ નામે સંસ્કૃત રચના પણ મળે છે. કૃતિ : ૧. *(ઋષિવર્ધનસૂરિકૃત) નલરાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ બેન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૧ (+સં.). સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧).[શ્ર.ત્રિ.]