ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અર્દાવિરાફ-નામું’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘અર્દાવિરાફ-નામું’ [ર. ઈ.૧૬૭૨] : રુસ્તમ એવર્દરચિત ચોપાઈબદ્ધ આખ્યાનકાવ્ય(મુ.) ઈરાની બાદશાહ અરદેશરે નષ્ટપ્રાય થયેલા ઈરાની ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે વિરાફ નામના ધર્મગુરુને સદેહે સ્વર્ગમાં જઈ, ત્યાંના ધર્મ-સિદ્ધાન્તો જાણી લાવી, ઈરાની પ્રજામાં તેનો પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી સોંપી હતી. ઈ.ત્રીજી સદીમાં એ ધર્મગુરુએ પહેલવી ભાષામાં, આરોગ્યના રક્ષણ અને ધર્માચરણ સંબંધી ઉપદેશ આપતો ગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’ રચીને એ કામગીરી શી રીતે બજાવી તેનું વિગતપૂર્ણ તેમ જ વર્ણનપ્રધાન નિરૂપણ કરતું આ આખ્યાન રુસ્તમે મુખ્યત્વે ઉક્ત ધર્મગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’, ઈ.૧૨મી સદીમાં જરથોસ્ત બહેરામ પજદુએ રચેલી ફારસી કૃતિ તથા રેવાયતો(પારસી ધર્મગ્રંથોનો શાસ્ત્રાર્થ કરતા ગ્રંથ)ના આધારે રચ્યું છે. અર્દાવિરાફે વિવિધ સ્વર્ગ અને નરકના કરેલ પ્રત્યક્ષ દર્શનનું નિરૂપણ કરીને આખ્યાનકારે આ રચનામાં નરકની યાતનાઓથી બચવા તેમ જ સ્વર્ગીય સુખ પામવા માટે મનુષ્યે, ધર્મની હાંસી, વિશ્વાસઘાત, પરસ્ત્રી ને પરપુરુષગમન તથા પશુઓની કતલ જેવાં પાપકર્મોથી દૂર રહેવું જોઈએ તેમ જ ધર્મગુરુને માનપાન, પવિત્ર અગ્નિ(આતશ)નું રક્ષણ, ખેત્વોદથમ (નજીકના સગામાં લગ્ન) વગેરે પુણ્યકાર્યો કરવાં જોઈએ એવો સીધો ઉપદેશ આપ્યો છે. સૂરજ પૂર્વે આદરસૂચક ‘શ્રી’નો ઉપયોગ, શુકનવંતા વૃક્ષ તરીકે કેળના વૃક્ષની કલ્પના તથા સ્વર્ગનાં મકાનોનું હિન્દુ-મંદિરોનાં શિલ્પસ્થાપત્યને અનુસરતું વર્ણન વગેરે બાબતો કવિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ સૂચવે છે. ગરોથમાન, ખુરશેદપાએઆ, માહાપાએઆ તેમ જ હમેસ્તગેહાન વગેરે નામનાં ૭ સ્વર્ગોનાં ભભકાદાર વર્ણનોની જેમ પાપી મૃતાત્માઓને જેમાં વિવિધ નારકીય યાતનાઓ અપાય છે એવાં નરકનાં ભયંકર વર્ણનો પણ કવિ એટલી જ સાહજિકતાથી કરી શક્યા છે એ એમનું વર્ણનકૌશલ બતાવે છે. છતાં એમની ઉત્તરકાલીન કૃતિ ‘સ્યાવશ-નામું’માં જોવા મળતા કવિ-કલ્પનાના સ્વૈરવિહારનો અભાવ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અર્દાવિરાફ પછી ઈ.છઠ્ઠી સદીમાં થઈ ગયેલ આદરાબાદ મારાસ્પંદના ચમત્કૃતિપૂર્ણ જીવનપ્રસંગનો અર્દાવિરાફની આ કથામાં દૃષ્ટાંત રૂપે ઉપયોગ કરવા જતાં આખ્યાનમાં કાલવ્યુત્ક્રમદોષ થયો છે. [ર.ર.દ.]