ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકનિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકનિધાન [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ચારુદત્તના શિષ્ય. આપકમાઈ અર્થે પરદેશ ગયેલો અને ધુતારાઓના હાથમાં ફસાયેલો રત્નચૂડ, વારાંગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાંતકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નચૂડ-ચોપાઈ/રત્નચૂડ-વ્યવહારી-રાસ’ (૨. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર; મુ.)ના કર્તા. જિનરત્નસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની ‘નિદ્રડીની સઝાય’ (મુ.)ના કર્તા પણ આ જ કવિ સંભવે છે. કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭;  ૨. ચૈસ્તસંગ્રહ : ૩;  ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’ સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]