ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલશેખર વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમલશેખર(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં લાભશેખરના શિષ્ય. કવિ ઈ.૧૫૪૪ થી ઈ.૧૫૯૨ દરમ્યાન હયાત હોવાની માહિતી મળે છે. એમની, મુખ્યત્વે દુહા-ચોપાઈ ને પ્રસંગોપાત્ત વસ્તુ છંદના બંધમાં રચાયેલી ૬ સર્ગ અને ૭૫૯ કડીની ‘પ્રદ્યુમ્નકુમારચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં. ૧૬૨૬, કારતક સુદ ૧૩; મુ.) કૃષ્ણરુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્નકુમારની સાહસ-પરાક્રમપૂર્મ કથા જૈનપરંપરા મુજબ વર્ણવે છે. બહુધા કવિ સધારુના હિંદી ‘પ્રદ્યુમ્ન-ચરિત’ના અનુવાદરૂપ આ કૃતિના પ્રસંગાલેખનમાં જે થોડાં ફેરફારો અને ઉમેરણો જોવા મળે છે તેમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ’નું અનુસરણ જણાય છે. કવિએ આ ઉપરાંત ફાગ અને અઢૈયાની ૨૩ કડીમાં ધર્મમૂર્તિની ટૂંકી ચરિત્રરેખા આપીને એમના સંયમધર્મનો મહિમા કરતા ‘ધર્મમૂર્તિગુરુ-ફાગ’ (મુ.) તથા ૬૬ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯, આસો-૩; મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ, સં. મહેન્દ્ર બા. શાહ, ઈ.૧૯૭૮ (+સં.)  ૨. પ્રાફાગુસંગ્રહ (+સં.) સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]