ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૩-ક્હાનજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્હાન-૩/ક્હાનજી [ઈ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠસુત પપુ વ્યાસ પાસેથી રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્ર/રામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે છે. વાલ્મિકીય રામાયણના ક્યાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી. [ર.સો.]