ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિનય વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણવિનય(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ તથા ગદ્યકાર. ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ક્ષેમરાજ ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય જયસોમના શિષ્ય. ‘ખંડપ્રશસ્તિ’ની ટીકા (ર.ઈ.૧૫૮૫) તથા ‘જિનરાજસૂરિ-અષ્ટક’ (ર.ઈ.૧૬૨૦)નાં રચનાવર્ષોને આધારે કવિનો જીવનકાળ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં મૂકી શકાય. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ ઈ.૧૫૯૨માં લાહોરમાં અકબરને મળ્યા ત્યારે તેમના શિષ્યવૃંદમાં આ કવિ હતા. ત્યાં ઈ.૧૫૯૩માં એમને વાચનાચાર્યની પદવી આપવામાં આવેલી. એમની નવીનવી કાવ્યરચનાઓ સાંભળીને જહાંગીરે તેમને ‘કવિરાજ’નું પદ આપ્યાની માહિતી પણ નોંધાયેલી છે. ‘ખંડપ્રશસ્તિ’ જેવા કઠિન કાવ્ય ઉપરની ટીકાથી જેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ થતો જણાય છે તેવા આ કવિ સંસ્કૃત ભાષાના પણ મોટા વિદ્વાન હોવાનું દેખાઈ આવે છે. ૧૨૦૦૦ શ્લોકોમાં વિસ્તરતી એમની ‘હુંડિકા’ (ર.ઈ.૧૬૦૯) જેવી સંગ્રહાત્મક કૃતિમાં ૧૫૦થી વધુ ગ્રંથોનો નિર્દેશ છે તે બતાવે છે કે કવિએ જૈન શાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્યસાહિત્યાદિ અન્ય ગ્રંથોનું પણ ઊંડું અધ્યયન કર્યું છે. એમની કેટલીક કૃતિઓની સુંદર મરોડદાર અક્ષરોમાં સ્વલિખિત પ્રત મળે છે તે તેમની પંડિત તરીકેની ચીવટ અને ચોકસાઈને પણ આભારી હોય. કવિની ગુજરાતી કૃતિઓની પદાવલિમાં તેમની ભાષાની સજ્જતાએ પ્રભાવ પાડેલો છે. કવિની કૃતિઓમાં જોવા મળતું અપાર દેશીવૈવિધ્ય એમની સંગીતના જ્ઞાનની શાખ પૂરે છે. કવિની કથાત્મક કૃતિઓમાં અકબરબાદશાહ અને જિનચંદ્રસૂરિના મેળાપમાં નિમિત્તરૂપ થયેલા બિકાનેર રાજ્યના મંત્રી કર્મચંદ્રનો તથા તેના પૂવજોનો વીગતપ્રચુર ઇતિહાસ આપતો ૨૨૯ કડીનો દેશીબદ્ધ ‘કર્મચંદ્રવંશાવલિ-પ્રબંધ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, મહા વદ ૧૦; મુ.) કવિના ગુરુ જયસોમની સંસ્કૃત કૃતિ પરથી રચાયેલો છે અને ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. કવિની રાસાત્મક કૃતિઓમાં ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ. (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગશર - ૧૦; મુ.) સૌથી વધારે મહત્ત્વની છે. મુખ્યત્વે દેશીબદ્ધ ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ કૃતિ જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્રુમ’ તથા જ્ઞાનસાગરગણિવિરચિત ‘ધન્યકુમાર-ચરિત્ર’ને આધારે રચાયેલી છે પણ ‘દાનકલ્પદ્રુમ’ને મુકાબલે એ ઘણો સંક્ષેપ બતાવે છે તેમ જ કેટલાંક વર્ણનો, વર્ણવિન્યાસાદિનું ચાતુર્ય, અલંકારરચનાની પ્રૌઢિ, સંસ્કૃત ઉપરાંત હિંદી-રાજસ્થાની-ફારસી પદાવલિ તથા તળપદાં કહેવતો-રૂઢિપ્રયોગોથી સમૃદ્ધ બાની એ બધામાં કવિનું ઉત્તમ કવિત્વ પ્રગટ કરે છે. જૈન નલકથાને અનુસરતો, મુખ્યત્વે દેશીબદ્ધ ૧૬ ઢાળ અને ૩૫૩ કડીનો ‘નલદવદંતી-પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૬૫, આસો વદ ૬, સોમવાર; મુ.) થોડાંક હૃદ્ય પ્રસંગચિત્રણો સાથે બહુધા સીધું કથાકથન કરે છે અને ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’નાં જેવાં જ શૈલીલક્ષણો પ્રગટ કરે છે. કવિની અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૭૩ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ/સંધિ’ (ર.ઈ.૧૫૯૮/સં. ૧૬૫૪, અસાડ વદ ૮), ‘અંજનાસુંદરી-પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, ચૈત્ર સુદ ૧૩, બુધવાર), ૨૬૮ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ.(ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર), ૧૦૯ કડીની ‘ગુણસુંદરીપુણ્યપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯), ૧૦૯ કડીની ‘જમ્બૂ-રાસ’ (ર.ઈ.૧૬૧૪/૧૬૭૦, શ્રાવણ સુદ ૧૦, શુક્રવાર), ૧૭૦ કડીની ‘મૂલદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, જેઠ સુદ ૧૩, મંગળ/શુક્રવાર), ૨૪૨ કડીની ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, જેઠ સુદ ૧૩, મંગળ/શુક્રવાર), ૨૪૨ કડીની ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, શ્રાવણ સુદ ૯, શનિવાર), ‘અગડદત્ત-રાસ’ તથા ‘દુમુહપ્રત્યેકબુદ્ધ-ચોપાઈ’. શ્રાવિકા જીવિએ ઈ.૧૫૯૯માં ગુણવિનય પાસે બાર વ્રત લીધાં તેનું વર્ણન કરતી ‘બારવ્રતજોડી/રાસ’ ગુણવિનયની જ કૃતિ છે એમ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ૨૪૭ કડીની ‘જીવસ્વરૂપ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૮/૧૬૧૧) તથા અન્ય મતોનું ખંડન કરતી ૧૩૦૦ ગ્રંથાગ્રની ‘પ્રશ્નોત્તરમાલિકાપાર્શ્વચંદ્રમત-(દલન)-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭), ‘અંચલમતસ્વરૂપવર્ણન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, મહા સુદ ૬, બુધવાર), ‘લુંપકમતતમોદિનકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, શ્રાવણ વદ ૬, શુક્રવાર) અને ૩૮૨ કડીની ‘તપાએકાવનબોલ-ચોપાઈ.(ર.ઈ.૧૬૨૦) એ કૃતિઓ કવિનો જૈનધર્મવિષયક સઘળા આચાર-વિચારોનો ઊંડો અને બારીક અભ્યાસ દર્શાવે છે. ‘ધર્મસાગર-ત્રીસબોલખંડન/ત્રિંશદ્ઉત્સૂત્રનિરાકરણ-કુમતિમતખંડન’ ગદ્યમાં કે પદ્યમાં હોવાનું નિશ્ચિત થતું નથી તે ઉપરાંત કવિએ તપગચ્છના ધર્મસાગરના ‘ઉત્સૂત્રખંડન’ના પ્રત્યુત્તર રૂપે સંસ્કૃતમાં ‘ઉત્સૂત્રોત્ઘાટન-કુલક’ (ર.ઈ.૧૬૦૯) એ કૃતિ રચી હતી તેનું આ ગુજરાતી નામાંતર થયું હોય એવી શક્યતા પણ નકારી ન શકાય. કવિની પ્રકીર્ણ રચનાઓમાં ઈ.૧૫૮૮માં થયેલી યાત્રાને વર્ણવતી ૩૨ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’, ૩૨ કડીનું ‘ચારમંગલગીત’ (ર.ઈ.૧૬૦૪), ‘શત્રુંજયયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ફાગણ સુદ ૧૩), ૩૧ કડીની ‘ખરતરગચ્છગુર્વાવલી/ગુરુપટ્ટાવલી’ (મુ.) ‘ચોવીસજિન-સ્તવન’, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ અને જિનરાજસૂરિ વિશેનાં કેટલાંક ગીતો તથા અન્ય સ્તવનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક રચનાઓ હિંદીમાં પણ છે. ગદ્યમાં આ કવિએ ‘જયતિહુઅણ-સ્તોત્ર’, ‘બૃહત્સંગ્રહણી’, ‘નમોત્થુણમ્’, ‘કલ્પસૂત્ર’, ‘આદિ-સ્તવન’ અને ‘પ્રણિપાતવરદંડક’ એ કૃતિઓ પર બાલાવબોધ, ‘ભક્તામર’ પર ટબો તથા ‘તપોલઘુવિચારસાર’ રચ્યા હોવાની માહતી મળે છે. સંસ્કૃતમાં ઉપર નિર્દેશેલી કૃતિઓ ઉપરાંત ‘નેમિ-ગીત’, ‘દમયંતી-કથા/નલ-ચંપૂ’, ‘રઘુવંશ’, ‘વૈરાગ્ય-શતક’ જેવી કાવ્યકૃતિઓ પર તેમ જ ‘સંબોધસપ્તતિકા’, ‘લઘુઅજિતશાંતિ-સ્તવ’, જયસોમકૃત સંસ્કૃત ‘કર્મચંદ્રમંત્રીવંશ-પ્રબંધ’ જેવી જૈન ધર્મની કૃતિઓ ઉપર ટીકા કે વૃત્તિ રચેલી છે. તેમણે ‘વિચારરત્નસંગ્રહલેખન’ તથા ‘સવ્વત્થશબ્દાર્થસમુચ્ચય’ નામની સ્વતંત્ર કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ૧. ધન્ના-શાલિભદ્ર ચોપાઈ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૩ (+સં.); ૨. નલદવદંતી પ્રબંધ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦(+સં.);  ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ઐરાસંગ્રહ:૩ (+સં.); ૫. જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ભા.વૈ.]