ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણસાગર-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયઋષિની પરંપરામાં પદ્મસાગરસૂરિના શિષ્ય. એમનો ૯ ખંડ અને ૧૫૧ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ઢાળસાગરહરિવંશ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.) વસુદેવચરિત્ર, કૃષ્ણબલદેવચરિત્ર, નેમિનાથચરિત્ર, સાંબપ્રદ્યુમ્નચરિત્ર અને પાંડવકથાના સમાવેશ કરતી જૈન પરંપરાની મહાભારતકથા વિસ્તારથી અને વીગતપ્રચૂર રીતે વર્ણવે છે તથા લાક્ષણિક ધ્રુવાઓવાળી સુંદર અને ગેય દેશીઓ, દૃષ્ટાંતપૂર્વક અપાયેલો ધર્મોબોધ, કેટલાંક નોંધપાત્ર ભાવાલેખન ને વર્ણનો, આંતરપ્રાસનો વિનિયોગ અને ભાષામાં હિંદી અસર એ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ સિવાય તેમની અન્ય કૃતિઓ આ પ્રમાણે છે : ૨૦ ઢાળનો ‘કયવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૦), ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૯ કડીની ‘મનગુણત્રીસી-સઝાય’ (મુ.), ૩૨ કડીની ‘સ્થૂલિભદ્ર-ગીત’ તથા મુખ્યત્વે હિંદીમાં ૨૧ કડીનો ‘(હસ્તિનાપુર મંડન) શાંતિજિનવિનતિરૂપ-છંદ’(મુ.). કૃતિ : ૧. ઢાલસાગર, પ્ર. મગનલાલ ઝ. શાહ, સં. ૧૯૪૬;  ૨. ચૈસ્તસંગ્રહ:૨, ૩; ૩. પ્રાછંદસંગ્રહ;૪. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. ડિકૅટેલૉગભાઈ: ૧૯(૨); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]