ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગેમલજી-ગેમલદાસ-ઘેમલસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગેમલજી/ગેમલદાસ/ઘેમલસી (૧૯મી સદી) : અવટંકે ગોહિલ. જ્ઞાતિએ રજપૂત. કૂકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઠાકોર વજેસિંહ (ઈ.૧૮૧૬-ઈ.૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના શિષ્ય બનેલા. આ પછી તેમણે પોતાનું જીવન ભક્તિ-કીર્તનમાં જ ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. આ કવિએ ક્યારેય ‘ગેમલ’ ગેમલદાસ’ એવી નામછાપ ધરાવતાં પદ-ગરબીઓ (કેટલાંક મુ.) રચ્યાં છે, તેમાંથી ઘણી થાળ, દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે. સાદી પણ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી આ રચનાઓમાંથી ‘હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે’ એ લોકપ્રિય બનેલું પદ ક્વચિત્ ‘પ્રેમળદાસ’ને નામે ચડી ગયું છે. ‘ઘેમલસી’ની નામછાપ સાથે મુદ્રિત ૩ પદો પણ આ જ કવિનાં જણાય છે. કૃતિ : ૧ અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ - ‘ગેમલજી ગોહિલનાં પદો’ (+સં.); ૨. નકાદોહન; ૩. પરિચિત પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બૃકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા; સં. ૧૯૪૪. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]