ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ-૧-ગોપાળદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોપાળ-૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ’ એવી નામછાપ મળે છે. ૨૩ કડવાંમાં ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી એમની ‘ગોપાળ-ગીતા/જ્ઞાનપ્રકાશ’ (૨.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, વૈશાખ-૮, મંગળવાર; મુ.) શાંકરવેદાંત અનુસાર જગતની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, બ્રહ્મ આદિને દૃષ્ટાંતોની મદદથી સરળ રીતે ને ક્યાંક વિસ્તારથી વર્ણવતી, આપણી જ્ઞાનગીતાઓની પરિપાટીની કૃતિ છે. એમની ૧૮ સાખીઓ (મુ.)માં પણ અજ્ઞાનીઓ પર હળવા ઉપાલંભો કરી સરળ ભાષામાં અને લોકગમ્ય દૃષ્ટાંતાદિથી જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. રૂપકોનો આશ્રય લેતી ‘બુદ્ધિવહુને શિખામણ’ (મુ.) તથા સત્સંગમહિમા, જ્ઞાનવૈરાગ્યબોધ, કૃષ્ણભક્તિ વગેરે વિશેનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત પદો ‘ગોપાળ’ નામછાપથી મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનું સમજાય છે. ‘માળાનો મરમ’ એવા શીર્ષકથી પણ નોંધાયેલા ૧ પદમાં તો ગુરુ સોમરાજનો ઉલ્લેખ પણ મળે છે. કૃતિ : (ગોપાલદાસકૃત) જ્ઞાનપ્રકાશ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, સં. ૧૯૮૯;  ૨. પ્રાકાવિનોદ:૧; ૩. પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી કવિઓની ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા:૧, મુ. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૪. બૃકાદોહન:૩,૫ , ૭; ૫. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. , ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. [ર.સો.]