ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદ : આ નામે મુખ્યત્વે જૈનેતર રચનાઓમાં ચોપાઈબંધમાં ૬ કડવાંમાં ભક્તગાથાની રીતે રચાયેલ ‘મામેરું’ (લે.ઈ.૧૬૭૨ લગભગ; મુ.), સંસ્કૃત પરંપરાનો પ્રભાવ બતાવતું, કૃષ્ણે કમાડ ઠોકતાં શણગાર સજી રહેલાં રાધાજીએ તેમની સાથે કરેલા શ્લેષયુક્ત પ્રશ્નોત્તર નિરૂપતું શૃંગારચાતુરીયુક્ત ‘રાધાના સોળ શણગાર’ (લે.ઈ.૧૭૬૩; *મુ.), મંડપ, સ્વયંવરસભા, વાદ્યો, સીતારૂપ, આભૂષણો, ભોજન, પહેરામણી ઇત્યાદિનાં અલંકારિકા વર્ણનો ને યાદીઓથી વિસ્તાર સાધતો પૂર્વછાયા-ચોપાઈબદ્ધ ૧૩ કડવાં અને ૧૯૨ કડીનો ‘રઘુનાથજીનો વિવાહ’ (લે.ઈ.૧૮૫૩), ‘એકાદશીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૨૪ કે ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, ફાગણ વદ ૮, બુધવાર), ‘સૂરજદેવનો છંદ’ (લે.ઈ.૧૭૭૨ લગભગ), રામવનવાસની ૧૩ સાખીઓ, ૧ પુષ્ટિમાર્ગીય પદ (મુ.), કૃષ્ણકીર્તનનાં કેટલાંક પદો (મુ.) તથા અન્ય હિન્દી ગુજરાતી પદો મળે છે તે ક્યા ગોવિંદ છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. ગોવિંદજી, ગોવિંદરામ વગેરે નામ ધરાવતા કવિઓ પણ કવચિત્ પોતાને માટે ‘ગોવિંદ’, ગોવિંદો’ એવું ટૂંકું નામ કે ‘ગોવિંદદાસ’ નામ પણ વાપરતા દેખાય છે. એટલે ‘ગોવિંદ’ નામછાપવાળી આ કૃતિઓ વિશે નિર્ણય કરવો વધારે મુશ્કેલ બને છે. આ ઉપરાંત ૧૮ કડીની ‘દ્વાદશમાસગૂઢાર્થોપદેશ-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.) અને ૨૫ કડીના ‘ચોવીસજિન-સવૈયા’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન રચનાઓ મળે છે પણ તેના કર્તા કયા ગોવિંદ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. નકાદોહન; ૩. સગુકાવ્ય;  ૪. *કવિતા, -, ‘રાધાના સોળ શણગાર’, સં. મંજુલાલ મજમુદાર. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાસ્વરૂપો;  ૪. સ્વાધ્યાય પુ. ૧૫ અં. ૧ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૫. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૨ - ‘ગોવિંદરચિત રઘુનાથજીનો વિવાહ’, દેવદત્ત જોશી;  ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ; ૮. મુપુગૂહસૂચી. [ચ.શે.; શ્ર.ત્રિ.]