ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદજી-ગોવિંદદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદજી/ગોવિંદદાસ  : ગોવિંદજીને નામે ‘બારમાસ’ (લે.ઈ.૧૬૭૩) મળે છે તે ઉપરાંત, કોઈ ગોવિંદદાસને નામે કૃષ્ણે રાધાનો હાર ચોરી લીધો તે પ્રસંગે કૃષ્ણ-રાધાના સંવાદને આલેખતી ૫ પદની ‘રાધાહાર’ (મુ.), ‘દાણલીલા’ અને છૂટક પદો એ કૃતિઓ મળે છે. તેમાંથી પહેલી ૨ મુદ્રિત કૃતિમાં કવચિત્ ગોવિંદદાસ એવી નામછાપ મળે છે છતાં મોટા ભાગનાં પદ-કડવાં ‘ગોવિંદજી’ એવી નામછાપ દર્શાવે છે. આ ગોવિંદજી ઉપર્યુક્ત ‘બારમાસ’ના કર્તા હોઈ શકે. વળી જુઓ કુબેરજી. ગોવિંદદાસના નામથી ‘દામોદરાખ્યાન’, ‘ભોજનવર્ણનથાળ’ (લે.ઈ.૧૭૪૬ લગભગ) તથા કેટલાંક પદ મળે છે. તેમાંથી ‘થાળ’ ભૂલથી ગોવિંદરામ-૨ ને નામે પણ નોંધાયેલ છે. ગોવિંદજી, ગોવિંદરામ નામ ધરાવતા કવિઓ પોતાને માટે ‘ગોવિંદ’ કે ‘ગોવિંદદાસ’ નામ વાપરતા હોવાનું જણાય છે, તેથી ગોવિંદદાસને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. જુઓ ગોવિંદરામ. ચધિદાસ/મતિસારને નામે નોંધાયેલ ‘કાલિનાગદમની સંવાદ’માં “સમવાદ કાલી તણુ મતિસારઈ, ચધિદાસ દાસાંન સાંઈ ચીતારઈ” એ છેલ્લી પંક્તિમાં મતિસાર કે ચધિદાસ એ શબ્દોને કર્તાનામના વાચક તરીકે જોવા મુશ્કેલ છે. પરંતુ તે પૂર્વેની “ગોયંદાસ રાઆસરા ગુણ ગાયા” એ પંક્તિમાંથી ગોવિંદદાસ કર્તા હોવાનું સમજાય છે. ‘રાઆસરા’ એ શબ્દ એમની વિશેષ ઓળખ બતાવે છે પણ એનો અર્થ સ્પષ્ટ નથી. કૃતિ : ૧. બૃકાદોહન:૩ (+સં.); ૨. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૮૬૩ - ‘સતભામાનું રૂસણું’. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ચ.શે.]