ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાગર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયસાગર(ઉપાધ્યાય)-૧  [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. દીક્ષાગુરુ જિનરાજસૂરિ. વિદ્યાગુરુ જિનવર્ધનસૂરિ. ઈ.૧૪૧૯માં જિનભદ્રસૂરિ દ્વારા ઉપાધ્યાયપદ. કવનકાળ ઈ.૧૪૧૭થી ઈ.૧૪૪૭. આ વિદ્વાન સાધુએ કેટલીક રાજસભાઓમાં વાદીવૃંદોને હરાવ્યા હતા. એમણે હજારો પુસ્તકોનું પુનર્લેખન કરાવી પોતાની ઊંડી વિદ્યાપ્રીતિ બતાવી હતી. આ કવિએ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ગુજરાત સૌરાષ્ટ્રના તીર્થોનું વર્ણન કરતી ૨૧ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૩૧; મુ.), ૧૭ કડીની ‘નગરકોટ મહાતીર્થ-ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૩૩; મુ.), ૫૫ કડીની ‘વયરસ્વામી ગુરુ-રાસ’ (ર.ઈ.૧૪૩૩), ‘અષ્ટાપદતીર્થ-બાવની’, ૭૦ કડીની ‘જિનકુશલસૂરિ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૪૨૫), ૪૪ કડીની ‘કલ્યાણમંદિરસ્તોત્ર-ગીત’ અને અન્ય સઝાય, સ્તોત્ર, સ્તવનાદિ પ્રકારની કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. એમણે સંસ્કૃતમાં પણ ‘શાંતિનાથજિનાલય-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૪૧૭), ‘પૂર્વરત્નાવલિ-કથા’ (ર.ઈ.૧૪૨૨), ‘વિજ્ઞપ્તિત્રિવેણી’ (ર.ઈ.૧૪૨૮), ‘પૃથ્વીચંદ્ર-રાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૪૭), ‘ઉપસર્ગહર-સ્તોત્ર’ વગેરે અનેક ગ્રંથોની વૃત્તિ તથા કેટલાંક સ્તવનો વગેરેની રચના કરી છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. વિજ્ઞપ્તિત્રિવેણી, પ્ર. જૈન આત્માનંદ સભા, ઈ.૧૯૧૬. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ - ‘કાવ્યોંકા ઐતિહાસિક સાર’; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસીચી. [ર.ર.દ.]