ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસિંહ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયસિંહ(સૂરિ) [               ]: કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. ૭ ભાસમાં વિભાજિત દુહા-રોળાબદ્ધ ૩૨ કડીના તથા આંતરપ્રાસયુક્ત દુહાબદ્ધ ૫૩ કડીના એમ ૨ ‘નેમિનાથ-ફાગુ’ (મુ.)ના કર્તા. આ બંને કૃતિઓમાં વર્ણન, અલંકારરચના અને ભાષામાધુર્યમાં કવિની સહજ શક્તિ પ્રગટ થાય છે. આ કવિ તે સંસ્કૃતમાં ‘કુમારપાલચરિત્ર’ મહાકાવ્ય(ર.ઈ.૧૩૬૬) તથા ‘ન્યાયસાર’ પર ‘ન્યાયતાત્પર્યદીપિકા’ નામની ટીકા રચનાર કૃષ્ણર્ષિગચ્છના મહેન્દ્રસૂરિશિષ્ય જયસિંહસૂરિ હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાફાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬, ૨. જૈસાઇતિહાસ; ૩. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮.[ર.ર.દ.]