ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસોમ ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયસોમ(ઉપાધ્યાય) - ૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. પ્રમોદમાણિક્યના શિષ્ય. મૂળ નામ જેસિંઘ. ઈ.૧૫૫૬ સુધીમાં જિનમાણિક્યસૂરિ પાસે દીક્ષા. ઈ.૧૫૯૩માં જિનચંદ્રસૂરિ સાથે અકબરના દરબારમાં તથા ઉપાધ્યાયપદની પ્રાપ્તિ. ઈ.૧૬૧૯ સુધી હયાત હોવાની માહિતી મળે છે. જૈન ધર્મના સિદ્ધાંતોના ઊંડા અભ્યાસી આ કવિને સમય સુંદરે ‘સિદ્ધાંતચક્રવર્તી’ કહ્યા છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. એમની ગુજરાતી કૃતિઓ આ પ્રમાણે છે : ૭૨ કડીની ‘બારભાવના-ગીત/સંધિ’ (ર.ઈ.૧૫૯૦), ‘કોડાશ્રાવિકા-વ્રત ગ્રહણ-રાસ/બારવ્રત ઇચ્છાપરિમાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ સુદ ૩) ‘પરિગ્રહ પરિમાણવિરતિ-રાસ/શ્રાવિકા-રેખા-વ્રતગ્રહણ-રાસ’ (ર. ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, કારતક સુદ ૩), ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, ફાગણ -), ‘ચોવીસજિનગણધરસંખ્યા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૦), ‘વયરસ્વામી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, શ્રાવણ સુદ ૫), જિનચંદ્રસૂરિની પ્રશસ્તિ કરતી ૪ કડીની ‘ગુરુ-ગીત’ (મુ.), ૨૬કડીની ‘છન્નુ તીર્થંકર-સ્તવન’ એ પદ્યકૃતિઓ તથા ૩૦૦ ગ્રંથાગ્રની ‘અષ્ટોતરી સ્નાત્રવિધિ’ (ર.ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, આસો સુદ ૧૦) એ ગદ્યકૃતિ. તેમનો ‘છવ્વીસપ્રશ્નોત્તર ગ્રંથ’ હિંદીમાં છે જ્યારે ‘એક્સોએકતાલીસપ્રશ્નોત્તર/વિચારરત્નસંગ્રહ’ કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. સંસ્કૃતમાં એમનો ‘કર્મચંદ્રમંત્રિવંશ-પ્રબંધ’ (ર.ઈ.૧૫૯૪) ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની કૃતિ છે. તે ઉપરાંત એમણે પ્રાકૃત ગાથા અને સંસ્કૃત વૃત્તિ રૂપે ‘ઇર્યાવહી-ષટ્ત્રિંશિકા’ (ર.ઈ.૧૫૮૪, વૃત્તિ ઈ.૧૫૮૫), ‘પોષધ-ષટ્ત્રિંશિકા’ (ઈ.૧૫૮૭, વૃત્તિ ઈ.૧૫૮૯) તથા ‘સ્થાપના-ષટ્ત્રિંશિકા’ રચેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧,૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧[ર.ર.દ.]