ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનભદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનભદ્ર(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ - અવ.ઈ.૧૪૫૭/સં. ૧૫૧૪, માગશર/મહા વદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના પટ્ટધર. મૂળ નામ ભાદો/ભાડે. ગોત્ર ભણશાલિક. ‘જૈન પરંપરાનો ઇતિહાસ’ જ. ઈ.૧૩૯૪, દીક્ષા ઈ.૧૪૦૫ આપે છે તેને અન્ય સંદર્ભોનો ટેકો નથી. આચાર્યપદ ઈ.૧૪૧૯માં. અવસાન કુંભલમેરમાં. આ પ્રભાવક અને પ્રતિભાશાળી આચાર્ય કર્મપ્રકૃતિ તથા કર્મગ્રંથ જેવા ગહન ગ્રંથો પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. એમણે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી, અનેક ગ્રંથભંડારોની સ્થાપના કરી હતી ને જૈન શાસ્ત્રોના ઉદ્ધારમાં રસ લીધો હતો. સંસ્કૃતમાં ‘અપવર્ગનામમાલા’ અને પ્રાકૃતમાં ‘જિનસત્તરીપ્રકરણ’ રચનાર આ કવિનું ગુજરાતી ભાષામાં ૮ કડીનું ‘મહાવીર-ગીત’ તથા ૧૫ કડીનું ‘અષ્ટોત્તરપાર્શ્વનાથ - સ્તવન’ મળે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૨, મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦; ૩. જૈસાઇતિહાસ; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ:૩(૧); ૬ ડિકેટેલૉગભાવિ.[શ્ર.ત્રિ.]