ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરંગ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનરંગ-૧ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છની રંગવિજયશાખાના જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. પિતા શ્રમાલી સિંધૂડગોત્રીય સાંકરસિંહ. માતા સિન્દૂરદે. દીક્ષા ઈ.૧૬૨૨. દીક્ષાનામ રંગવિજય. શાહજહાંએ તેમની સાધુતાથી પ્રભાવિત થઈ ૭ સૂબાઓમાં એમના વચનનું પાલન થાય તે માટે ફરમાન કાઢી આપેલું. તે ઉપરાંત તેમને ‘યુગપ્રધાન’ પદવી પણ આપેલી. તેમને એ પદ ઈ.૧૬૫૪માં પ્રાપ્ત થયું હતું. ‘સૌભાગ્યપંચમી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વિજયાદશમી, બુધવાર), ૭ કડીની ‘કાયાજીવ-ગીત,’ ૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’, ૫ કડીની ‘હિયાલી’ અને અન્ય સ્તવનો (ઘણાં * મુ.) એમણે રચ્યાં છે. એમની ‘અધ્યાત્મ-બાવની’ (ર.ઈ.૧૬૭૫) તથા ‘જિનરંગબહુત્તરી/સુભાષિત દુહા’ એ હિંદી કૃતિઓ છે, પરંતુ આગળ નિર્દિષ્ટ કૃતિઓ હિંદી કૃતિઓ તરીકે નોંધાયેલી નથી. આ કવિએ આ ઉપરાંત ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા-સ્તબક’ તથા ‘નવતત્ત્વ-બાલાવબોધ’ની રચના કરી હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]