ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવર્ધન સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનવર્ધન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપદ્મસૂરિની પરંપરામાં જિનરાજસૂરિના શિષ્ય. એ ઈ.૧૪૦૫માં જિનરાજસૂરિની પાટે આવેલા. પણ ચતુર્થવ્રતનો ભંગ કર્યાથી એમને અપાત્ર ઠરાવી એમને સ્થાને ઈ.૧૪૧૯માં જિનભદ્રસૂરિને સ્થાપિત કરવામાં આવ્યા. આથી ઈ.૧૪૧૮માં જિનવર્ધનસૂરિએ ખરતરના પાંચમા ગચ્છભેદ પિપ્પલકશાખાની સ્થાપના કરી. એમના ઈ.૧૪૧૯ સુધીના પ્રતિષ્ઠાલેખો મળે છે. એમણે ૩૨ કડીની ‘પૂર્વદેશ તીર્થમાલા/ચૈત્યપરિપાટી’ની રચના કરેલી છે. આ ઉપરાંત સંસ્કૃતમાં શિવાદિત્યકૃત ‘સપ્તપદાર્થી’ પરની ટીકા (ર. ઈ.૧૪૧૮) અને ‘વાગ્ભટાલંકાર’ પરની વૃત્તિ વગેરે એમની કૃતિઓ મળે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’, ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[ર.સો.]