ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવલ્લભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનવલ્લભ(સૂરિ) [ઈ.૧૧મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૧૧૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કર્ણ અને સિદ્ધરાજના સમકાલીન. પહેલાં તેઓ કૂર્ચરપુરગચ્છના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તેમના કહેવાથી અભ્યાસાર્થે અભયદેવસૂરિ પાસે ગયા. શ્રદ્ધા બદલાતાં ચૈત્યવાસ છોડી, અભયદેવસૂરિના શિષ્ય થયા. કહેવાય છે કે તેમણે પોતાની કેટલીક કૃતિઓને ચિત્રકૂટ, નરવર, નાગપુર વગેરે સ્વપ્રતિષ્ઠિત વીરવિધિચૈત્યોમાં ઈ.૧૧૦૮માં પ્રશસ્તિ રૂપે કોતરાવી હતી. આચાર્યપદ ઈ.૧૧૧૧માં. વિદ્વાન આચાર્ય તરીકે પ્રતિષ્ઠિત આચાર્યપદ પ્રાપ્તિ પછી એ જ વર્ષે, ૬ મહિના બાદ સ્વર્ગવાસ. એમણે નવકાર આરાધનાના ફળનું વર્ણન કરતી ૧૩ છપ્પાની ‘પંચપરમેષ્ઠિ-નમસ્કાર-માહાત્મ્ય/નવકારફલ-સ્તવન’ (મુ.) એ કૃતિ રચેલી છે. આ ઉપરાંત તેમની પાસેથી ‘પિંડ વિશુદ્ધિ પ્રકરણ’, ‘ગણધર-સાર્ધશતક’, ‘ધર્મશિક્ષા’, ‘પ્રશ્નોત્તર-શતક’, ‘સંઘ-પદ્રક’, ‘શૃંગાર-શતક’ અને અન્ય સ્તોત્ર સંસ્કૃતમાં મળ્યાં છે. કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. પ્રાગુકાસંચય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]