ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં દેવવિજયશિષ્ય યશોવિજય/જશવિજયના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૬૫૪ અને ઈ.૧૭૧૬ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે. ‘હરિબલની ચોપાઈ’, ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૧) અને ૨૭ ઢાળ અને ૪૮૭ કડીનો ‘ગુણાવલી-રાસ’ (ર.ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, આસો સુદ ૧૦), ૧૧ કડીની ‘સિદ્ધાચલજીનું સ્તવન’ (મુ.), ‘પંચમહાવ્રત-સઝાય’ એ આ કવિની પદ્યકૃતિઓ છે તથા ૩૨૫૦ ગ્રંથાગ્રનો ‘ષડાવશ્યકસૂત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૯૫) ‘દંડક-સ્તબક’ (ર.ઈ.૧૬૯૬) અને આશરે ૧૪,૦૦૦ ગ્રંથાગ્રનો ‘જીવાભિગમ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૬) એમની ગદ્યકૃતિઓ છે. આ ઉપરાંત એમણે ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ પર સંસ્કૃત અવચૂરિ (ર.ઈ.૧૬૫૪) પણ રચી છે. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]