ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરપતિ-૨ નાલ્હ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરપતિ-૨/નાલ્હ [                ] : કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ ‘નાલ્હ’ તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાલ્હ’ એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે. જો કે એમના ‘વીસલેદ-રાસો’ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવ-રાસો’ (મુ.)ની કોઈક હસ્તપ્રતમાં ર.ઈ.૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રતોમાં રચનાસંવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી રચાયેલી હોય એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્ર ગુજરાતી ગણી શકાય એમ છે. આ રાસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે રાણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે. કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ (+સં.). સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસોકી કતિપય નવીન પ્રાપ્ત પ્રતિયાં’, અગરચંદ નાહટા; ૨. * રાજસ્થાની, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં,’ અગરચંદ નાહટા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]