ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નાગ્નજિતી-વિવાહ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નાગ્નજિતી-વિવાહ’ : ૫ ‘મીઠાં’ નામક કડવાંનું દયારામરચિત આ નાનકડું આખ્યાનકાવ્ય (મુ.) ભાગવત દશમસ્કંધમાં આલેખાયેલ નાગ્નજિતીના કૃષ્ણ સાથેના વિવાહપ્રસંગને વર્ણવે છે. નાગ્નજિતીના પિતાએ એવો સંકલ્પ કર્યો હતો કે જે કોઈ રાજા સ્વયંવરમાં ૭ સાંઢને નાથશે તેને પોતે પોતાની પુત્રી પરણાવશે. શ્રીકૃષ્ણમાં આસક્ત નાગ્નજિતી આથી નિરાશ થાય છે કેમ કે કોઈ પણ પરાક્રમી રાજા માટે ૭ સાંઢ નાથવા એ કંઈ મોટી વાત નથી. પરંતુ અંતે એ પરાક્રમ માત્ર કૃષ્ણ જ કરી શકે છે. બહુધા પ્રસંગના સીધા કથન રૂપે ચાલતા આ આખ્યાનની કથનશૈલી પ્રૌઢિયુક્ત છે ને કૃષ્ણને સંબોધીને લખાયેલા પત્રમાં તથા અન્ય પ્રસંગે નાગ્નજિતીના આશંકા, આર્જવ, ઉત્સુકતા આદિ ભાવોને મધુર-કોમલ બાનીમાં વાચા આપી છે. સ્વયંવરપ્રસંગને નિમિત્તે હાસ્યરસનિરૂપણની લેવાયેલી થોડીક તક ને તત્કાલીનતાનો સંદર્ભ એ પણ આ કૃતિનાં આસ્વાદ્ય તત્ત્વો છે. [સુ.દ.]