ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિરાજિમતી-બારમાસા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નેમિરાજિમતી-બારમાસા’ [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. [ર.ર.દ.]