ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : ૫૭ કડીની ‘હીરપુણ્ય ખજાનો-સઝાય’ (ર.ઈ.૧૫૯૬), ૮૪ કડીની ‘નેમિનાથ હમચી’ (ર.ઈ.૧૫૯૭), ઝડઝમકયુક્ત ભાષામાં પાર્શ્વનાથનાં નામ તથા સ્થાન વર્ણવતી, ૪ ઢાળમાં વિભાજિત, ૩૧ કડીની ‘ત્રણસોપાંસઠ પાર્શ્વજિનનામમાળા’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), ૪૧ કડીની ‘ઐતિહાસિક તીર્થમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, વૈશાખ સુદ ૧૫, ગુરુવાર), આત્મહિત સાધના માટેનાં વિવિધ ધર્માચરણો વર્ણવતી, દુહાબદ્ધ ૧૮૫ કડીની ‘આત્મહિત શિક્ષા ભાવના’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, પોષ વદ ૧, ગુરુવાર; મુ.), ૯૩ કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ આસો સુદ ૧૦), ‘પંચજિન/પંચતીર્થી-સ્તવન’, ૧૭ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’, ૫ કડીની ‘દાનતપશીલભાવના-સઝાય’, ૨ કડીનું ‘આદિનાથ વિનતિરૂપ શ્રીશત્રુંજય-સ્તવન’ (મુ.), ૧૦ કડીની ‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’ (મુ.), ૨૨ કડીનું ‘દ્યુતપરિહાર-ગીત’, ઐતિહાસિક ‘ધનવિજય પંન્યાસ-રાસ ખંડ : ૧’, ૨૩ કડીનું ‘શત્રુંજયવૃદ્ધિ-સ્તવન’ તથા સીતાસતીના શીલનું જૈનધર્મરંગી માહાત્મ્ય કરતી ૩૩ કડીની ‘સીતાસતીની સઝાય’ (મુ.). કૃતિ : ૧. આત્મહિત શિક્ષાભાવના, પ્ર. બાબુ સુ. સુરાણા, સં. ૧૯૭૪; ૨. જૈસસંગ્રહ; ૩. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, શાર્લોટ ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૪. શત્રુંજય તીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્રકા. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૫. જૈન ધર્મપ્રકાશ, ડિસે. ૧૯૬૪-‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય,  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]