ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રેમપ્રકાશ-સુડતાળોકાળ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’ [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે.[ર.શુ.]