ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહર સ્વામી-૩-સચ્ચિદાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનોહર(સ્વામી)-૩/સચ્ચિદાનંદ [જ.ઈ.૧૭૮૮-અવ. ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, વૈશાખ સુદ ૧૪] : જ્ઞાનમાર્ગી કવિ. પિતાનું નામ ન્હાનકડા દેસાઈ.એક મત મુજબ ભાવનગર પાસેના મહુવાના વડનગરા નાગર ને જન્મ મોસાળ વસાવડ (સૌરાષ્ટ્ર)માં. અન્ય મત મુજબ જૂનાગઢના નાગર ગૃહસ્થ ને જન્મ જૂનાગઢમાં. ઈ.૧૮૩૮માં ભાવનગરના નીલકંઠ મહાદેવના સ્થાનકમાં સંન્યાસદીક્ષા લઈ સચ્ચિદાનંદ નામ ધારણ કર્યું. ઈ.૧૮૪૫માં ભાવનગરમાં સમાધિ લીધી. મામા કાલિદાસ (વસાવડના) પાસેથી કાવ્યસંસ્કાર મળેલા. ફારસી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા. ઉપનિષદ, ન્યાયશાસ્ત્ર વગેરેનો અભ્યાસ પણ કરેલો. ગગા ઓઝા તેમના શિષ્ય હતા. આ કૈવલાદ્વૈત-વેદાન્તી કવિને નામે મહાભારતમાંનાં ‘સનત્સુ-જાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ના અનુવાદ, ‘ભગવદ્ગીતા’ અને ‘રામગીતા’ની ટીકા, ‘પુરાતનકથા’, ‘નિત્યકર્મ’, પંચકલ્યાણ’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ અને ‘વલ્લભમતખંડન’ તથા વેદાન્તરહસ્ય પરના સંસ્કૃત ગ્રંથો-એમ ઘણી કૃતિઓ નોંધાયેલી છે, પણ ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ મુજબ કોઈની હસ્તપ્રત મળતી નથી. જોકે ‘અખાની વાણી અને મનહરપદ’માં જણાવ્યા મુજબ કવિએ ઈ.૧૮૪૨માં લખેલાં ‘સનત્સુજાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ મુદ્રિત થયેલાં, પણ એ પ્રાપ્ત નથી. આ કવિનાં ૨૨૫ જેટલાં ગુજરાતી અને હિંદી પદો મુદ્રિત છે. એમાં આખાના જેવી પ્રહારક વાણીમાં મૂર્તિપૂજા, કર્મકાંડ, તપતીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા લગાવતી, જ્ઞાનોપદેશ અને વૈરાગ્યબોધની નોંધપાત્ર કવિતા મળે છે. મનોહરદાસ નિરંજનને નામે મળતી ‘પંચીકરણ’ કૃતિ પણ પ્રસ્તુત કવિની હોવા સંભાવના છે. કૃતિ : ૧. મનહરપદ, પ્ર. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૨. એજન, સં. ભવાનીશંકર ન. ત્રિવેદી, ઈ.૧૮૮૭; ૩. અખાની વાણી અને મનહરપદ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૧૬ (+સં.)  . ૩. બૃકાદોહન : ૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. [ર.સો.]