ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુરામ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રઘુરામ-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : અવટંકે દીક્ષીત. ઓરપાડના વતની. યજુર્વેદી બ્રાહ્મણ. પિતા સહદેવ. કવિએ પુરાણી નાના ભટ્ટના પુત્ર કૃષ્ણરામ પાસેથી અશ્વમેધની કથા સાંભળી ૧૨૧ કડવાંના ‘પાંડવાશ્વમેધ/અશ્વમેધ’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, શ્રાવણ સુદ ૨, બુધવાર; મુ.)ની રચના કરી છે. કવિને નામે નોંધાયેલું ‘લવકુશ-આખ્યાન’ વસ્તુત: ‘પાંડવાશ્વમેધ’નો જ એક ભાગ છે. આ ઉપરાંત કવિએ લાવણીમાં ૨૫ કડીની ‘નરસિંહ મહેતાની હૂંડી’(મુ.)ની પણ રચના કરી છે. આ કડીમાં પહેલી કડીનું ચોથું ચરણ દર ચોથી કડીએ આવર્તિત થાય છે તે ધ્યાનપાત્ર છે. કવિએ કેટલાંક પદોની (કૃષ્ણલીલાનાં ૨ પદ મુ.) પણ રચના કરી છે. કૃતિ : ૧. અશ્વમેધ, પ્ર. ગુલાબચંદ લ. ખેડાવાલા, ઈ.૧૮૫૮;  ૨. બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરતિ : ૩; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગૂહયાદી.[ચ.શે.]