ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નમંડન ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નમંડન(ગણિ) [ઈ.૧૪૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં નંદીરત્નના શિષ્ય. કવિની ૫૩ કડીની ‘નારીનિરાસ-ફાગુ’(મુ.)કામભાવનું નિરસન થાય એ રીતે નિરૂપોલી ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ રૂપ કૃતિ છે. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડમાં વિભક્ત ‘નેમિનાથનવરસ-ફાગ’/રંગસાગરનેમિ-ફાગ’(મુ.) એના વિશિષ્ટ છંદસંયોજનને લીધે ધ્યાન ખેંચે છે. નેમિચરિત્ર વધુ આલેખવાને કારણે ફાગુનું હાર્દ એમાં ઓછું સચવાયું છે. ‘પ્રબંધરાજ/ભોજ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૧), ‘ઉપદેશત-રંગિણી’, ‘જલ્પકલ્પલતા’, ‘સુકૃતસાગર’ વગેરે કવિની સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ (+સં.); ૨. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજ્ય, સં. ૧૯૭૯;  ૪. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૭-‘ફાગુબંધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા,’ અંબાલાલ પ્રે. શાહ; ૩ જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૭-‘રંગસાગરનેમિફાગ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]