ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજશેખર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજશેખર(સૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : મલધાર/હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. અભયદેવસૂરિની પરંપરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા ‘નેમનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૪૯ આસપાસ; મુ.)ના કર્તા. આ ઉપરાંત કવિએ સંસ્કૃત ભાષામાં શ્રીધરાચાર્યકૃત તર્કશાસ્ત્રના ગ્રંથ ‘ન્યાયકંદલી’ પરની ટીકા ‘પંજિકા’ (ર.ઈ.૧૩૨૯), પ્રાકૃત કાવ્ય ‘દ્વાયાશ્રય’ (કુમારપાલચરિત) પર વૃત્તિ (ર.ઈ.૧૩૩૧), ‘ચતુર્વિંશતિ-પ્રબંધકોશ’ (ર.ઈ.૧૩૩૯), ‘રત્નાવતારપંજિકા’, ‘વિનોદકથાસંગ્રહ’, ૧૮૦ કડીનો ‘ષડદર્શનસમુચ્ચય’ તથા ‘સ્વાદવાદકલિકા/દીપિકા’ નામની રચનાઓ પણ કરી છે ‘ચતુર્વિંશતિ-પ્રબંધ’માં સંસ્કૃત ભાષાની સાથે દોહરા રૂપે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે. કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ;  ૩. નવચેતન, દિવાળી અંક નવે.-ડિસે. ૧૯૬૯-‘રમુજી લોકવાર્તાઓનો એક સંસ્કૃત સમુચ્ચય રાજશેખરસૂરિકૃત વિનોદકથાસંગ્રહ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘પરિશિષ્ટ’; ૮. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૮૬૯-‘લક્ષણસેન પ્રબંધ’, કવિ દલતરામ ડાહ્યાભાઈ; ૯. એજન, સપ્ટે. ૧૯૬૧-‘મલધારી રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગ’ (સં.૧૪૦૫ આસપાસ), કે.કા.શાસ્ત્રી; ૧૦. એજન, ઑક્ટો. ૧૯૬૧-‘ચર્ચાપત્ર-નેમિનાથફાગુ’, નગીનદાસ પારેખ;  ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં : ૧; ૧૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]