ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સુરતના બેગમપુરના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યાવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી. પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ કડીઓનું ‘અનાવિલપુરાણ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ.૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ.૧૭૦૭ અને ઈ.૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ ઈ.૧૭૧૦ સુધીમાં પૂરો કર્યો હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં ‘દશમસ્કંધ’ મળતો નથી. એ એમણે રચવા ધાર્યો હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે. આ ઉપરાંત, ‘તાપીસ્તોત્ર’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, અસાડ વદ ૮, સોમવાર), ‘રેવામાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૨, ગુરુવાર; મુ.), ‘રામવિવાહ’ તથા પ્રેમાનંદનું ગણાતું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એને વલ્લભ-૨ની ગણે છે. આ જ શીર્ષકવાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઈદાસ. કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.);  ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૮;  ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ-પુરાણ’, સં. હીરાલાલ ત્રિ. પારેખ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, ‘દેવદત્ત જોશી;  ૬. કદહસૂચિ; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ[ર.સો.]