ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિધિ-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વિધિ-રાસ’ : ચોપાઈબંધની ૧૦૭ કડીની સમાચારીવિષયક આ કૃતિ (મુ.)ના કર્તૃત્વના તથા રચનાવર્ષના પ્રશ્નો છે. કૃતિમાં ૯૫મી કડીમાં “શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર), બહુદિન દીપઈ” એ શબ્દો મળે છે અને પછી ‘ઇતિશ્રી વિધિરાસ સમાપ્ત’ એમ લખેલું છે. ત્યારપછી ચૂલિકા છે, જે ૧૦૭ કડીએ પૂરી થાય છે. ૧ પાઠમાં “છાજૂકૃત” એમ લખેલું અને એ પછી “ઇતિશ્રી વિધિરાસ ચૂલિકા સમાપ્ત” એવા શબ્દો મળે છે. આ જાતની સ્થિતિ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે : છાજૂ આખા ‘વિધિ-રાસ’ના કર્તા છે કે ચૂલિકાના? બધા પાઠમાં છાજૂનો કર્તા તરીકે ઉલ્લેખ મળતો ન હોય તો એ કેટલો અધિકૃત માનવો? છાજૂ કર્તા ન હોય અથવા તો માત્ર ચૂલિકાના કર્તા હોય તો ધર્મમૂર્તિસૂરિને કર્તા ગણવા કે એમનો જે રીતે ઉલ્લેખ થયો છે તે રીતે જોતાં કૃતિ તેમના કોઈ શિષ્યની છે એમ માનવું? એ નોંધપાત્ર છે કે ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કૃતિ ધર્મમૂર્તિસૂરિશિષ્યની હોવાનું માને છે ને એને છાજૂના નિર્દેશવાળો પાઠ મળ્યો નથી. કૃતિ ભાદરવા સુદ ૧૧ના દિવસે રચાયેલી છે પરંતુ રચનાવર્ષનો કોયડો છે. ‘સંવત સોલ છિલોત્તરે’ (સં. ૧૬૦૬/ઈ.૧૫૫૦) તથા ‘સંવત સોલ બિહુંતરઇએ’ (સં.૧૬૭૨/ઈ.૧૬૧૬) એમ ૨ પાઠ મળે છે. સં. ૧૬૭૨ની રચના માનીએ તો એ ધર્મમૂર્તિસૂરી (અવ.સં.૧૬૭૦)ની કૃતિ ન હોઈ શકે, તેથી “સોલ બિહુંતરઈ”નું અર્થઘટન સં. ૧૬૦૨ કરી ધર્મમૂર્તિસૂરિની કૃતિ હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પંરતુ બધું વિચારતાં એ તર્ક યથાર્થ લાગતો નથી. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯-‘વિધિપક્ષ (અંચલ)ગચ્છના સમાચારી ગ્રંથો અને વિધિરાસ-એક સમીક્ષા’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]