ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સિંહાસનબત્રીસી’-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સિંહાસનબત્રીસી’-૧ [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રત્નસૂરિના શિષ્ય મલયચંદ્રની ચોપાઈબંધની ૩૭૪ કડીની, ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ પહેલી, આ પદ્યવાર્તા(મુ.) ક્ષેમંકરની ‘સિંહાસનદ્વાત્રિંશિકા’ એ સંસ્કૃત કૃતિને આધારે રચાયેલી છે. પ્રારંભની ૬૦ કડીમાં કૃપણ બ્રાહ્મણની કથા, સિંહાસનની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને તેની પ્રતિષ્ઠાવિધિ, ભર્તૃહરિના અમરફળ અને વિક્રમની રાજ્યપ્રાપ્તિ જેવા પ્રસંગોને આલેખી પછી સંક્ષેપમાં બત્રીસે પૂતળીની કથા કવિ કહી જાય છે. એટલે વાર્તાકથન સિવાય કવિની કવિત્વશક્તિનો બીજો ઉન્મેષ અહીં જોવા નથી મળતો. કૃતિની ભાષા કવિનું સંસ્કૃત પરનું પ્રભુત્વ પ્રગટ કરે છે.[ભા.વૈ.]