ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અજ્ઞેયવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



અજ્ઞેયવાદ : ભૌતિક પદાર્થ, આત્મા જેવાં દાર્શનિક-ધાર્મિક પરમતત્ત્વોની જ્ઞાનપ્રાપ્તિ માણસ માટે અજ્ઞેય હોવાની ખાતરીના આધારે ટી. એચ. હક્સલે(૧૮૨૫-’૯૫)એ Agnosticism શબ્દ બનાવ્યો. અહીં વિશ્વપ્રપંચથી પર પરમતત્ત્વ – અગોચર સત્તા હોવાનો અસ્વીકાર નથી કિન્તુ તેનું જ્ઞાન કોઈ કાળે કોઈ રીતે શક્ય ન હોવાની વાત છે. આનો નિર્દેશ કાન્ટ અને હર્બર્ટ સ્પેન્સરમાં પણ મળે છે. ધાર્મિક સિદ્ધાન્તો અને દાર્શનિક અનુમાનો જે બાબતોની ચર્ચા કરે છે તે અંગે, વિજ્ઞાન કશું ન કહે ત્યાં સુધી મૌન રહેવામાં ડહાપણ છે, કારણકે ધાર્મિક વિશ્વાસ પ્રાકૃતિક વિજ્ઞાનની જેમ તથ્યાત્મક જ્ઞાન આધિકારિક રીતે પૂરું પાડી શકતો નથી. તેથી જ હક્સલે ડાવિર્નની ઉત્ક્રાન્તિની શોધનું સમર્થન કરે છે. શા.જ.દ.