ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ડિયન નેશનલ થિયેટર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી) : ૧૯૪૩ની આસપાસ કમલાદેવી ચટ્ટોપાધ્યાયના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપ્રેમી સમાજવાદીઓ દ્વારા સ્થપાયેલી આ અખિલ ભારતીય નાટ્યસંસ્થાએ એની અનેક શાખાઓ વિવિધ શહેરોમાં અને વિવિધ પ્રાન્તોમાં ખોલેલી. એના આશ્રયે ઘણાં નાટકો ભજવાયાં. મુંબઈ જેવા બહુભાષી શહેરમાં બહુમતી જૂથોની ભાષામાં જ નાટકો ન કર્યાં પણ લઘુમતી જૂથોની ભાષામાં પણ નવાં પ્રયોગશીલ નાટકોનાં નિર્માણ કર્યાં. રંગમંચ લોકશિક્ષણનું મહત્ત્વનું માધ્યમ બની શકે તેમ છે એવી વિચારસરણી આ સંસ્થાના સંચાલનમાં હંમેશા અગ્રણી રહી. મુંબઈની ગુજરાતી રંગભૂમિને સ્થાયી બનાવવામાં એનો ફાળો નોંધપાત્ર છે અને એમાંય આ સંસ્થાનો પ્રભાવ વધારવામાં પ્રવીણ જોશી જેવા દિગ્દર્શકનું વિશેષ પ્રદાન વિસરી શકાય તેમ નથી. રંગમંચ રજૂઆત કરતી આ સંસ્થાની યાંત્રિકપાંખની કુશળતાને કારણે એનાં નિર્માણોમાં એક પ્રકારની પરિષ્કૃતિ જોઈ શકાય છે. આ સંસ્થાએ ૧૯૬૦થી ૧૯૭૦ સુધી રાસગરબા હરીફાઈ પણ યોજી છે. ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્રની લોકકલાને અવારનવાર રંગમંચ પૂરો પાડ્યો છે. વળી, ૧૯૭૪થી આંતરકોલેજ નાટ્ય સ્પર્ધાનું આયોજન પણ આ સંસ્થા કરતી આવી છે. ચં.ટો.