ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉત્તરરામચરિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્તરરામચરિત : રામના સીતાત્યાગને કેન્દ્રમાં રાખીને રામના ઉત્તરજીવનનું કથાવસ્તુ લઈને રચાયેલું આ સાત અંકનું નાટક ભવભૂતિની પરિણત પ્રજ્ઞાનું ફળ છે. પહેલા અંકમાં સીતાત્યાગનો પ્રસંગ અને બાકીના અંકોમાં આ ઘટનાના આઘાતપ્રત્યાઘાતને કલામય ઘાટ આપતું ‘ઉત્તરરામચરિત’ નાટક ભવભૂતિને સંસ્કૃત નાટ્યસાહિત્યમાં પ્રથમ પંક્તિના સર્જક ઠરાવે છે. ‘મહાવીરચરિત’માં વીરરસ, ‘માલતીમાધવ’માં શૃંગારરસ તો ‘ઉત્તરરામચરિત’માં કરુણરસને નિરૂપી ભવભૂતિએ પોતાનાં ત્રણે નાટકોમાં રસનિરૂપણની એકવિધતા ટાળી છે. ઉત્તરરામચરિતની એક પાત્રોક્તિ ‘એકો રસ : કરુણ એવ’ – દ્વારા ભવભૂતિએ પોતાનું આગવું દર્શન પ્રસ્તુત કર્યું છે. પહેલા અંકમાં ચિત્રદર્શનનું દૃશ્ય, બીજામાં રામનું દંડકારણ્યમાં પુનરાગમન અને વનદેવતા વાસંતી સાથેનું મિલન, ત્રીજામાં છાયા સીતાની કલ્પના અને સાતમામાં ગર્ભાંક દૃશ્ય–આ બધી ભવભૂતિની મૌલિક નાટ્યાત્મક સંકલ્પનાઓ છે. ભવભૂતિએ પોતાની વિશિષ્ટ પ્રેમાનુભૂતિને કરુણરસથી શબલિત કરીને આ નાટક સર્જ્યું છે. પ્રિયજન મૃત્યુ પામે, પણ પ્રેમ મૃત્યુ પામતો નથી, તે અમર રહે છે, અજર પણ રહે છે એ અનુભૂતિને નાટ્યકારે એક દાર્શનિક ભૂમિકા પૂરી પાડીને નક્કરતા અર્પી છે. રામ તો એમ જ માને છે કે પોતાનાથી ત્યજાયેલી સીતા જંગલમાં નાશ પામી છે. અને છતાં રામની સીતા વિશેની પ્રેમની ઉત્કટતા તેવી ને તેવી જ છે. સીતાત્યાગ પછી બાર વર્ષે પણ જ્યારે આપણે રામને નાટકમાં મળીએ છીએ ત્યારે પણ તે સીતાની સ્મૃતિથી સંભૃત છે. સ્થાનિક અને સામયિક એ બે ઉપાધિઓને નહીં ગણકારતો, નિરુપાધિક પ્રેમ અમૃત છે એમ ‘ઉત્તરરામચરિત’માં ભવભૂતિએ રામસીતાના જીવનને નાટ્યાત્મક રૂપ આપીને કલાત્મક રીતે પ્રતિપાદિત કર્યું છે. ભવભૂતિએ ‘સ્નિગ્ધશ્યામા’ પ્રકૃતિની સાથે સાથે ‘ભીષણભોગરુક્ષા’ પ્રકૃતિનું પણ એકસરખા સામર્થ્યથી ચિત્રણ કર્યું છે. ભવભૂતિની પ્રણયવિષયક ને સાહિત્યવિષયક વિભાવનામાં પોતે તત્કાલીન પ્રવાહથી પ્રતીપ તરનારો એક અતિ સંવેદનશીલ વિદ્રોહી સર્જક હતો, એવું પ્રતીત થાય છે. વિ.પં.