ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉત્પત્તિમૂલક વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્પત્તિમૂલક વિવેચન (Genetic Criticism) : લાભશંકરનું ‘પીળું ગુલાબ અને હું’ નાટક દર્પણ સંસ્થામાં પહેલાં લીલાનાટ્ય રૂપે ભજવાયું. આ જ નાટક જ્યારે નિરંજન ભગત સંપાદિત ‘સાહિત્ય’ માટે મોકલાયું ત્યારે લાભશંકરના કહેવા મુજબ ‘આખું નાટક નવું જ ક્લેવર ધરીને પ્રગટ થયું’ જેમ પ્રકાશિત નાટકની અંતિમ વાચનાનો આ ઇતિહાસ છે, તેમ દરેક કૃતિનો પૂર્વઇતિહાસ હોઈ શકે; કૃતિની પૂર્વવાચનાઓ હોઈ શકે, કૃતિના બધા જ કે કેટલાક ભાગોના પાઠભેદો અને પાઠાન્તરો હોઈ શકે. હસ્તપ્રતકક્ષાએ કે મુદ્રિત કક્ષાએ કૃતિની પૂર્વતૈયારીરૂપ આ સામગ્રી પર કોઈપણ અર્થઘટન કે ટિપ્પણનું કાર્ય અથવા વિવેચનવિષયક પ્રશ્ન કે ઉત્તર આધારિત હોય ત્યારે એ ઉત્પત્તિમૂલક વિવેચન છે. એટલેકે આ વિવેચન ગ્રન્થવૃત્તાત્મક અને કૃતિવૃત્તાત્મક પ્રમાણો પર નિર્ભર છે. કૃતિની કથા જ નહિ પણ કૃતિની આસપાસની કથા, જેમાં એ જન્મી હોય એ બૌદ્ધિક અને સામાજિક પરિવેશની કથા પણ એમાં દાખલ થઈ શકે છે. કૃતિના એક તબક્કાને એના બીજા કોઈ તબક્કાની બાજુમાં ગોઠવી, એના વિરોધમાંથી કોઈ વિવેચનનો મુદ્દો ઊભો કરવો એ પણ કૃતિના અભ્યાસ પર મહત્ત્વનો પ્રકાશ ફેંકી શકે છે. જેમકે ગુસ્તાવ ફ્લોબેરે ડોક્ટર શાર્લ બોવરીને બહુ જુદો કલ્પેલો, પણ પછીથી નાયિકાના સ્વપ્નિલ ચરિત્ર સામે એને ગદ્યાળુ અને નીરસ ચીતર્યો છે. કારણ ફ્લોબેરે કેવળ લગ્નકથાને વર્ષોની જહેમત બાદ વાસ્તવમાં સપડાયેલી કોઈ હતાશ સ્વપ્નસેવીની કથામાં રૂપાન્તરિત કરી છે. ફ્લોબેરની પૂર્વસામગ્રીને આધારે આ સ્પષ્ટ જોઈ શકાય છે. આપણે ત્યાં ‘સરસ્વતીચન્દ્ર’ના અંત વિશે કે ગાંધીજીની આત્મકથાના અંશો વિશે પૂર્વસામગ્રીનું પદ્ધતિસરનું પરીક્ષણ જરૂર નવો પ્રકાશ પાડી શકે. બ.ક. ઠાકોરનાં પાઠાન્તરોનો પણ હજી પદ્ધતિસરનો અભ્યાસ હાથ ધરાયો નથી. આમ, લેખકવિશિષ્ટ અને કૃતિવિશિષ્ટ આ પ્રવૃત્તિ કૃતિના ચુસ્ત વીગતપૂર્ણ કાલાનુક્રમ પર કાર્ય કરે છે. વિવચેનની બધી સમસ્યાઓના ઉત્તર એથી જડે નહિ પણ કેટલીક સમસ્યાના ઉત્તર જરૂર મળી આવે. સાહિત્યના ઇતિહાસે અને સાહિત્યવિવેચને આ ક્ષેત્રનો સ્વલ્પ ઉપયોગ કર્યો છે. પારંપરિક ઉત્પત્તિમૂલક વિવેચનનાં મૂળ છેક ઓગણીસમી સદીમાં મળી આવે પણ છેલ્લાં વીસેક વર્ષમાં સાહિત્યક્ષેત્રે આ સંદર્ભમાં નવો ઉત્સાહ જોવા મળે છે. ફ્રાન્સમાં ૧૯૭૨માં ઝાં બેલેમિં નોયલે ‘The text and the pretext’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. એને અસાધારણ સફળતા મળી. મૂળ ફ્રેન્ચ શબ્દ ‘આવાં તેકસ્ત’ અમેરિકન અનુસરણમાં Pretext થયો. પુસ્તકના સિદ્ધાન્તનો સ્વીકાર થયો. મુસદ્દાઓ, કાચાં ડહોળિયાં, પૂર્વ પાઠાન્તરોને પણ પોતીકું જીવન હોય છે અને એને આધારે પુનર્લેખનનું વ્યાકરણ તારવી શકાય છે તેમજ અંતિમ નીપજ કે અંતિમ વાચનાથી સ્વતંત્ર એનો અભ્યાસ થઈ શકે છે. તમારી સામે પડેલી સાહિત્યની લંબાઈ અને પહોળાઈ (પુસ્તક) તો હોય છે પણ સાહિત્યની પાછળ ‘ઊંડાઈ’ માં જઈએ છીએ ત્યારે ‘સાહિત્યનું ત્રીજું પરિમાણ’ – એટલેકે ઉત્પત્તિમૂલક વિવેચન પ્રાપ્ત થાય છે. ઉત્પત્તિમૂલક વિવેચન એક રીતે જોઈએ તો અન્યલક્ષી, ઉચ્ચાવચતાલક્ષી અને હેતુલક્ષી છે. અહીં એક જ કૃતિના બે તબક્કાના મુસદ્દા કે ડહોળિયાં જરૂરી બને છે માટે એ સાપેક્ષ કે અન્યલક્ષી છે. એક તબક્કાને અન્યથી સૌન્દર્યનિષ્ઠ દૃષ્ટિએ સારો કે નરસો ગણવો પડે છે માટે એ ઉચ્ચાવચતાલક્ષી છે અને એક તબક્કો બીજા તબક્કા ભણી દોરી જાય છે માટે એ હેતુલક્ષી છે. આમ ઉત્ત્પત્તિમૂલક વિવેચનને કૃતિની ઉત્ક્રાંતિ સાથે સંબંધ છે. એ કૃતિ પૂર્વેની ઘટનાઓને નોંધે છે, આ ઘટનાઓને અર્થ અને આકાર આપતી વેળાએ એનું ધ્યાન કૃતિના વિકાસ પર જ હોય છે. આથી આ વિવેચન પર સરલ આશયવાદનું આરોપણ કરી દેવાની જરૂર નથી. અહીં લેખકના મનમાં માત્ર ડોકિયું કરી આવવાની કોઈ વૃત્તિ નથી તેથી એને ઉત્ત્પત્તિમૂલક દોષ (genetic fallacy) સાથે સાંકળવાની પણ જરૂર નથી. આથી ઊલટું ઉત્પત્તિમૂલક વિવેચન, મનોવિશ્લેષણ, અનુસોસ્યૂરવાદી ભાષાવિજ્ઞાન, કથનવિષયક સંકેતવિજ્ઞાન અને આંતરકૃતિત્વના સિદ્ધાન્તોને સાથે રાખી પદ્ધતિપૂર્વકનું કાર્ય કરી રહ્યું છે. ચં.ટો.