ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકતાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકતાઓ : એરિસ્ટોટલે નાટકના સંદર્ભમાં વાત કરતાં ત્રણ પ્રકારની એકતા પ્રબોધી છે – વસ્તુની, સ્થળની ને સમયની. વસ્તુની એકતા દ્વારા નિરૂપિત વસ્તુના અંતર્ગત એકમોની પરસ્પર સુસંબદ્ધતાથી પ્રાપ્ત થતી કળાકૃતિની સુગ્રથિતતા સ્વયંપૂર્ણતા ને સમગ્રતા સૂચવાયેલી છે. કળાકૃતિને ‘રૂપ’ અને ‘વ્યક્તિત્વ’ આપનાર આ એકતા નિવિર્વાદ છે. પરંતુ સમગ્ર નાટ્યકાર્ય એક જ સ્થળે થાય એવી સ્થળની એકતા અને ચોવીસ કલાકના ગાળામાં જ બને એવી સમયની એકતા, જે વાસ્તવમાં તત્કાલીન ગ્રીક રંગભૂમિના સંદર્ભની નીપજ છે તે તે સંદર્ભની બહાર ક્યારેય વ્યાવહારિક કે સૈદ્ધાન્તિક રીતે સ્વીકાર્ય બની નથી. બલ્કે હવે તો તે ચર્ચાનો વિષય પણ રહી નથી. વિ.અ.