ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્રકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચિત્રકાવ્ય : આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્ત સાથે ધ્વનિની પ્રધાનતા, ગૌણતા અને એના અભાવને અનુલક્ષીને અનુક્રમે ત્રણ મહત્ત્વના કાવ્યભેદ અસ્તિત્વમાં આવ્યા : ધ્વનિકાવ્ય, ગુણીભૂતવ્યંગ્યકાવ્ય અને ચિત્રકાવ્ય. પહેલા બે પ્રકારમાં વ્યંગ્યની પ્રધાન કે ગૌણ હાજરી છે જ્યારે ત્રીજો પ્રકાર ચિત્રકાવ્ય વ્યંગ્યરહિત છે. કદાચ એટલે જ વિશ્વનાથે એનો સ્વીકાર નથી કર્યો અને કેટલાકે એને અધમકાવ્ય તરીકે ઓળખાવ્યું છે. રસ, ભાવ કે વ્યંગ્યરહિત કેવળ શાબ્દિક ચમત્કાર પર નિર્ભર આ ચિત્રકાવ્યના બે ભેદ છે : શબ્દચિત્ર અને અર્થચિત્ર. પ્રાચીન આલંકારિકો ચિત્રકાવ્યને નીરસ પાંડિત્યનું પ્રદર્શન માને છે. કાવ્યગૌરવહીન શબ્દજ્ઞાન અને શબ્દસંઘટનથી યુક્ત ચિત્રકાવ્ય કવિઓ માટે આદરપાત્ર નથી. ચં.ટો.