ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યદર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાટ્યદર્પણ : હેમચન્દ્રાચાર્ય-શિષ્ય રામચન્દ્ર અને ગુણચન્દ્રકૃત અગિયારમી સદીનો, ભારતીય નાટ્યકલાની મીમાંસા કરતો મહત્ત્વપૂર્ણ સંસ્કૃત ગ્રન્થ. તેના ચાર વિવેકમાં ક્રમશ : નાટક, પ્રકરણ, રૂપક, વૃત્તિ, ભાવાભિનય તેમજ રૂપકનાં પ્રાથમિક લક્ષણોની વિગતપૂર્ણ વિવેચના મળે છે. રસનાં સુખદાયી અને દુઃખદાયી એવાં ઉભય રૂપોની સદૃષ્ટાંત વ્યાખ્યા કરતાં આ ગ્રન્થનાં પ્રતિપાદનોને તેના બહુશ્રુત લેખકોએ હાલ ઉપલબ્ધ-અનુપલબ્ધ એવાં અનેક કાવ્ય-નાટકોના ખંડ-ખંડકોનાં અવતરણોથી સમર્થિત કર્યાં છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા ‘કવિકટારમલ્લ’નું બિરુદ પામેલા રામચન્દ્ર એમના વિપુલ સાહિત્યસર્જનને કારણે ‘પ્રબંધશતકર્તા’ની પ્રતિષ્ઠા પામ્યા હતા. શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા રામચન્દ્રે ‘રાઘવાભ્યુદય’, ‘નિર્બળભીમ વ્યાયોગ’ તથા ‘યાદવાભ્યુદય’ જેવી ચાલીસેક નાટ્યકૃતિઓ પણ રચી છે. ર.ર.દ.